
લોકસભા ચૂંટણીની રણનીતિ બનાવવાને લઈ ભારતીય જનતા પાર્ટી એક્શન મોડમાં જોવા મળી રહી છે. વડાપ્રધાન મોદી પોતે આગામી દિવસોમાં રાજ્યોના પ્રવાસ કરશે અને કેન્દ્ર સરકાર તરફથી કરેલા કામનું રિપોર્ટ કાર્ડ રજૂ કરવાના છે. મળતી માહિતી મુજબ ચૂંટણીની તારીખની જાહેરાત પહેલા વડાપ્રધાન મોદી મોટા રાજ્યોમાં ઓછામાં ઓછા 2 અને નાના રાજ્યનો 1 પ્રવાસ પ્રસ્તાવિત છે. તેની વચ્ચે ઘણા મોટા રાજ્યોમાં 3 વખત પણ પ્રવાસ કરી શકે છે.
પાર્ટી સુત્રોના જણાવ્યા મુજબ 7 ફેબ્રુઆરી પહેલા વડાપ્રધાન મોદીનો દેશના મોટાભાગના રાજ્યમાં એકથી વધારે પ્રવાસ કરવાનો પ્રસ્તાવ છે. ત્યારે વડાપ્રધાન મોદી ગુજરાત અને મહારાષ્ટ્રનો પ્રવાસ કરવા જઈ રહ્યા છે. બે દિવસ ગુજરાતમાં અને એક દિવસ મહારાષ્ટ્રમાં રહેશે. વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લેવા સોમવારે 8 જાન્યુઆરીએ ગુજરાત પહોંચશે.
સમિટમાં ભાગ લેવા સિવાય મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સહિત સંગઠનના લોકો સાથે પણ લોકસભા ચૂંટણીની તૈયારીને લઈ ચર્ચા કરશે. વડાપ્રધાન મોદી લોકસભા ચૂંટણીને લઈ બેઠકો યોજીને તૈયારીઓની સમીક્ષા કરશે. ભાજપે ફરી એક વખત 26 લોકસભા સીટને જીતવાનું લક્ષ્ય રાખ્યુ છે.
વડાપ્રધાન મોદી સમિટમાં ભાગ લેવા માટે આવી રહેલા રાષ્ટ્ર પ્રમુખો સાથે દ્વિપક્ષીય ચર્ચા પણ કરશે. પીએમ મોદી તિમોર લેસ્ટે, મોઝામ્બિક, યુએઈ, ચેક રિપબ્લિક વગેરે દેશોના પ્રમુખો સાથે ચર્ચા કરશે. મંગળવારે સવારે 9 વાગ્યે ગાંધીનગરમાં બ્રિફિંગ હશે. વડાપ્રધાન મોદી બપોરે 3 વાગ્યે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે.
સાંજે 5.30 વાગ્યે યૂએઈના રાષ્ટ્રપતિનું એરપોર્ટ પર સ્વાગત કરશે. સાંજે 6 વાગ્યે સાબરમતી આશ્રમની મુલાકાત લેશે. સાંજે 7 વાગ્યે હોટલ લીલામાં યૂએઈના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય ચર્ચા અને ડિનર કરશે. ત્યારબાદ વડાપ્રધાન ગાંધીનગરના રાજભવનમાં રોકાશે.
વડાપ્રધાન મોદી 12 જાન્યુઆરી શુક્રવારે મહારાષ્ટ્રનો પ્રવાસ કરશે. બપોરે 12.15 વાગ્યે 27માં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. બપોરે 2.30 વાગ્યે મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકનું ઉદ્ઘાટન કરશે. સાંજે 4.15 વાગ્યે નવી મુંબઈમાં અલગ અલગ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
વડાપ્રધાન મોદીના બિહારમાં 2-3 પ્રવાસ પ્રસ્તાવિત છે. તેમાં એક બેતિયા, જ્યારે બીજો બેગૂસરાયમાં પ્રવાસ પ્રસ્તાવિત છે અને ત્રીજા પ્રવાસને લઈને હાલમાં સ્થળ નક્કી કરવામાં આવ્યુ નથી પણ કહેવામાં આવી રહ્યું છે કે ત્રીજુ સ્થાન ઔરંગાબાદ હોય શકે છે. આ ક્રમમાં બેતિયામાં 13 જાન્યુઆરીએ વડાપ્રધાનનો પ્રવાસ પ્રસ્તાવિત છે. વડાપ્રધાનના આ પ્રવાસ દરમિયાન અલગ અલગ સરકારી કાર્યક્રમોનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન થશે.
ત્યારે વડાપ્રધાન પબ્લિક રેલી અને રોડ શો પણ કરશે. વડાપ્રધાન સિવાય ગૃહપ્રધાન અમિત શાહના પણ 2 પ્રવાસ લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા પ્રસ્તાવિત છે.