દિલ્લી એકસાઈઝ કૌંભાડમાં તેલંગણાના મુખ્યપ્રધાનની પુત્રીની સીબીઆઈ કરશે પુછપરછ, સમન્સ મોકલ્યું
કે. કવિતાએ કહ્યું કે મને સીબીઆઈની નોટિસ આપવામાં આવી છે, જેમાં મારો ખુલાસો માંગવામાં આવ્યો છે. મેં અધિકારીઓને જાણ કરી છે કે હું તેમને 6 ડિસેમ્બરે હૈદરાબાદ સ્થિત મારા નિવાસસ્થાને મળીશ.
દિલ્લી શરાબ કૌંભાડમાં તપાસ કરી રહેલ સીબીઆઈએ, તેલંગણાના મુખ્યપ્રધાન કે ચંદ્રશેખર રાવની દિકરી અને તેલંગણા રાષ્ટ્ર સમિતિના પદાધિકારી કે કવિતાને પુછપરછ માટે હાજર થવા નોટીસ પાઠવી છે. CBI એ ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ-160 હેઠળ કવિતાને નોટિસ પાઠવી છે. નોટીસમાં જણાવવામાં આવ્યું છે કે, આગામી 6 જાન્યુઆરીના રોજ, સવારે 11 વાગે પુછપરછ કરવા માટે યોગ્ય જગ્યાં વિશે જાણ કરશો.
સીબીઆઈએ પાઠવેલી નોટિસનો જવાબ આપતા, કે. કવિતાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે સીબીઆઈના અધિકારીઓને જાણ કરી છે કે તેઓ તેને તેના હૈદરાબાદના નિવાસસ્થાને મળી શકે છે. કવિતાને મોકલવામાં આવેલી નોટિસમાં સીબીઆઈએ કહ્યું છે કે દિલ્લી શરાબ કૌંભાડના વિષયની તપાસ દરમિયાન કેટલાક તથ્યો સામે આવ્યા છે, જેનાથી તમે જાણતા હશો. તેથી, તપાસના હિતમાં, તમારી પાસેથી આવી હકીકતો વિશે પૂછપરછ કરવી જરૂરી છે.
કવિતાનું સામે આવ્યું નામ
કવિતાનું નામ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દિલ્લીની કોર્ટમાં કથિત રૂપે લાંચ લેવા બદલ દાખલ કરવામાં આવેલા રિમાન્ડ રિપોર્ટમાં સામે આવ્યું હતું. આ પછી તેણે કહ્યું હતું કે તે કોઈપણ તપાસનો સામનો કરવા તૈયાર છે.
હૈદરાબાદમાં મળવા તૈયાર છે કવિતા
કવિતાએ કહ્યું કે મને સીબીઆઈએ, CrPCની કલમ 160 હેઠળ નોટિસ ફટકારી છે, જેમાં મારો જરૂરી ખુલાસો માંગવામાં આવ્યો છે. મેં સીબીઆઈના અધિકારીઓને જાણ કરી છે કે તેમની વિનંતી મુજબ હું 6 ડિસેમ્બરે હૈદરાબાદ સ્થિત મારા નિવાસસ્થાને તેમને મળી શકું છું.
મનીષ સિસોદિયાએ પણ આરોપ લગાવ્યો
દિલ્લીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા પણ આ કેસના આરોપીઓમાંના એક છે. લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ કથિત ભ્રષ્ટાચારની સીબીઆઈ તપાસની માંગણી કર્યા પછી દિલ્લી સરકારની નવી દારૂ નીતિને રદ કરવામાં આવી હતી. દિલ્લી સરકારે કહ્યું છે કે એલજીનો નિર્ણય ખોટો હતો કારણ કે પોલિસી રદ થયા બાદ દિલ્લી સરકારને અંદાજિત આવકમાં કરોડો રૂપિયાનું નુકસાન થવા પામ્યું હતું.