Char Dham Yatra 2021 : 14 મેના દિવસે ખુલશે યમુનોત્રી ધામના કપાટ, પૂજારી સહીત 25 લોકોને જ મંજૂરી
ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા ખુલવાની સાથે જ ચાર ધામ યાત્રા (Char Dham Yatra 2021) શરૂ થશે. પરંતુ આ વર્ષે પહેલીવાર ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ અલગ-અલગ દિવસે ખુલશે.
Char Dham Yatra 2021 : ચારધામ યાત્રા અંતર્ગત અક્ષય તૃતીયા (અખા ત્રીજ) ના પવનપર્વની 14 મે શુક્રવારે યમુનોત્રી ધામના કપાટ વિધી વિધાનની સાથે ખોલવામાં આવશે. યમુનોત્રી મંદિર સમિતિના ઉપપ્રમુખ રાજસ્વરૂપ ઉનીયાલ અને સેક્રેટરી સુરેશ ઉનીયાલે જણાવ્યું હતું કે શુક્રવારે સવારે આઠ વાગ્યે માતા યમુનાની ઉત્સવની મૂર્તને ડોલીયાત્રાની સાથે ખારસાલીથી યમુનોત્રી ધામ રવાના કરવામાં આવશે.
માતા યમુનાના ભાઈ સમેશ્વર દેવતા (શનિ મહારાજ) ની ડોલી પણ તેમની સાથે યમુનોત્રી સુધી જશે. અભિજિત મુહૂર્તમાં યમુનોત્રી મંદિરના દરવાજા બપોરે 12.15 વાગ્યે વિશેષ પૂજા અને ધાર્મિક વિધિ સાથે ખોલવામાં આવશે.
તેમણે કહ્યું કે કોવિડ મહામારીને ધ્યાનમાં રાખીને કપાટ ખોલવાના આ સમયે પૂજારી, તીર્થ પુરોહિત અને પલગીર સહિત કુલ 25 લોકો હાજરી આપશે. આ તમામ લોકોના કોરોના ટેસ્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
પહેલી વાર અલગ-અલગ દિવસે ખુલશે ગંગોત્રી-યમુનોત્રીના કપાટ ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા ખુલવાની સાથે જ ચાર ધામ યાત્રા (Char Dham Yatra 2021) શરૂ થશે. પરંતુ આ વર્ષે પહેલીવાર ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ અલગ-અલગ દિવસે ખુલશે. યમુનોત્રી ધામના દરવાજા ખોલવાની તારીખ 14 મે નક્કી કરવામાં આવી છે. જયારે ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે ગંગોત્રી મંદિરમાં કપાટ ખોલવાની તારીખ 15 મે નક્કી કરવામાં આવી છે.અત્યાર સુધી અક્ષય તૃતીયાના તહેવાર પર જ બંને ધામના દરવાજા ખોલવામાં આવતા હતા.
યાત્રીઓ માટે બાયપાસ પગદંડી તૈયાર કરાઈ ગત વર્ષે 11 સપ્ટેમ્બરના રોજ ભીડિયાલિયાગ નજીક એક વિશાળ ભૂસ્ખલનથી જાનકીટ્ટી-યમુનોત્રી ફૂટપાથ પરના પુલ અને રસ્તાના આશરે 150 મીટરનો માર્ગ નાશ થયો હતો. આ વર્ષે ચારધામ યાત્રા (Char Dham Yatra 2021) શરૂ થયા પહેલા યાત્રીઓ યમુનોત્રી ધામની સરળ યાત્રા કરી શકે એ માટે યમુનોત્રીધામ તરફ યાત્રીઓ માટે બાયપાસ પગદંડી તૈયાર કરાઈ છે, આ બાયપાસમાં પાકા વોક વે સાથે બ્રિજનું નિર્માણ પૂર્ણ થયું છે.
પડકારોની વચ્ચે સવા મહિનામાં બનાવ્યો રસ્તો ચારધામ યાત્રા (Char Dham Yatra 2021) માં યાત્રીઓની સરળતા માટે ગત એપ્રિલ મહિનામાં ભૂસ્ખલનના કારણે નાશ પામેલા આ રસ્તાનો બાયપાસ બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી અને અનેક પડકારો હોવા છતાં સવા મહિના જેટલા ટૂંકા ગાળામાં આ રસ્તો બનાવવામાં આવ્યો છે. કોરોના સંક્રમણ અને વાતાવરણના પડકારો હોવા છતાં સવા મહિનામાં અહી 36 મીટરના પુલ સાથે 300-મીટર બાયપાસ માર્ગ તૈયાર કરવામાં આવ્યો છે. હવે માતા યમુનાની ડોલીયાત્રા આ માર્ગેથી યમુનોત્રી ધામ પહોંચશે.