Cyclone Asani: 16 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે ચક્રવાત, આંધ્રપ્રદેશ, ઓડિશા અને બંગાળમાં એલર્ટ
Cyclone Asani: આંધ્રપ્રદેશના અમરાવતી હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર ચક્રવાત અસાની 10 મેની સાંજ સુધીમાં ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને ઉત્તર આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠે પશ્ચિમ મધ્ય અને નજીકના ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી સુધી પહોંચે તેવી સંભાવના છે.
બંગાળની ખાડીમાં (Bay of Bengal) સર્જાયેલા ચક્રવાતી તોફાન અસાનીને (Cyclone Asani) લઈને રવિવારે એક મોટું અપડેટ સામે આવ્યુ છે. હવામાન વિભાગે (IMD) રવિવારે કહ્યું છે કે ચક્રવાત અસાની આગામી 12 કલાકમાં મોટા ચક્રવાતી વાવાઝોડામાં (Cyclone) ફેરવાઈ શકે છે. તેમના મતે અસાની હવે ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધશે અને આગામી 12 કલાકમાં તે મોટા વાવાઝોડામાં ફેરવાઈ જશે. અગાઉ એવું કહેવામાં આવ્યું હતું કે રવિવારે દક્ષિણપૂર્વ વિસ્તારમાં રચાયેલ ઊંડા દબાણનું ક્ષેત્ર છેલ્લા છ કલાક દરમિયાન 16 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધ્યું છે. ચક્રવાતી તોફાન ‘અસાની’ 8 મેના રોજ સવારે 8:30 કલાકે બંગાળની ખાડી ઉપર ઉત્તર-પશ્ચિમ તરફ 13 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધ્યું હતું અને નિકોબાર ટાપુઓ, પોર્ટ બ્લેર (આંદામાન ટાપુઓ)થી લગભગ 480 કિમી દૂર હતું. પશ્ચિમમાં 400 કિ.મી દુર, આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમથી 940 કિમી દક્ષિણપૂર્વમાં કેન્દ્રિત હતું.
આ આગાહી અસાની વિશે કરવામાં આવી હતી
આંધ્રપ્રદેશના અમરાવતી હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર ચક્રવાત અસાની 10 મેની સાંજ સુધીમાં ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને ઉત્તર આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠે પશ્ચિમ મધ્ય અને નજીકના ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી સુધી પહોંચે તેવી સંભાવના છે. તે પછી તે ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ વળે અને ઓડિશા કિનારે ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી તરફ આગળ વધે તેવી સંભાવના છે.
કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓની રજાઓ રદ
તે જ સમયે વાવાઝોડાને જોતા હવામાન વિભાગ દ્વારા આંધ્ર પ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે. કોલકાતાના મેયર ફિરહાદ હકીમે રવિવારે આ માહિતી આપી હતી. હકીમે કહ્યું છે કે જો ચક્રવાત શહેરમાં ત્રાટકે છે તો અમે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવાની તૈયારી કરી રહ્યા છીએ, જેથી જનજીવન વહેલી તકે સામાન્ય થઈ શકે.
ભૂતકાળના અનુભવોમાંથી શીખ્યા પાઠ: મેયર
હકીમે જણાવ્યું હતું કે મે 2020માં ચક્રવાત અમ્ફાનની વિનાશક અસરોમાંથી બોધપાઠ લઈને મ્યુનિસિપલ વહીવટીતંત્રે પડી ગયેલા વૃક્ષો અને અન્ય કાટમાળને કારણે અવરોધોને દૂર કરવા માટે ક્રેન્સ, ઈલેક્ટ્રિક કરવત અને બુલડોઝર એલર્ટ રાખવા જેવા તમામ પગલાં લીધા હતા. તેમણે કહ્યું કે’અમ્ફાનની અસર શું થઈ શકે છે તે અમે સમજી શક્યા નથી, પરંતુ અમારા અનુભવથી શીખીને અમે બધી તૈયારી કરી રહ્યા છીએ.