Delhi: LG સામે આમ આદમી પાર્ટીના ધરણા, તમામ MLA વિધાનસભામાં વિતાવશે રાત, વાંચો સમગ્ર મામલો
આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ (MLA) નિર્ણય લીધો છે કે તેઓ આજે રાત્રે વિધાનસભામાં રોકાશે. સાંજે 7 વાગ્યાથી તમામ ધારાસભ્યો ગાંધીજીની પ્રતિમા નીચે બેસી રાત્રી રોકાણ કરશે.
દિલ્હીમાં (Delhi) આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party) તમામ ધારાસભ્યો દિલ્હી વિધાનસભામાં ધરણા પર બેઠા છે. ધારાસભ્યો લેફ્ટનન્ટ ગવર્નર (LG) વિનય કુમાર સક્સેના સામે તપાસ અને રાજીનામાની માગ સાથે ધરણા પર બેઠા છે. તમામ ધારાસભ્યો આજે રાત્રે વિધાનસભામાં રહેશે અને લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાનો વિરોધ કરશે. આમ આદમી પાર્ટીના પ્રવક્તા અને ધારાસભ્ય સૌરભ ભારદ્વાજે આ જાણકારી આપી. આમ આદમી પાર્ટીના ધારાસભ્યોનો આરોપ છે કે નોટબંધી દરમિયાન 1,400 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું હતું જ્યારે વર્તમાન લેફ્ટનન્ટ ગવર્નર ખાદી ગ્રામોદ્યોગ કમિશનના અધ્યક્ષ હતા, તેની તપાસ થવી જોઈએ.
વિધાનસભ્ય સૌરવ ભારદ્વાજે કહ્યું કે જેમ તમે જાણો છો, વિશ્વાસ મત પર ચર્ચા દરમિયાન દિલ્હી વિધાનસભાને ઘણી વખત સ્થગિત કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના ધારાસભ્યોની માગ છે કે ખાદી ગ્રામોદ્યોગ કમિશનમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ થવી જોઈએ. આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ નિર્ણય લીધો છે કે તેઓ આજે રાત્રે વિધાનસભામાં રોકાશે. સાંજે 7 વાગ્યાથી તમામ ધારાસભ્યો ગાંધીજીની પ્રતિમા નીચે બેસી રાત્રી રોકાણ કરશે.
ધારાસભ્ય સૌરવ ભારદ્વાજે કહ્યું કે તે લોકો પોતે કહેતા હતા કે જો આરોપ લગાવવામાં આવે છે તો તપાસ થવી જોઈએ, તો અમે પણ કહી રહ્યા છીએ કે જો લેફ્ટનન્ટ ગવર્નર પર આરોપ છે તો તેમની સામે પણ સીબીઆઈ, ઈડી દ્વારા તપાસ થવી જોઈએ. સૌરભ ભારદ્વાજે કહ્યું કે અમારા તમામ ધારાસભ્યો રાતભર દિલ્હી વિધાનસભામાં રોકાશે અને સવારે અહીંથી વિધાનસભાની કાર્યવાહીમાં જોડાશે.
AAPએ ઉપરાજ્યપાલ પર ગંભીર આરોપ લગાવ્યા
આપને જણાવી દઈએ કે, દિલ્હીમાં AAP સરકાર અને લેફ્ટનન્ટ ગવર્નર વચ્ચેની ખેંચતાણ વધી રહી છે. આ વખતે આમ આદમી પાર્ટીએ LG વિનય કુમાર સક્સેના પર મોટો આરોપ લગાવ્યો છે. AAPનો આરોપ છે કે વિનય સક્સેના જ્યારે ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના અધ્યક્ષ હતા ત્યારે તેમણે 1,400 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હતું. એટલું જ નહીં, નોટબંધી દરમિયાન તેમનું કાળું નાણું સફેદ કરવામાં આવ્યું હતું. નોટબંધી દરમિયાન જ્યારે લોકો ભૂખ્યા હતા, પરેશાન હતા, ત્યારે આપણા ઉપરાજ્યપાલ 1,400 કરોડનો ભ્રષ્ટાચાર કરી રહ્યા હતા.
લેફ્ટનન્ટ ગવર્નરના પદ પરથી હટાવવામાં આવે
આમ આદમી પાર્ટીએ કહ્યું કે લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના વિરુદ્ધ EDએ દરોડા પાડવો જોઈએ. આ મની લોન્ડરિંગ અને ભ્રષ્ટાચારનો મામલો છે. જ્યાં સુધી લેફ્ટનન્ટ ગવર્નર વિરુદ્ધ તપાસ ચાલુ છે ત્યાં સુધી તેમને એલજીના પદ પર ચાલુ રાખવાનો કોઈ અધિકાર નથી. તેમને લેફ્ટનન્ટ ગવર્નરના પદ પરથી હટાવવા જોઈએ.