ચીન સાથે સમજૂતી કરીને વડાપ્રધાન મોદીએ, ભારતની પવિત્ર જમીન ચીનને પધરાવી દીધીઃ રાહુલ ગાંધી
ચીન સામે મોદી (MODI) ઘુંટણીએ પડ્યા, લદ્દાખ LAC પર ફિગર 4 ભારતની, પણ સેનાને ફિગર 3 ઉપર રાખવાનું નક્કી કર્યુ હોવાનો આક્ષેપ રાહુલ ગાંધીએ કર્યો છે.
કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ, ભારત-ચીન સૈન્ય વચ્ચે લદ્દાખ એલએસી ( LAC ) ખાતે સર્જાયેલા ઘર્ષણ બાદ, સૈન્ય પરત ખેંચવા થયેલી સમજુતીને લઈને સવાલો કર્યા છે. સાથોસાથ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( PM NARENDRA MODI ) ઉપર વાકપ્રહાર પણ કર્યા છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે, પૈગોગ તળાવના વિસ્તારમાં ફિગર 4 ભારતનો વિસ્તાર છે પણ ભારતીય સૈન્ય ફિગર 4ને બદલે ફિગર 3 પર રહેશે તેવી સમજૂતી કરી છે. તો શુ આપણે આપણો વિસ્તાર ચીનને સોપી દિધો છે ? LAC પર આપણો સરહદી વિસ્તાર ફિગર 4થી ઘટીને ફિગર 3 સુધીનો થઈ ગયો છે.
લદ્દાખ સરહદે ભારતીય અને ચીનના સૈન્યને પરત ફરવા માટે થયેલી સમજૂતી સામે પણ સવાલો ઉઠાવતા રાહુલ ગાંધીએ કહ્યું કે, આ સમજૂતીથી ભારતને શો ફાયદો ? ચીન સામે સખત મહેનત અને સૈન્ય ઘર્ષણ કરીને ભારતીય સૈન્યે લદાખ એલએસી પર જે કાંઈ પ્રાપ્ત કર્યું હતું તે સ્થિતિએથી કેમ ભારતીય સૈન્યને પરત ફરવા કહેવાયુ ? આ સમજૂતીથી ભારતને શો ફાયદો થયો છે. સૌથી વધુ મહત્વની વાત એ છે કે દેપસાંગ પ્લેન્સમાં કેમ ચીન પાછળ નથી હટ્યુ. ગોગરા અને હોટ સ્પ્રિન્ગથી કેમ ચીન પાછળ નથી ખસ્યુ. ભારતની પવિત્ર જમીન નરેન્દ્ર મોદીએ ચીનની પધરાવી દીધી છે.