નિતીશ કુમારે શિક્ષણ મંત્રી ચંદ્રશેખરનો ક્લાસ લીધો, રામચરિત માનસ પર આપ્યું હતું વિવાદાસ્પદ નિવેદન
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કેબિનેટ બેઠકમાં શિક્ષણ મંત્રી ચંદ્રશેખરને ઠપકો આપ્યો હતો. નીતિશે તેમને કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી.
બિહારના શિક્ષણ મંત્રી ચંદ્રશેખરને મુખ્યમંત્રી નીતિશ કુમારે ઠપકો આપ્યો છે. કેબિનેટની બેઠકમાં નીતીશ કુમારે ચંદ્રશેખરને વિવાદીત નિવેદન કરવાને બદલે પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી હતી. નીતિશ કુમારે કહ્યું કે આવા નિવેદનો કરવાને બદલે તમે તમારા કામ પર ધ્યાન આપો તો સારું રહેશે. તમને જણાવી દઈએ કે શિક્ષણ મંત્રી ચંદ્રશેખરે ‘શ્રી રામચરિત માનસ’ પર વિવાદિત નિવેદન આપ્યું હતું. આ નિવેદન બાદ નીતીશ સરકાર બીજેપીના નિશાના પર છે. બીજેપી ચંદ્રશેખરને હટાવવાની માગ કરી રહી છે.
દેશની જનતાની માફી માંગવી જોઈએ: ભાજપ
શિક્ષણ મંત્રી ચંદ્રશેખર દ્વારા ‘શ્રી રામચરિત માનસ’ પર આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદન બાદ લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ સાથે દેશનું રાજકારણ પણ ગરમાયું છે. ભાજપની સાથે સાથે તમામ હિંદુ સંગઠનોએ માગ કરી છે કે શિક્ષણ મંત્રી ચંદ્રશેખરે પોતાના વિવાદાસ્પદ નિવેદન બદલ દેશની જનતાની માફી માંગવી જોઈએ. જો કે શિક્ષણ મંત્રીએ બેફામ જવાબ આપ્યો છે કે તેઓ તેમના નિવેદન પર અડગ છે અને આ માટે જો કોઈ તેમની જીભ કાપી નાખે અથવા ગોળી મારી દે તો પણ તેઓ માફી માંગશે નહીં.
આ પણ વાંચો: ‘રામ ચરિત માનસ’ પર બિહારના નેતાઓનું વિવાદસ્પદ નિવેદન, કહ્યું પુસ્તક સમાજમાં નફરત ફેલાવી રહ્યું છે
ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ
બિહારના એકથી વધુ જિલ્લાની અદાલતોમાં શિક્ષણ પ્રધાન ચંદ્રશેખર વિરુદ્ધ ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી છે, જેમાં તેમના પર ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ મુકવામાં આવ્યો છે. તેમની પાર્ટીએ કહ્યું છે કે તેમણે વાસ્તવમાં ભાજપ વિશે કહ્યું હતું જેનો ખોટું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે.
અશોક ચૌધરીએ પણ આપી સલાહ
JDUના વરિષ્ઠ નેતા અને મુખ્યમંત્રી નીતિશ કુમારના નજીકના અશોક ચૌધરીએ કેબિનેટ મંત્રીના નિવેદનને તેમની પાર્ટીના ટોચના નેતાની તમામ આસ્થાઓ અને પરંપરાઓનું સન્માન કરવાની નીતિ વિરુદ્ધ ગણાવ્યું હતું. અશોક ચૌધરીએ કહ્યું કે શિક્ષણ મંત્રી ચંદ્રશેખરે આવા નિવેદનો કરવાથી બચવું જોઈતું હતું. આવા નિવેદન યુવાન અને પ્રભાવશાળી દિમાગને ગેરમાર્ગે દોરી શકે છે.
તેજસ્વીએ ન આપ્યો કોઈ જવાબ
જો કે ચંદ્રશેખરના નિવેદનને લઈને જ્યારે નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સાથે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેમણે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. તેજસ્વી યાદવે કહ્યું કે મને મારા વરિષ્ઠ નેતા શરદ યાદવના નિધનથી આઘાત લાગ્યો છે. હું આ દુઃખની ઘડીમાં તેમના પરિવાર સાથે રહેવા દિલ્હી જઈ રહ્યો છું.