ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસને મોટો આંચકો, પ્રિયંકા ગાંધીના સલાહકારે પાર્ટી છોડી
પશ્ચિમ યુપીના શક્તિશાળી જાટ નેતા અને પ્રિયંકા ગાંધીના સલાહકાર હરેન્દ્ર મલિક અને કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ પંકજ મલિકે પક્ષમાંથી રાજીનામું આપ્યું છે.
કોંગેસ(Congress)મહાસચિવ પ્રિયંકા ગાંધીના(Priyanka Gandhi)કેમ્પમાંથી યુપીમાં(UP)કોંગ્રેસના નેતાઓ પાર્ટી છોડવાનો સીલસિલો હજુ પણ યથાવત રહ્યો છે. જેમાં હવે પ્રિયંકા ગાંધીના સલાહકાર હરેન્દ્ર મલિક(Harendra Malik) અને કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ પંકજ મલિકે(Pankaj Malik)રાજીનામું આપ્યું છે. આ પિતા અને પુત્રની ગણતરી પશ્ચિમ યુપીમાં શક્તિશાળી જાટ નેતાઓમાં થાય છે. ગત સપ્તાહે પ્રિયંકાએ પંકજને ચૂંટણી વ્યૂહરચના અને આયોજન સમિતિના સભ્ય બનાવ્યા હતા.
હરેન્દ્ર મલિક સાંસદ રહ્યા છે જ્યારે તેમના પુત્ર પંકજ બે વખત કોંગ્રેસમાંથી ધારાસભ્ય રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આ બંને નેતાઓ ટૂંક સમયમાં સમાજવાદી પાર્ટીમાં જોડાઈ શકે છે. મલિક પરિવાર મુઝફ્ફરનગરનો રહેવાસી છે. અખિલેશ યાદવ 22 ઓક્ટોબરે મુઝફ્ફરનગરમાં રેલી કરવાના છે. તેમજ અહેવાલ છે કે તે દિવસે મંચ પર હરેન્દ્ર મલિક અને પંકજ મલિક અખિલેશ યાદવ સાથે જોવા મળી શકે છે.
કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ હરેન્દ્ર મલિકે પ્રિયંકા ગાંધીના નજીકના લોકો પર પાર્ટીને હાઇજેક કરવાનો આરોપ લગાવ્યો હતો. પ્રિયંકા 17 ઓક્ટોબરથી સહારનપુરથી પરિવર્તન યાત્રા શરૂ કરવાના હતા. પરંતુ આ વિસ્તારના કોંગ્રેસી નેતાઓના ટેકાના અભાવે આ કાર્યક્રમ શરૂ થઈ શક્યો ન હતો. એક મોટી ચર્ચા એ પણ છે કે સહારનપુરમાં રહેતા કોંગ્રેસ નેતા ઈમરાન મસૂદ પણ પાર્ટી છોડી શકે છે. તેમણે ઘણી વખત કહ્યું છે કે યુપીમાં માત્ર સમાજવાદી પાર્ટી જ ભાજપને હરાવી શકે છે. હરેન્દ્ર અને પંકજ મલિક દ્વારા કોંગ્રેસ પાર્ટી છોડવી પક્ષ માટે વિધાનસભા ચુંટણી પૂર્વે મોટો આંચકો છે.
હરેન્દ્ર મલિકે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત ચૌધરી અજીત સિંહ સાથે કરી હતી. તેની બાદ તેઓ જનતા દળમાં હતા. મલિક 1989 માં જનતા દળની ટિકિટ પર ખાટૌનીથી પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. તેની બાદ તેઓ મુઝફ્ફરનગરની બગરા બેઠક પરથી લોકદળમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા. તેના પછી તેઓ સમાજવાદી પાર્ટીમાં ગયા. અહીંથી, તેઓ ઇન્ડિયન નેશનલ લોક દળ તરફથી હરિયાણાથી રાજ્યસભાના સાંસદ બન્યા. પછી તેઓ કોંગ્રેસમાં ગયા.
ગત લોકસભાની ચૂંટણી કૈરાનાથી લડયા હતા પરંતુ હારી ગયા હતા. તેમના પુત્ર પંકજ મલિક બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. હરેન્દ્ર મલિકે પોતાનું રાજીનામું સોનિયા ગાંધીને મોકલ્યું છે અને પંકજે પોતાનું રાજીનામું યુપી કોંગ્રેસ પ્રમુખને મોકલી આપ્યું છે. તાજેતરમાં ઘણા નેતાઓએ પાર્ટી છોડી દીધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસના ઘણા નેતાઓ પ્રિયંકાની ટીમના લોકોના વર્તનથી નારાજ થઈ રહ્યા છે.
આ અંગે પંકજ મલિકે કહ્યું મારા પિતાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. લાંબા સમય સુધી પાર્ટી માટે કામ કર્યું છે. પરંતુ કેટલાક કારણોસર આવો નિર્ણય લેવો પડ્યો છે. આ અઠવાડિયે આગળની વ્યુહ રચનાની જાહેરાત કરશે.
આ પણ વાંચો : દિવાળી પૂર્વે ચીજ વસ્તુઓના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
આ પણ વાંચો : Capt Amarinder Singhની મોટી જાહેરાત, નવેમ્બરમાં બનાવશે પોતાની પાર્ટી, જાણો કોની સાથે ગઠબંધન કરશે