Coronavirus: UPમાં દર્દીઓને ફ્રીમાં ઓક્સિજન સિલિન્ડર આપવાવાળા વ્યક્તિ વિરુદ્ધ કેસ દાખલ કરાયો
ઉત્તર પ્રદેશના જૌનપુર સ્થિત જિલ્લા હૉસ્પિટલ બહાર ઓક્સિજનની અછતના કારણે તડપી રહેલા લોકોને વિક્કી અગ્રહરી સતત ઓક્સિજન સિલિન્ડર ઉપલબ્ધ કરાવી રહ્યા હતા.
Coronavirus: દેશમાં કોરોના સંક્રમણની ખતરનાક થતી સ્થિતિ વચ્ચે વધી રહેલી ઓક્સિજનની માગ સતત ચિંતાનો વિષય બનેલો છે. એવામાં કેટલાય લોકો જરુરિયામંદ માટે ફરિશ્તા બનીને સામે આવી રહ્યા છે. જો કે પ્રશાસનને એ મંજૂર નથી.
ઉત્તર પ્રદેશના જૌનપુર સ્થિત જિલ્લા હૉસ્પિટલ બહાર ઓક્સિજનની અછતના કારણે તડપી રહેલા લોકોને વિક્કી અગ્રહરી સતત ઓક્સિજન સિલિન્ડર ઉપલબ્ધ કરાવી રહ્યા હતા. જ્યાં તેઓ દર્દીઓને ઓક્સિજનની અછતને કારણે તડપતા જોઈ તરત જ તેમની મદદ માટે આગળ આવ્યા અને ઓક્સિજન પૂરો પાડ્યો.
પોતાના પર સવાલો ઉભા થતા જોઈ જૌનપુર જિલ્લા પ્રશાસને સોશિયલ વર્કર વિક્કી અગ્રહરી પર કોરોના સુરક્ષા પ્રોટોકોલના ઉલ્લંઘનનો આરોપ લગાવતા કેસ દાખલ કર્યો. વિક્કી અગ્રહરી વિરુદ્ધ IPCની કલમ 188 અને 269 અને મહામારી રોગ અધિનિયમની કલમ 3 અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે.
જૌનપુર હૉસ્પિટલમાં મુખ્ય ડૉક્ટર અધીક્ષકે વિક્કી અગ્રહરી વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી અને કહ્યું કે વિક્કીએ કોરોના પ્રોટોકોલના ધજાગરા ઉડાડ્યા છે અને તેઓ કોરોના ટેસ્ટ વગરના લોકોને અસુરક્ષિત રીતે ઓક્સિજન સિલિન્ડર ઉપલબ્ધ કરાવી રહ્યા છે. અધિક્ષકે કહ્યું કે વિક્કીએ ઓક્સિજન પ્રદાન કરતા સમયે કોરોના નિયમોનું ઉલ્લંઘન કર્યુ.
દર્દીઓને મફતમાં ઓક્સિજન સિલિન્ડર ઉપલબ્ધ કરાવી રહેલા વિક્કી અગ્રહરી વિરુદ્ધ કેસ થયા બાદ લોકોનો ગુસ્સો સોશિયલ મીડિયાના માધ્યમથી સરકાર પર ફુટી રહ્યો છે. જે બાદ જિલ્લા પ્રશાસને આ કેસની તપાસ કરવાની વાત કહી. જિલ્લાધિકારી મનીષકુમાર વર્માએ કહ્યું કે આ કેસની તપાસ કરાવવામાં આવી રહી છે. આ કેસમાં જે લોકો દોષી હશે તેમના વિરુદ્ધ કાર્યવાહી થશે.
આ પણ વાંચો: Surendranagar: કલેકટર કચેરી ખાતે મંત્રી કુંવરજી બાવળીયાની અધ્યક્ષતામાં યોજાયેલ સમીક્ષા બેઠકમાં હોબાળો