India China Border Dispute : સેટેલાઈટ ઈમેજ સામે આવતા દગાખોર ચીનની પકડાઈ ચાલબાજી
પૂર્વી લદ્દાખમાં બન્ને દેશ વચ્ચે સર્જાયેલ તણાવ અને વિવાદ ઉકેલવા માટે, ભારત અને ચીન વચ્ચે અત્યાર સુધીમાં સૈન્યસ્તરે 15 રાઉન્ડ વાટાઘાટો થઈ ચૂકી છે.
ચીનની ચાલાકી ફરી એકવાર પકડાઈ છે. પૂર્વી લદ્દાખમાં (Eastern Ladakh) પેંગોંગ તળાવની (Pangong Tso) આસપાસ પોતાના કબજા હેઠળના વિસ્તારમાં ચીન (China) બીજો પુલ બનાવી રહ્યો છે. સેટેલાઇટ ઇમેજ (Satellite image) પરથી આ વાત સામે આવી છે. જોકે, આ નવા બાંધકામ અંગે ભારતીય સંરક્ષણ સંસ્થાન તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા કે ટિપ્પણી કરવામાં આવી નથી. વાસ્તવમાં, નવો પુલ વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) થી 20 કિલોમીટરથી વધુ દૂરના વિસ્તારમાં બનાવવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ ચીને આ વિસ્તારમાં પુલ બનાવ્યો છે.
બે વર્ષથી વધુ સમયથી પૂર્વી લદ્દાખમાં (Ladakh) સરહદ ઉપર અનેક સ્થળો પર ભારત અને ચીનની સેનાઓ વચ્ચે તણાવના ચાલી રહ્યો છે. બન્ને દેશના સૈન્યના તણાવ વચ્ચે આ પુલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ઓગસ્ટ 2020 માં, ચીની સૈનિકોએ આ વિસ્તારમાં ભારતીય સૈનિકોને ધમકી આપવાનો પ્રયાસ કર્યો હતો, જેના વળતા જવાબરૂપે, ભારત તરફથી પેંગોંગ તળાવના દક્ષિણ કાંઠે અનેક વ્યૂહાત્મક શિખરો કબજે કરી લેવામાં આવ્યા હતા. ત્યારથી, ચીન તેના સૈન્ય માળખાને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. સૈન્ય તૈયારીઓને વધારવાના એકંદર પ્રયાસોના ભાગરૂપે ભારત-ચીન સરહદી વિસ્તારોમાં પુલ, રસ્તા અને ટનલ પણ બનાવી રહ્યું છે.
પૂર્વી લદ્દાખમાં છેલ્લા બે વર્ષથી મડાગાંઠ ચાલી રહી છે.
LAC ઉપર ચીનની પ્રવૃત્તિઓ પર નજર રાખનાર જીઓસ્પેશિયલ ઇન્ટેલિજન્સ સંશોધક ડેમિયન સિમોને Twitter પર ચીન દ્વારા તૈયાર કરાઈ રહેલા નવા બાંધકામની સેટેલાઈટ દ્વારા લેવાયેલ તસવીર પોસ્ટ કરી છે. સિમોને ટ્વિટર પર જણાવ્યું હતું કે પ્રથમ પુલની સમાંતર બીજો એક મોટો પુલ બનાવવામાં આવી રહ્યો છે, જે તળાવ પર ભારે હિલચાલની સુવિધા માટે બાંધકામનું સંભવિત લક્ષ્ય છે. સિમોન દ્વારા પોસ્ટ કરાયેલા સેટેલાઇટ તસવીરમાં એકસાથે બંને તરફ પુલ બનાવવામાં આવી રહ્યો છે. આ પુલ આંતરિક રુડોક વિસ્તારથી પેંગોંગ તળાવ ખાતે LAC ની આસપાસના વિસ્તારોમાં લાગતા સમયને નોંધપાત્ર રીતે ઘટાડશે તેવી ધારણા વ્યક્ત કરવામાં આવે છે. પૂર્વી લદ્દાખમાં 4-5 મે 2020ના રોજ તણાવ સર્જાવાનુ શરૂ થયુ હતુ. ભારત બન્ને દેશના સૈન્ય વચ્ચે ચાલી રહેલા તણાવ અને ઘર્ષણ પહેલાની યથાસ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટે સતત આગ્રહ કરી રહ્યું છે.
ભારત અને ચીન વચ્ચે 15મા રાઉન્ડની વાતચીત થઈ છે
પૂર્વી લદ્દાખમાં ગતિરોધને ઉકેલવા માટે, ભારત અને ચીન વચ્ચે અત્યાર સુધીમાં સૈન્યસ્તરે 15 રાઉન્ડ વાટાઘાટો થઈ ચૂકી છે. વાટાઘાટોના પરિણામે, બંને પક્ષોએ પેંગોંગ તળાવ અને ગોગરા વિસ્તારના ઉત્તરી અને દક્ષિણ કાંઠેથી સૈનિકોને પાછા ખેંચવાનું કાર્ય પૂર્ણ કર્યું. ભારતે સતત કહ્યું છે કે દ્વિપક્ષીય સંબંધોના સર્વાંગી વિકાસ માટે LAC પર શાંતિ અને સુલેહ મહત્વપૂર્ણ છે. હાલમાં, સંવેદનશીલ વિસ્તારમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર બંને તરફથી લગભગ 50,000 થી 60,000 સૈનિકો તૈનાત છે.