Char Dham Yatra Train : શ્રદ્ધાળુઓ માટે ખુશખબર, ચારધામ યાત્રા માટે સ્પેશિયલ ટ્રેન દોડશે, જાણો વિગતો
IRCTC Special Train : રેલવે દ્વારા ચાર ધામ એટલે કે બદ્રીનાથ, જગન્નાથ પુરી, રામેશ્વરમ અને દ્વારકાધીશની યાત્રા માટે એક વિશેષ ટ્રેન ચલાવવાનું નક્કી કર્યું છે.
દેશમાં કોરોનાના કેસની સંખ્યા ઘટી રહી છે અને પરિસ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે. આ સ્થિતિને ધ્યાને લઈ ભારતીય રેલવે (Indian Railways) મુસાફરોની સુવિધા માટે રેલવે સેવાઓને વધારી રહી છે. કોરોનાના કારણે અનેક રૂટ પર સેવાઓ મર્યાદિત કરાઈ હતી અને ઘણી ટ્રેન સેવા બંધ કરવામાં આવી હતી.
હવે રેલવે દ્વારા શ્રદ્ધાળુઓને ભેટ આપતા ચાર ધામ (Char Dham Yatra) એટલે કે બદ્રીનાથ, જગન્નાથ પુરી, રામેશ્વરમ અને દ્વારકાધીશની યાત્રા માટે એક વિશેષ ટ્રેન ચલાવવાનું નક્કી કર્યું છે. શ્રી રામાયણ યાત્રા ટ્રેનની સફળતા બાદ હવે આઈઆરસીટીસીએ (IRCTC) ચારધામ યાત્રા સ્પેશિયલ ટ્રેન શરૂ કરી છે.
18 સપ્ટેમ્બર 2021 થી શરૂ થશે યાત્રા ચારધામ યાત્રા 16 દિવસની રહેશે અને તેની શરૂઆત 18 સપ્ટેમ્બર 2021 ના રોજ દિલ્હીના સફદરજંગ રેલવે સ્ટેશનથી શરૂ થશે અને સૌથી પહેલા બદ્રીનાથની યાત્રા પર જશે. આ યાત્રામાં માના ગામ, નરસિંહ મંદિર (જોશીમઠ), ઋષિકેશ, જગન્નાથ પુરીનો ગોલ્ડન બીચ, કોણાર્ક સૂર્ય મંદિર, ચંદ્રભાગા બીચ, સહિત ધનુષકોડી, રામેશ્વરમ, દ્વારકાધીશ, નાગેશ્વર જ્યોતિર્લિંગ, શિવરાજપુર બીચ અને બેટ દ્વારકા જેવા સ્થાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ ચાર ધામ યાત્રા દરમિયાન લગભગ 8500 કિ.મી.ની મુસાફરી થશે. અત્યાધુનિક ડિલક્સ એસી ટૂરિસ્ટ ટ્રેનમાં બે ડાઇનિંગ રેસ્ટોરન્ટ્સ, એક આધુનિક કિચન, કોચમાં શાવર, સેન્સર બેસ્ડ વોશરૂમ, ફુટ મસાજર સહિતની સુવિધાઓ યાત્રિકોને મળશે. સંપૂર્ણ એસી ટ્રેનમાં બે કોચ હશે જેમાં 1st એસી અને 2nd એસી કોચ હશે. ટ્રેનના દરેક કોચમાં સીસીટીવી કેમેરા અને સુરક્ષા ગાર્ડ પણ હશે.
આઈઆરસીટીસીએ (IRCTC) ભારત સરકારની પહેલ “દેખો અપના દેશ” અંતર્ગત ઘરેલુ પર્યટનને પ્રોત્સાહન આપવા માટે આ વિશેષ ટૂરિસ્ટ ટ્રેન શરૂ કરી છે. તેમાં મુસાફરી માટે વ્યક્તિ દીઠ 78,585 રૂપિયા ભાડુ ચૂકવવું પડશે. જેમાં એસી ટ્રેનમાં મુસાફરી ઉપરાંત ડિલક્સ હોટલોમાં રહેવાની સુવિધા, તમામ ફૂડ, ટ્રાવેલ ઈન્સ્યોરન્સ અને આઈઆરસીટીસી સર્વિસ મેનેજરની સુવિધા આપવામાં આવશે.
કોરોના નિયમોને ધ્યાનમાં રાખીને, 156 પ્રવાસીઓની ક્ષમતાવાળી આ ટ્રેનમાં માત્ર 120 પ્રવાસીઓ માટે જ બુકિંગ કરવામાં આવશે. 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો માટે COVID-19 રસીનો પ્રથમ ડોઝ લીધેલો હોવો જરૂરી છે.