Congress Chintan Shibir: જી-23ના નેતાઓની માંગને કોંગ્રેસનું સમર્થન મળ્યું, સંસદીય બોર્ડની કરાશે રચના
કોંગ્રેસે એસસી-એસટી, ઓબીસી અને લઘુમતીઓ માટે પાર્ટીના તમામ હોદ્દાઓમાં 50 ટકા પદ અનામત રાખવાની પણ યોજના બનાવી છે. તો કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પ્રિયંકા ગાંધીની (priyanka gandhi) નિમણૂંક કરવાની પણ માંગ ઉઠી છે.
રાજસ્થાનના ઉદયપુરમાં ચાલી રહેલા ચિંતન શિબિરમાં (Udaipur Chintan Shibir) કોંગ્રેસે પાર્ટીના અસંતુષ્ટ નેતાઓની મહત્વની માંગને ધ્યાનમાં લઈને મોટો નિર્ણય લીધો છે. ઉદયપુર ચિંતન શિબિરમાં કોંગ્રેસનું (Congress) સમગ્ર ધ્યાન સંગઠનમાં ફેરફાર પર કેન્દ્રિત છે અને આગામી લોકસભાની ચૂંટણીને લઈને ભાવી આયોજન હાથ ધરવામાં આવી રહ્યુ છે. ચિંતન શિબિરનો આજે છેલ્લો દિવસ છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ G23ના નેતાઓ પાર્ટીના સંસદીય બોર્ડની રચના કરવાની તેમની માંગ પૂરી કરાવવામાં સફળ રહ્યા હતા. જી 23 (G23) નેતાઓએ બોર્ડની રચના કરવાની માંગ કરી હતી. આ અંતર્ગત કોંગ્રેસ પાર્ટીએ સંસદીય બોર્ડની રચના કરવાનો નિર્ણય લીધો છે.
ચિતન શિબિરમાં એકવાત એવી પણ સામે આવી રહી છે કે, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પ્રિયંકા ગાંધીની નિમણૂંક કરાય. કેટલાક કોંગ્રેસના કેટલકા આગેવાનોની આ લાગણીથી સોનિયા ગાંધીની મુશ્કેલી વધી છે. કોંગ્રેસના જ એક જૂથ ઈચ્છે છે કે, પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ગાંધી પરીવારની બહારની વ્યક્તિને પસંદ કરવામાં આવે.
પક્ષના ચિંતન શિબિરમાં કોંગ્રેસની અગ્રણી પેનલે ખાનગી ક્ષેત્રમાં અનામતને સમર્થન આપ્યું છે અને જાતિગત વસ્તી ગણતરીની માંગણીઓને પણ સમર્થન દર્શાવ્યું છે. સામાજિક ન્યાય પરની પાર્ટીની પેનલે કહ્યું કે તે કોંગ્રેસ વર્કિંગ કમિટી સહિત નબળા વર્ગો માટે સંગઠનમાં તમામ સ્તરે 50 ટકા બેઠકો અનામત રાખવાની ભલામણ કરશે. કોંગ્રેસના નેતાઓ સલમાન ખુર્શીદ અને કે રાજુએ મીડિયાને જણાવ્યું હતું કે એસસી, એસટી, ઓબીસી અને લઘુમતીઓના કલ્યાણ માટે પાર્ટીની પ્રતિબદ્ધતાના સંદેશને સ્થાપિત કરવા માટે સંગઠનાત્મક સુધારાની જરૂર છે. દરમિયાન પક્ષના સૂત્રોએ એવી પણ માહિતી આપી હતી કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આવતા વર્ષે કાશ્મીરથી કન્યાકુમારી જશે, જેમાં મોટાભાગની પદયાત્રા હશે.
કોંગ્રેસ વર્કિંગ કમિટીની મંજૂરી જરૂરી
સંસદીય બોર્ડની રચના અંગે અંતિમ નિર્ણય લેતા પહેલા પેનલની ભલામણોને કોંગ્રેસ કાર્યકારી સમિતિ દ્વારા ધ્યાનમાં લેવામાં આવશે. આ નિર્ણયના અમલીકરણ માટે કોંગ્રેસ કાર્યકારી સમિતિની મંજૂરીની જરૂર પડશે, જે પક્ષની ટોચની નિર્ણય લેતી સંસ્થા છે. આ માટે ચૂંટણી યોજાશે કે તેના સભ્યોની નિમણૂંક કોંગ્રેસ પ્રમુખ કરશે તે મુદ્દો સમિતિ પર છોડી દેવામાં આવ્યો છે. કોંગ્રેસના અસંતુષ્ટ જૂથના નેતાઓની આ મહત્વની માંગ હતી અને ચૂંટણી સમિતિનું સ્થાન સંસદીય બોર્ડ લેશે. તે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી કરશે. સૂત્રોનું કહેવું છે કે ગાંધી પરિવારના નજીકના લોકો એ વાત પર મક્કમ હતા કે કોંગ્રેસ સંસદીય બોર્ડને લગતા પ્રસ્તાવને મંજૂરી મળી શકે નહીં અને તેને લઈને પાર્ટીમાં વિવાદ ચાલી રહ્યો હતો.
G23 ના એક મહત્વપૂર્ણ સૂત્રએ એમ પણ કહ્યું કે ચિંતન શિબિર દરમિયાન ચર્ચાઓ પણ ખૂબ જ ખુલ્લા મનથી કરવામાં આવી છે અને તમામ મુદ્દાઓ પર ચર્ચા દરમિયાન ઘણો વિરોધ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. પરંતુ બધું લોકશાહી રીતે થયું છે. જે એક સ્વસ્થ પરંપરા સ્થાપિત કરે છે. તેમણે કહ્યું કે અમને વિશ્વાસ છે કે G23 દ્વારા ઉઠાવવામાં આવેલા તમામ મુદ્દાઓને યોગ્ય રીતે સંબોધવામાં આવી રહ્યા છે અને તેનુ નિરાકરણ લવાઈ રહ્યું છે. ત્રણ દિવસીય ચિંતન શિબિરમાં છ અલગ-અલગ ગ્રુપમાં આગેવાનો વિવિધ વિષયો પર ચર્ચા કરી હતી.