Cyclone Gulab : પીએમ મોદીએ ઓડિશા અને આંધ્રપ્રદેશને આપી મદદની ખાતરી, બંને રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે કરી વાતચીત
આંધ્રપ્રદેશમાં શ્રીકાકુલમ, વિજયનગરમ અને વિશાખાપટ્ટનમ, જ્યારે ઓડિશાના ગંજમ અને ગજપતિ જિલ્લાઓ વાવાઝોડાને કારણે પ્રભાવિત થવાની ધારણા છે. તેની મહત્તમ ઝડપ 95 કિલોમીટર સુધી હોવાનુ અનુમાન છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ચક્રવાત ગુલાબના (Cyclone Gulab) પગલે ઓડિશા અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીઓ નવીન પટનાયક અને વાય.એસ. જગન મોહન રેડ્ડી સાથે વાતચીત કરી અને વાવાઝોડાને કારણે પેદા થયેલી સ્થિતીની જાણકારી મેળવી. પ્રધાનમંત્રીએ બંને મુખ્યમંત્રીઓને તમામ શક્ય કેન્દ્રીય મદદની ખાતરી પણ આપી હતી.
ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે લેન્ડફોલ પ્રક્રિયા સાંજે 6 વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી અને ઉત્તર તટીય આંધ્ર પ્રદેશ અને નજીકના દક્ષિણ તટીય ઓડિશામાં આગામી 2-3 કલાક સુધી ચાલુ રહેશે. એક ટ્વિટમાં મોદીએ કહ્યું કે, “આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડી સાથે વાત કરી અને ચક્રવાતી તોફાન ‘ગુલાબ’ થી ઉદ્ભવેલી પરિસ્થિતિની જાણકારી લીધી. કેન્દ્ર તરફથી તમામ શક્ય મદદની ખાતરી આપવામાં આવી છે. હું દરેકની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના કરું છું.”
અન્ય એક ટ્વિટમાં વડાપ્રધાને કહ્યું કે, “ઓડિશાના કેટલાક ભાગોમાં ચક્રવાતને કારણે ઉભી થયેલી પરિસ્થિતિ અંગે મુખ્યમંત્રી નવીન પટનાયક સાથે ચર્ચા કરી. તેનો સામનો કરવા માટે કેન્દ્ર તમામ શક્ય મદદની ખાતરી આપે છે. હું દરેકને સલામતી અને ખુશીની કામના કરું છું. ”
Discussed the cyclone situation in parts of Odisha with CM @Naveen_Odisha Ji. The Centre assures all possible support in overcoming this adversity. Praying for the safety and well-being of everybody.
— Narendra Modi (@narendramodi) September 26, 2021
ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે મે મહીનામાં તબાહી મચાવનાર ‘યાસ’ વાવાઝોડા બાદ 4 મહિનામાં રાજ્યમાં ત્રાટકનારું ‘ગુલાબ’ બીજું વાવાઝોડું છે. તે ગોપાલપુર અને આંધ્રપ્રદેશના કલિંગપટ્ટનમની વચ્ચે મધ્યરાત્રિની આસપાસ દસ્તક આપે તેવી શક્યતા છે.
વિભાગે કહ્યું કે આ વાવાઝોડું ગોપાલપુરથી લગભગ 125 કિમી દક્ષિણપૂર્વ અને કલિંગપટ્ટનમથી 160 કિમી પૂર્વમાં સ્થિત છે. તોફાન દરિયામાં 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. ચક્રવાતની અસરને કારણે રવિવારથી ઓડિશાના દક્ષિણ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે.
પવનની ઝડપ 90 કિમી પ્રતિ કલાક
એક અધિકારીએ જણાવ્યું હતું કે દરિયા કિનારે અથડાતી વખતે ચક્રવાતની પવનની ઝડપ 90 કિમી પ્રતિ કલાકની આસપાસ છે. આઈએમડીએ (IMD) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “તાજેતરના હવામાન સબંધીત નિરીક્ષણો અનુસાર, વાદળોએ દરિયાકાંઠાના વિસ્તારોને આવરી લીધા છે અને આ પ્રકારે ઉત્તર તટીય આંધ્રપ્રદેશ અને નજીકના દક્ષિણ તટીય ઓડિશામાં ચક્રવાતની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.”
આંધ્રપ્રદેશમાં શ્રીકાકુલમ, વિજયનગરમ અને વિશાખાપટ્ટનમ જ્યારે ઓડિશાના ગંજમ અને ગજપતિ જિલ્લાઓ વાવાઝોડાને કારણે પ્રભાવિત થવાની ધારણા છે. તેની મહત્તમ ઝડપ 95 કિલોમીટર સુધી હોવાનું અનુમાન છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) એ બંને રાજ્યોમાં 18 ટીમો તૈનાત કરી છે અને અન્ય ટીમોને તૈયાર રાખી છે.