Cheetah In India : 11 કલાકની ફ્લાઇટ… હેલિકોપ્ટરની સવારી… PM MODI સાથે મુલાકાત અને પછી ક્વોરેન્ટાઇન: જુઓ ચિત્તાનો રૂટ મેપ
7 દશક બાદ ભારતની ધરતી પર ચિત્તાઓની ત્રાડ સંભાશે. આ ઐતિહાસિક ઘટના કાલે મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં (Kuno National Park) બનશે. આ ચિત્તાઓનું ખાસ વિમાન B747 Jumbo ભારત આવવા માટે આજે નામીબિયાથી ઉડશે.
Cheetah Coming to India : 7 દશક બાદ ભારતની ધરતી પર ચિત્તાઓની ત્રાડ સંભાશે. આ ઐતિહાસિક ઘટના કાલે મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં (Kuno national park) બનશે. આ ચિત્તાઓનું ખાસ વિમાન B747 Jumbo ભારત આવવા માટે આજે નામીબિયાથી ઉડશે. કાલે સવારે તે ભારતની ધરતી પર ઉતરશે. તેને લઈને દેશભરના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમના સ્વાગત માટે કૂનો નેશનલ પાર્ક એકદમ તૈયાર છે. કાલે 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી પોતાના જન્મદિવસે આ ચિત્તાઓને મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં છોડશે. છેલ્લે વર્ષ 1948માં છેલ્લો ચિત્તો દેખાયો હતો. આજે 7 દાયકા બાદ ફરી ચિત્તાના આગમનની ઘટના ઐતિહાસિક બનશે.
આ 8 ચિત્તાઓને નામીબિયાથી લાવવાની ખાસ તૈયારીઓ થઈ ગઈ છે. તેના માટે લાંબી આકાશી સફર હશે, ઘણી તક્કલીફો પણ હશે. જેના માટે પૂરો પ્લાન તૈયાર છે. નામીબિયાથી ચિત્તાઓને ભારત લાવવા B747 Jumbo તૈયાર છે. તેને ખાસ રીત તૈયાર પણ કરવામાં આવ્યું છે. તેમના માટે ખાસ પ્રકારના પિંજળા તૈયાર કરવામાં આવ્યા છે. ચાલો જાણીએ આ ઐતિહાસિક ઘટના પહેલા આ ચિત્તાઓના નામીબિયાથી ભારત આવવા સુધીની સફર વિશે.
- નામીબિયાના આ 8 ચિત્તાઓને ભારત લાવવામાં આવે તે પહેલાં સંપૂર્ણ રસી આપવામાં આવી છે. તેના ગળામાં સેટેલાઇટ કોલર છે જેથી તેની હિલચાલ પર નજર રાખી શકાય. તેઓને ઓટીવરાંગોના CCF સેન્ટરમાં ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.
- આ ચિત્તાઓની પસંદગી, તેમના સ્વાસ્થ્ય અને શિકારની ક્ષમતાના આધારે કરવામાં આવી છે. આ ચિત્તાઓ તેમના જનીન આગળ વધારવામી ક્ષમતા ધરાવે છે. આ કારણે વસ્તીમાં વધારો થવાની સંભાવના ઘણી વધારે છે.
- ભારતીય વિશેષ વિમાન નામીબિયાની રાજધાની વિંધોક હોસી કુટાકો ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી 16 સપ્ટેમ્બર એટલે કે શુક્રવારે બપોરે ઉડાન ભરશે. આ વિશેષ વિમાનની કેબિનમાં 8 પાંજરા હશે, જેમાં ચિત્તાઓને રાખવામાં આવશે.
- તેઓને આખી મુસાફરી દરમિયાન ભૂખ્યા રાખવામાં આવશે જેથી ફ્લાઇટમાં તેમની તબિયત બગડે નહીં. આ ચિત્તા લગભગ 11 કલાક સુધી ખાસ વિમાનમાં મુસાફરી કરશે. બોઇંગ સ્પેશિયલ એરક્રાફ્ટ 16 કલાક સુધી સતત ઉડવામાં સક્ષમ છે.
- આખી રાતની મુસાફરી બાદ આ વિમાન શનિવારે વહેલી સવારે જયપુર પહોંચવાનું હતું, પરંતુ હવે તેને ગ્વાલિયર લઈ જવામાં આવશે. અહીંથી હેલિકોપ્ટર દ્વારા ચિત્તાઓને જયપુરથી મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્ક લઈ જવામાં આવશે.
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે તેમના 72માં જન્મદિવસના અવસર પર આ નવા મહેમાનોનું સ્વાગત કરશે. આ પછી તેમને ફરીથી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવશે.
- આ ચિત્તાઓને પહેલા મહિના સુધી નાના પાંજરામાં રાખવામાં આવશે. જ્યારે તેઓને અહીં રહેવાની આદત પડી જશે, ત્યારે તેઓને એક મોટા પાંજરામાં છોડી દેવામાં આવશે. થોડા મહિના પછી, તેઓને જંગલમાં ખુલ્લા છોડી દેવામાં આવશે.
- આ 8 ચિત્તાઓમાં 5 માદા અને 3 નર ચિત્તાઓ છે.
- આ પ્રોજેક્ટ વિશે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી. આ વર્ષે મે મહિનામાં આ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી અને આ ચિત્તાઓને ભારત લાવવાની યોજના તૈયાર કરવામાં આવી હતી.
- આફ્રિકન ચિત્તાઓને ભારતમાં લાવવાનો પ્રોજેક્ટ 2009માં શરૂ થયો હતો. આ ચિત્તાઓને ગયા વર્ષે નવેમ્બરમાં ભારતમાં લાવવાની હતી, પરંતુ કોવિડ-19ને કારણે પ્રોજેક્ટ મોકૂફ રાખવામાં આવ્યો હતો.