કાશ્મીરમાં સીઝફાયર ભંગની ઘટનાઓ ઓછી થઈ, સરહદ પર હજુ પણ નાના-મોટા 35 આતંકી કેમ્પ: લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી
Jammu Kashmir: લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું કે હાલમાં ઘૂસણખોરીનો દર મોટાભાગે ફૂલપ્રૂફ છે. સરહદ પર આતંકવાદી કેમ્પ વિશે માહિતી આપતા તેમણે કહ્યું કે લગભગ 6 મુખ્ય આતંકવાદી કેમ્પ અને 29 નાના આતંકવાદી કેમ્પ છે.
જમ્મુ-કાશ્મીરમાં (Jammu-Kashmir) છેલ્લા 11થી 12 મહિનામાં થોડી સંખ્યામાં યુદ્ધવિરામની ઘટનાઓ બની છે. જો કે સરહદ પાર આતંકવાદી કેમ્પ હોવાની માહિતી મળી છે, જે પાકિસ્તાનની (Pakistan) મિલીભગતનો જીવતો જાગતો પુરાવો છે. ઉત્તરી આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ (Lt Gen Upendra Dwivedi) ઉધમપુરમાં મીડિયાને સંબોધિત કરતા આ વાત કહી. લેફ્ટનન્ટ જનરલે કહ્યું ફેબ્રુઆરી 2021થી છેલ્લા 11-12 મહિનામાં ખૂબ જ મર્યાદિત સીઝફાયરની ઘટનાઓ બની છે, જે દર્શાવે છે કે સીઝફાયર ખૂબ સારી રીતે કામ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે સીઝફાયરની 2થી 3 ઘટનાઓ સામે આવી છે જે અપવાદ છે.
From February 2021, ceasefire understanding has been working very well with very limited CFEs in last 11-12 months, & only 2-3 exceptions. Current infiltration rate is fool-proof to a great extent: Northern Army Commander Lt Gen Upendra Dwivedi in Udhampur, #JammuAndKashmir pic.twitter.com/OkT60HQKnU
— Tv9 Gujarati (@tv9gujarati) May 6, 2022
લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું કે હાલમાં ઘૂસણખોરીનો દર મોટાભાગે ફૂલપ્રૂફ છે. સરહદ પર આતંકવાદી કેમ્પ વિશે માહિતી આપતા તેમણે કહ્યું કે લગભગ 6 મુખ્ય આતંકવાદી કેમ્પ અને 29 નાના આતંકવાદી કેમ્પ છે. લેફ્ટનન્ટ જનરલે કહ્યું કે આ આતંકી છાવણીઓ સિવાય પણ ઘણા અસ્થાયી લૉન્ચ પેડ્સ છે, જે સામાન્ય રીતે વિવિધ સૈન્ય સ્થાપનો સાથે હાજર હોય છે. આવી સ્થિતિમાં પાકિસ્તાની સેના અને અન્ય એજન્સીઓની મિલીભગતને નકારી શકાય તેમ નથી. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન હંમેશા સરહદ પારથી ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરતું રહ્યું છે. જોકે સેના તેમની યોજનાને નિષ્ફળ બનાવી રહી છે.
BSFએ આતંકવાદી ઘૂસણખોરીના કાવતરાને નિષ્ફળ બનાવ્યું
તાજેતરમાં જ BSFએ આતંકીઓની ઘૂસણખોરીના મોટા કાવતરાને નિષ્ફળ બનાવ્યું છે. વાસ્તવમાં BSFએ જમ્મુ-કાશ્મીરના સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પર એક સુરંગ શોધી કાઢી હતી. BSFએ દાવો કર્યો હતો કે પાકિસ્તાની આતંકવાદીઓની આગામી અમરનાથ યાત્રામાં અવરોધ ઉભો કરવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. પરંતુ સમજદારી અને તત્પરતા સાથે આ બનતું અટકાવવામાં આવ્યું હતું. BSF અધિકારીઓએ જણાવ્યું કે બુધવારે સાંજે સાંબા જિલ્લામાં ચક ફકીરા બોર્ડર પોસ્ટ વિસ્તારમાં 150 મીટર લાંબી ટનલ મળી આવી હતી.
BSFના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ એસપીએસ સંધુએ જણાવ્યું હતું કે, “આ સુરંગની તપાસ સાથે, બીએસએફએ આગામી અમરનાથ યાત્રાને વિક્ષેપિત કરવાની પાકિસ્તાની આતંકવાદીઓની યોજનાને નિષ્ફળ બનાવી દીધી છે.” તેણે કહ્યું કે તાજેતરમાં જ પાકિસ્તાન તરફથી સુરંગ ખોદવામાં આવી હતી. તે બે ફૂટ પહોળી છે અને અત્યાર સુધીમાં તેમાંથી 21 બોરી રેતી મળી આવી છે. તેમણે કહ્યું કે સુરંગ સંબંધિત તમામ માહિતી એકત્ર કરવામાં આવશે.
આ ટનલ ભારતના છેલ્લા ગામથી 700 મીટરના અંતરે ખુલી રહી હતી
એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે “પાકિસ્તાની ચોકી ચમન ખુર્દ (ફૈઝ)ની સામે આંતરરાષ્ટ્રીય સરહદથી 150 મીટર અને સરહદની વાડથી 50 મીટર દૂર એક નવી ખોદેલી ટનલ શોધી કાઢવામાં આવી છે.” આ ટનલ ચોકી ચક ફકીરાથી 300 મીટરના અંતરે અને સરહદ પર ભારતના છેલ્લા ગામથી 700 મીટરના અંતરે ખુલી રહી હતી.
જમ્મુ ફ્રન્ટિયર ખાતે બીએસએફના મહાનિરીક્ષક ડીકે બુરાએ સુરંગ શોધવામાં બીએસએફના જવાનોના સમર્પણની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે દોઢ વર્ષથી પણ ઓછા સમયમાં આ પાંચમી સુરંગ શોધી કાઢવામાં આવી છે. તેમણે કહ્યું કે આ ભારતમાં અશાંતિ ફેલાવવા માટે પાકિસ્તાની સંસ્થાઓના ખરાબ ઈરાદા દર્શાવે છે.