Delhi : હવે કુતુબ મિનારને લઈને વિવાદ ! સંકુલમાં પૂજા કરવાના અધિકારની માંગ કરતી અરજી પર આજે સુનાવણી
દિલ્હીની (Delhi) સાકેત કોર્ટ આજે કુતુબ મિનાર ખાતે હિંદુ અને જૈન દેવતાઓની પૂજા અને મૂર્તિઓની પૂજા કરવાનો અધિકાર માંગતી અરજી પર સુનાવણી હાથ ધરશે.
દિલ્હીની સાકેત કોર્ટ (Delhi Saket Court) આજે મહેરૌલીમાં કુતુબ મિનાર સંકુલની અંદર હિન્દુ (Temple) અને જૈન દેવતાઓની પુનઃસ્થાપના અને પૂજાની માંગ કરતી અરજી પર સુનાવણી હાથ ધરશે. પૂજાના અધિકારના મામલે આ અરજીઓ એડવોકેટ હરિશંકર જૈન અને એડવોકેટ રંજના અગ્નિહોત્રી દ્વારા દાખલ કરવામાં આવી છે. કોર્ટમાં દાખલ કરાયેલી અરજીઓમાં દાવો કરવામાં આવ્યો છે કે કુતુબ મિનાર (Qutub Minar)સંકુલમાં હિન્દુ દેવી-દેવતાઓની ઘણી મૂર્તિઓ છે. ઉપરાંત અરજદારે દાવો કર્યો છે કે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા દર્શાવવામાં આવેલ સંક્ષિપ્ત ઈતિહાસ દર્શાવે છે કે મોહમ્મદ ઘોરીની સેનાના કમાન્ડર કુતુબદિન એબક દ્વારા 27 મંદિરોમાં તોડફોડ કરવામાં આવી હતી અને પરિસરની અંદર કુવ્વાત-ઉલ-ઈસ્લામ ઉભો કરવામાં આવ્યો હતો.
આ સાથે અરજીમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે કુતુબ મિનાર પરિસરમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં કલશ, સ્વસ્તિક અને કમળ જેવા ઘણા પ્રતીકો જોવા મળે છે, જે આ ઈમારતના હિંદુ અસ્તિત્વને સાબિત કરે છે. કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે હાલના કુતુબ મિનાર સંકુલમાં ભગવાન વિષ્ણુ અને ભગવાન ઋષભ દેવ, ભગવાન શિવ, ભગવાન ગણેશ, ભગવાન સૂર્ય અને દેવી ગૌરી અને જૈન તીર્થંકરો ઉપરાંત વિશાળ હિન્દુ અને જૈન મંદિરો છે. આ સાથે જ અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે મેરુ ટાવરને જ કુતુબ મિનાર કહેવામાં આવે છે.
મંદિરના કાટમાળનો ઉપયોગ કરીને મસ્જિદ બનાવવામાં આવી
અરજદારોએ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને ટાંકીને કોર્ટમાં કહ્યું છે કે કુતુબ મિનાર સંકુલની (Qutub Minar Complex)અંદર એવા ઘણા પુરાવા છે જે સ્થાપિત કરે છે કે ત્યાં 27 હિંદુ અને જૈન મંદિરો તોડી પાડવામાં આવ્યા હતા.ત્યારબાદ પિરસરમાં મંદિરનો જે કાટમાળ હતો તેનો પુનઃઉપયોગ કરીને ઈસ્લામ મસ્જિદ ઉભી કરવામાં આવી.અરજીમાં ભગવાન વિષ્ણુ, ભગવાન શિવ, ભગવાન ગણેશ, ભગવાન સૂર્ય, દેવી ગૌરી, ભગવાન હનુમાન અને જૈન દેવતા તીર્થંકર ભગવાન ઋષભ દેવને મસ્જિદના સ્થળે મંદિર પુનઃસ્થાપના અને પૂજાની માંગ કરતી અરજી કરવામાં આવી છે.