Bihar Political News: મહારાષ્ટ્રમાં શિવસેના-એનસીપીનું વિભાજન, હવે બિહાર પર ભાજપની નજર?
આમ અત્યારે તો એમ કહી શકાય કે, લોકસભાની આગામી ચૂંટણીમાં બિહારમાંથી 39 બેઠકો જીતવા માટે ભાજપ પાસે એક મનોવૈજ્ઞાનિક દબાણ છે. ગઈ ચૂંટણીમાં તો નીતિશના સાથ સહકારને કારણે 40માંથી 39 બેઠકો એનડીએ લઈ શક્યું હતું. આ વખતે ભાજપની સામે નિતીશ ઉપરાંત લાલુ-તેજસ્વી યાદવ પણ છે. આવી સ્થિતિમાં ભાજપ ઉપર ગઈ વખતની જેમ આ વખતની ચૂંટણીમાં પણ સર્વોચ્ચ દેખાવ કરવાનું દબાણ હશે. કારણ કે, ભાજપે ગુજરાત, મધ્યપ્રદેશ, હરિયાણા, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, બિહારમાં સારો દેખાવ કરીને વધુ બેઠકો જીત્યું હતું.

બિહારમાં જેડીયુને તોડવા માટે રાજ્યસભાના સભ્ય અને ભાજપના મોવડી સુશીલ મોદીના નિવેદન બાદ, રાજકારણ ગરમાયું છે. જેટલા મ્હોં એટલી વાતો થઈ રહી છે. મહારાષ્ટ્ર એનસીપીમાં ભંગાણ સર્જાયાના બીજા જ દિવસે સુશીલકુમારે કરેલા નિવેદન ખૂબ સુચક માનવામાં આવી રહ્યું છે. લોકસભાની આગામી ચૂંટણી સાથે આ નિવેદનના ગુઢાર્થ સંકળાયેલા હોય તેમ લાગી રહ્યું છે. લોકસભાની આગામી ચૂંટણી જીતવા માટે ભાજપ કોઈ પણ ભોગે બિહારમાં નીતિશને નબળા પાડવા માગે છે.
બિહારના રાજકારણને જાણનારા સુશીલકુમારના નિવેદનને સારી રીતે સમજી શકે છે. બિહાર વિધાનસભાની કુલ 243 બેઠકો છે. જે પૈકી આરજેડીના 79 ધારાસભ્ય છે. ભાજપના 77 છે. જેડીયુના 45 ધારાસભ્યો છે તો કોંગ્રેસના 19 ધારાસભ્યો છે. કમ્યુનિસ્ટ પાર્ટીના ધારાસભ્યોની સંખ્યા 16 છે. બિહારમાં નીતિશ કુમારે, જેડીયુ, આરજેડી, કોંગ્રેસ, સામ્યવાદી પક્ષો વગેરેના સમર્થનથી સરકાર બનાવી છે. આ શંભુમેળા જેવી સરકારમાંથી જો કોઈ રાજકીય પક્ષ ટેકો પાછો ખેંચી લે તો સરકારનું પતન થાય. કારણ કે, 243 સભ્ય સંખ્યા ધરાવતી વિધાનસભામાં બહુમતી માટે 122 ધારાસભ્યોનો ટેકો જોઈએ. હવે સુશીલ મોદીએ જે વાત કરી છે તે મુજબ માની લો કે, JDUના બે તૃતીયાંશ ધારાસભ્યો પક્ષ છોડે તો પક્ષ છોડનારાઓની સંખ્યા 29 થાય. અને આ ધારાસભ્યો ભાજપ સાથે મળીને સરકાર બનાવવા ઈચ્છે તો બન્ને પક્ષના થઈને ધારાસભ્યોની સંખ્યા 106 જ થાય. આમ બહુમતીના જાદુઈ આંકડાએ ભાજપ અને જેડીયુના ભંગાણ વાળા ધારાસભ્યોનો સંઘ પહોચી શકતો નથી.
જો બિહારમાં ભાજપ અને જેડીયુમાંથી અલગ થઈને સરકાર બનાવવા માંગતા હોય તો, આ બન્ને પક્ષને વધુ 16 ધારાસભ્યોની જરૂર પડે. આ જોતા જેડીયુને તોડવાનો એક જ વિકલ્પ બાકી રહે છે. જો કે રાજકારણમાં કહેવાય છે કે કોઈ કોઈન કાયમી દુશ્મન નથી કોઈ કોઈના કાયમી મિત્ર નથી. સૌ ગરજને લઈને રાજકીય સંબધ જાળવે છે. આ જોતા સરકારની મધલાળ ચાખવા માટે કોઈ પણ પક્ષ કોઈ પણ સાથે જોડાણ કરી શકે છે. અને િહાર જેવા રાજ્યમાં તો આ કાંઈ નવું નથી.
બિહારના જાણીતા પત્રકાર તિરવિજયસિંહના જણાવ્યાનુસાર, સુશીલકુમારના ગર્ભિત નિવેદન પાછળનુ રહસ્ય લોકસભાની આગામી ચૂંટણી છે. લોકસભાની ચૂંટણી જીતાવ માટે અત્યારથી સોગઠા ગોઠવાઈ રહ્યાં છે. આ સોગઠામાં કેટલાક ચહેરા ખુટે છે તે પૂરા કરવા માટે આયાતી ઉમેદવારોની જરૂર ભાજપને પડશે. જેના માટે સુશીલ કુમારે દાવો કર્યો છે કે, બિહારમાં રાજકીય પક્ષ તુટશે. બિહારમાં લોકસભાની કુલ 40 બેઠકો છે. કેન્દ્રમાં સત્તા બનાવવા માટે ઉતરપ્રદેશ અન બિહારમાં જે પક્ષ વધુ બેઠકો મેળવે તે સરકાર બનાવવાની નજીક સરકે છે. ગત લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો, બિહારની 40 બેઠકો પૈકી એનડીએને કુલ 39 બેઠકો મળી હતી. આ 39 બેઠકો ભાજપને જેડીયુના સાથે જોડાણ કર્યાના પરિણામે મળી હતી. જો કે હવે જેડીયુ એનડીએનો ભાગ ના હોવાથી, ભાજપને શંકા છે કે આગામી ચૂંટણીમાં 39 બેઠકો મળશે કે કેમ.
આમ અત્યારે તો એમ કહી શકાય કે, લોકસભાની આગામી ચૂંટણીમાં બિહારમાંથી 38 બેઠકો જીતવા માટે ભાજપ પાસે એક મનોવૈજ્ઞાનિક દબાણ છે. ગઈ ચૂંટણીમાં તો નીતિશના સાથ સહકારને કારણે 40માંથી 39 બેઠકો એનડીએ લઈ શક્યું હતું. આ વખતે ભાજપની સામે નિતીશ ઉપરાંત લાલુ-તેજસ્વી યાદવ પણ છે. આવી સ્થિતિમાં ભાજપ ઉપર ગઈ વખતની જેમ આ વખતની ચૂંટણીમાં પણ સર્વોચ્ચ દેખાવ કરવાનું દબાણ હશે.