રાજસ્થાનની મુલાકાતે BJP અધ્યક્ષ જે.પી. નડ્ડા, 10 હજાર બૂથ અધ્યક્ષ સાથે કરશે સીધો સંવાદ , જિલ્લા કાર્યાલયનું કરશે લોકાર્પણ
રાજસ્થાન (Rajasthan) વિધાનસભા ચૂંટણી 2023 અગાઉ ભાજપના (BJP )રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા (J.P.Nadda) આજથી 2 દિવસ માટે રાજસ્થાનની મુલાકાતે પહોંચી રહ્યા છે. નડ્ડા 10-11 મેના રોજ રાજસ્થાનમાં વિવિધ કાર્યક્રમમાં સહભાગી થશે. જે.પી.નડ્ડા આજે બપોરે શ્રીગંગાનગર જિલ્લાના સૂરતગઢમાં પહોંચશે.
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023 (Rajasthan Assembly Election) પહેલા જ બીજેપી ચૂંટણી (Election) મોડમાં આવી ગઈ છે. આ જ સંદર્ભમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આજથી બે દિવસ માટે રાજસ્થાનની મુલાકાતે છે. અહીં બીજેપી એકમમાં ઘણા લાંબા સમયથી મુખ્યમંત્રીના ચહેરા માટે ચાલી રહેલી ખેંચતાણની પરિસ્થિતિ દરમિયાન નડ્ડા 10 તેમજ 11 મેના રોજ રાજસ્થાનમાં વિવિધ કાર્યક્રમમાં સામેલ થશે. જે.પી. નડ્ડા તેમના કાર્યક્રમ અંતર્ગત શ્રીગંગાનગર જિલ્લાના સૂરતગઢ પહોંચશે જ્યાં તે બિકાનેરના બૂથ કાર્યકર્તામાં સંમેલનમાં પણ સામેલ થશે.
ત્યાર બાદ 11 મેના રોજ જે.પી.નડ્ડા હનુમાનગઢમાં જિલ્લા કાર્યાલય સહિત 10 જિલ્લા બીજેપી કાર્યલયનું વર્ચ્યૂઅલી ઉદ્ધાટન કરશે. નડ્ડાના આ કાર્યક્રમોને લઇને રાજસ્થાનના પ્રદેશ પ્રભારી અરૂણ સિંહે જાણકારી આપી હતી કે સવારે 11 વાગે જે.પી.નડ્ડાના આગમન બાદ તમામ કાર્યક્રમો શરૂ થશે. જે.પી.નડ્ડા રાજસ્થાન મુલાકાત દરમિયાન શ્રીગંગાનગર, બિકાનેર, ધોલપુર, અજમેર, નાગૌર, ચિત્તોડગઢ, ઉદયપુર તેમજ અલવર જિલ્લાના કાર્યાલયનું ઉદ્ધાટન કરશે. સાથે જ દૌસા, ચૂર, પ્રતાપગઢ અને બારાં જિલ્લાના બીજેપી કાર્યાલયનું ભૂમિપૂજન પણ કરશે.
દિલ્લીથી સૂરતગઢ પહોંચશે જે.પી.નડ્ડા
રાજસ્થાનના બીજેપી પ્રભારી અરૂણ સિંહ અને સતીશ પૂનિયા બે દિવસથી સૂરતગઢમાં નડ્ડાના કાર્યક્રમોની તૈયારીઓની સમીક્ષા કરી રહ્યા છે. અરૂણ સિંહે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડા દિલ્લીથી બપોરે 12 વાગ્યે વિમાન માર્ગે સૂરતગઢ પહોચશે. ત્યાર બાદ જૈતસર રોડ ઉપર આવેલા રિસોર્ટમાં બૂથ સ્તરીય સંકલ્પ સંમેલનને સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં 4 જિલ્લાના 5 હજારથી વધુ કાર્યકર્તા સામેલ થશે.
રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા પ્રથમ વાર શ્રીગંગાનગર જિલ્લામાં આવી રહ્યા છે ત્યારે તેમનું ફોકસ સંગઠનાત્મક મજબૂતી પર રહેશે. સાથે જ બૂથ કાર્યકર્તા અને બૂથ અધ્યક્ષ સાથે સંવાદ સાધીને આગામી વર્ષે આવનારી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ અંગે પણ સૂચન કરશે. તો જયપુરમાં 20 મે તથા 21 મેના રોજ આયોજિત બીજેપીના રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠક પહેલા જે.પી.નડ્ડાની આ મુલાકાતને રાજકીય રીતે ઘણી મહત્વની માનવામાં આવી રહી છે.
આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી થશે આયોજિત
નોંધનીય છે કે આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી આયોજિત થશે. એવામાં બીજેપી આલાકમાન ઇચ્છે છે કે બીજેપીમાં અંદરોઅંદરના જૂથવાદનો અંત આવે અને અશોક ગેહલોતને સત્તાથી દૂર કરવાની રણનીતિ પર કામ કરવામાં આવે. પ્રદેશ પ્રભારી અરૂણ સિંહના જણાવ્યા મુજબ વિધાનસભા ચૂંટણી પહેલા બીજેપી રાજસ્થાનમાં બૂથ મેનેજમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. જેથી રાજસ્થાનના ગામડાઓ સુધી પહોંચીને બીજેપી કાર્યકર્તા ગેહલોત સરકાર વિરૂદ્ધ અભિયાનની શરૂઆત કરશે.