નથી સુધરી રહ્યુ ચીન! ભારતીય સીમાની નજીક વસેલા તિબ્બતી ગામમાં તૈનાત કર્યા સૈન્ય રસોઇયા અને ડૉક્ટર્સ
સરકાર દ્વારા નિયંત્રિત ચાઈના ડેઈલી અખબારમાં ઓગસ્ટ 2021ના એક સમાચારમાં કહેવામાં આવ્યું હતું કે તે સમયે ભારતીય સરહદને અડીને આવેલા ગામમાં 200 રહેવાસીઓ હતા.
ચીનની (China) પીપલ્સ લિબરેશન આર્મી (PLA) વિશે એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. PLA ભારત સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા અને જાળવવા માટે દૂરના ગામડાના રહેવાસીઓને મદદ કરે છે. ચીનની સેનાનો ઈરાદો વિવાદિત સરહદ પર બેવડા ઉપયોગના આવાસની તૈયારી પર ભાર આપવાનો છે. નાગરિક-લશ્કરી સંસાધનોનો એકસાથે ઉપયોગ કરવાના આશયથી પીએલએ સ્થાનિક તિબેટીયનોને ચાઈનીઝ વાનગીઓ કેવી રીતે રાંધવી તે શીખવવા માટે લશ્કરી રસોઈયાને તૈનાત કરી રહી છે. આ કામ ભારતની સરહદની નજીક આવેલા ગામમાં થઈ રહ્યું છે.
હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ આ અઠવાડિયે સત્તાવાર લશ્કરી પોર્ટલમાં સ્પોટ રિપોર્ટનું ધ્યાન ચીનના છેલ્લા મોટા સરહદી ગામ યુમાઈ ગામ પર હતું. આ ગામ અરુણાચલ પ્રદેશના અપર સુબાનસિરી જિલ્લાથી માત્ર થોડા કિલોમીટર દૂર છે. લોંગજી કાઉન્ટીમાં યુમાઈ ગામ તિબેટ ઓટોનોમસ રિજન (TAR)ના શાનન પ્રદેશમાં આવેલું છે. આ વિસ્તાર ભારત અને ભૂટાનની સરહદે આવેલ છે. તે ચીનનું પ્રથમ ‘સારી રીતે બંધ ગામ’ ગણાય છે. આ ગામ 2017માં ચીનમાં ખૂબ હેડલાઈન્સમાં બન્યું, જ્યારે રાષ્ટ્રપતિ શી જિનપિંગે તિબેટીયન ભરવાડના પરિવારને એક પત્ર લખ્યો.
શી જિનપિંગે તેમના પત્રમાં આશા વ્યક્ત કરી હતી કે તેઓ ગાલસાંગ ફ્લાવર જેવા વધુ ભરવાડોને સરહદી વિસ્તારમાં સ્થાયી થવા અને ચીનના પ્રદેશોના રક્ષક બનવા માટે પ્રેરિત કરશે. કહેવાય છે કે કેટલાક દાયકાઓ પહેલા સુધી આ ગામ એક જ પરિવારનું ઘર હતું, પરંતુ હવે આ ગામમાં ડઝનબંધ પરિવારો રહે છે. લશ્કરી પોર્ટલ સમાચાર અહેવાલ આપે છે કે તાજેતરના વર્ષોમાં યુમાઈમાં ડામર રોડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અહીં શાળાઓ, આરોગ્ય કેન્દ્રો, પોલીસ સ્ટેશનો, અન્ય જાહેર સેવા સંસ્થાઓ અને એકમો બનાવવામાં આવ્યા છે. આ પછી, વધુને વધુ લોકો અહીં આવ્યા છે.
અહેવાલમાં ગામની વસ્તીનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે શા માટે વધુને વધુ લોકો આ દૂરના સ્થળે જઈ રહ્યા છે. સરકાર દ્વારા નિયંત્રિત ચાઈના ડેઇલી અખબારમાં ઓગસ્ટ 2021માં એક સમાચાર અહેવાલમાં જણાવાયું હતું કે તે સમયે ગામમાં 200 રહેવાસીઓ હતા. અહેવાલમાં જણાવાયું છે કે ‘ત્રણ વ્યક્તિની ટાઉનશીપ’ એક એવા સ્થાન સુધી વિસ્તરી છે જ્યાં 1999માં 20 અને 2009માં 30 રહેવાસીઓ હતા. હાલમાં, 200થી વધુ રહેવાસીઓ સાથે 67 પરિવારો અહીં રહે છે. તે એક સુંદર સ્થળ તરીકે સારી રીતે ઓળખાય છે. અહીં રહેતા ગ્રામજનો હવે વારાફરતી સરહદ પર પેટ્રોલિંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો – સાવધાન! Paracetamolના દૈનિક ઉપયોગથી વધે છે બ્લડ પ્રેશર અને હાર્ટ એટેકનું જોખમ, રિસર્ચે આપી ચેતવણી