DELHI : રાજધાનીમાં વધ્યું Corona સંક્રમણ, નવા 1904 કેસ, 6 દર્દીઓના મૃત્યુ
DELHI : દિલ્હીમાં Coronaના કેસોની સંખ્યા વધીને 6,59,619 થઈ ગઈ છે. સાથે જ મૃત્યુઆંક વધીને 11,012 પર પહોંચી ગયો છે.
DELHI : દિલ્હીમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે અને આજે હોળી પર કોરોનાના કેસોએ રેકોર્ડ તોડ્યો છે. સોમવારે દિલ્હી સરકારે જાહેર કરેલા આંકડા મુજબ રાજધાનીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,904 નવા કેસ નોંધાયા છે, જે આ વર્ષનો સૌથી મોટો આંકડો છે. આ પહેલા રવિવારે રાજધાનીમાં કોરોનાના 1,881 નવા કેસ નોંધાયા હતા. આ સતત પાંચમો દિવસ છે જ્યારે દિલ્હીમાં 1,500થી વધુ કેસ નોંધાયા છે. સરકાર દ્વારા લોકોને સાવચેતી રાખવા સતત તાકીદ કરવામાં આવી રહી છે.
નવા કેસો સાથે મૃત્યુઆંક પણ વધ્યો દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,904 નવા કેસ નોંધાયા છે, જયારે આ 24 કલાકમાં કોરોનાથી 6 દર્દીઓના મોત નોંધાયા છે. આ સાથે દિલ્હીમાં કોરોનાના કેસોની સંખ્યા વધીને 6,59,619 થઈ ગઈ છે, અને મૃત્યુઆંક વધીને 11,012 પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજધાનીમાં એક જ દિવસમાં 1,411 લોકો કોરોનાથી સાજા થયા છે અને અત્યાર સુધીમાં 6,40,575 લોકો કોરોનાથી મુક્ત થયા છે. હાલમાં, રાજધાનીમાં સક્રિય કેસની સંખ્યા વધીને 8,032 પર પહોંચી ગઈ છે.
તહેવારોમાં જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ દિલ્હીમાં કોરોનાની આ ગતિ વધુ ભયાનક બની શકે છે, કારણ કે આગામી દિવસોમાં ઘણા તહેવારો ઉજવવામાં આવશે. જોકે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે રવિવારે કહ્યું હતું કે કોરોનાના કેસોમાં વધારો થવાને કારણે તેઓ કોઈ જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે નહીં. રવિવારે તેમણે લોકોને અપીલ કરી હતી કે તેઓ તેમના પરિવાર સાથે ઉત્સવની ઉજવણી કરે અને ભીડમાં જવાથી બચે. આ સાથે જ દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ આદેશ આપ્યો છે કે નવરાત્રી જેવા આગામી તહેવારો દરમિયાન રાજધાનીમાં તહેવારની જાહેરમાં ઉજવણી નહીં કરવામાં આવે.
દેશમાં એક દિવસમાં 68,૦૦૦થી વધુ નવા કેસ દેશભરમાંથી છેલ્લા 24 કલાકમાં કોરોનાના 68,000થી વધુ નવા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, પંજાબ, મધ્યપ્રદેશ, ગુજરાત, કેરળ, તામિલનાડુ અને છત્તીસગઢમાંથી દરરોજ સૌથી વધુ કોરોના કેસ સામે આવી રહ્યા છે. નવા આંકડા સાથે દેશમાં કોરોનાના કુલ કેસો વધીને 1,20,39,644 થઈ ગયા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં એક જ દિવસમાં 200 થી વધુ દર્દીઓ કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, કોરોના વાયરસના કેસમાં સતત વધારો થયો છે. દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 5,21,808 થઈ ગઈ છે. આ સાથે દેશમાં રીકવરીનો દર ઘટીને 94.58 ટકા થઈ ગયો છે.