કોરોનાના બૂસ્ટર ડોઝ પર આજે મળશે એક્સપર્ટ કમિટીની બેઠક, લેવામાં આવી શકે છે મહત્વના નિર્ણય
સીરમ ઇન્સ્ટિટ્યૂટનું કહેવું છે કે દેશમાં હાલમાં કોરોના વેક્સીનનો પૂરતો સ્ટોક છે અને નવા કોરોના વાયરસ વેરિઅન્ટ ઓમિક્રોનના (Omicron variant) ઉદભવને કારણે બૂસ્ટર શોટ્સની માંગ છે.
દુનિયાની સાથે-સાથે દેશમાં પણ ઓમિક્રોન વેરિઅન્ટના કેસમાં વધારો થયો છે. ઓમિક્રોન વેરિઅન્ટ આવતા બુસ્ટરડોઝને લઈને પણ અનેક ચર્ચા ચાલી રહી છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) હેઠળની વિષય નિષ્ણાત સમિતિ (SEC) શુક્રવારે કોવિડ-19 બૂસ્ટર શોટ અંગે તેની પ્રથમ બેઠક યોજશે.
સત્તાવાર સૂત્રોએ ગુરુવારે આ માહિતી આપી હતી. તાજેતરમાં, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાએ કોવિશિલ્ડના બૂસ્ટર ડોઝની મંજૂરી અંગે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા (DCGI) પાસે અરજી દાખલ કરી છે.
શુક્રવારે મળનારી બેઠક અંગે મહત્વનો નિર્ણય લેવાય તેવી શક્યતા છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટનું કહેવું છે કે દેશમાં હાલમાં કોરોના વેક્સિનનો પૂરતો સ્ટોક છે અને નવા કોરોના વાયરસ વેરિઅન્ટ ઓમિક્રોનના ઉદભવને કારણે બૂસ્ટર શૉટ્સની માંગ છે. આ જ કારણ છે કે લોકોને વધુને વધુ કોરોના રસી આપવામાં આવી રહી છે.
બપોરે 12 વાગ્યે બેઠક શરૂ થશે બૂસ્ટર ડોઝ તરીકે કોવિશિલ્ડની મંજૂરી માટે અરજી કરનાર સીરમ ઇન્સ્ટિટ્યૂટ ભારતમાં પ્રથમ રસી બનાવતી કંપની છે. આ સંબંધમાં SECની બેઠક શુક્રવારે બપોરે 12 વાગ્યે શરૂ થશે. કેટલાક નિષ્ણાતોએ ભારતમાં ખાસ કરીને નવા અત્યંત સંક્રમક કોવિડ-19 પ્રકાર ઓમિક્રોન પછી બૂસ્ટર ડોઝની ભલામણ કરી છે. પરંતુ સરકારે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી.
સીરમ ઇન્સ્ટિટ્યૂટે કોવિશિલ્ડ માટે પરવાનગી માંગી હતી તાજેતરમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (SII) એ દેશના ડ્રગ રેગ્યુલેટર પાસે કોવિશિલ્ડને કોરોના ચેપ સામે બૂસ્ટર ડોઝ તરીકે આપવા માટે પરવાનગી માંગી હતી. સંસ્થાના ગવર્નમેન્ટ એન્ડ રેગ્યુલેટરી અફેર્સ ડાયરેક્ટર પ્રકાશ કુમાર સિંહે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)ને અરજી મોકલીને આ માટે પરવાનગી માંગી હતી.તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે દેશમાં કોવિડશિલ્ડ રસીની કોઈ અછત નથી અને મહામારીના નવા વેરિઅન્ટ આવ્યા બાદ બંને ડોઝ લઇ ચૂકેલા લોકો માટે બુસ્ટર ડોઝની માંગ કરવામાં આવી છે.
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાએ આ વર્ષે જાન્યુઆરીથી કોવિડશિલ્ડ રસી મોકલવાનું શરૂ કર્યું છે અને નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં એક અબજ ડોઝના સીમાચિહ્નને પાર કર્યું છે. દેશમાં અત્યાર સુધીમાં 114.78 કરોડ કોવિડશિલ્ડ રસી આપવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે ભારતમાં રસીકરણની સંખ્યા ગુરુવારે 131 કરોડના માઈલસ્ટોનને પાર કરી ગઈ છે. ગુરુવારે સાંજે 7 વાગ્યા સુધી 67 લાખથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો : Ashok kumar Death Anniversary : અશોક કુમાર બનવા માંગતા હતા વકીલ, આ રીતે બની ગયા ઇન્ડસ્ટ્રીના સ્ટાર
આ પણ વાંચો : ઠંડીની ઋતુમાં પશુઓની સંભાળ રાખવા માટે આ બાબતો મહત્વની, મુશ્કેલીથી બચવા માટે કાળજી લેવી જરૂરી