Chardham Yatra : ચારધામ યાત્રા માટે ઓફલાઈન રજીસ્ટ્રેશન સાત દિવસ માટે બંધ, જાણો કેમ ઉત્તરાખંડ સરકારે લીધો મોટો નિર્ણય
ઉત્તરાખંડ પ્રવાસન વિકાસ પરિષદ દ્વારા શ્રદ્ધાળુઓની ઓનલાઈન અને ઓફલાઈન (offline registration) નોંધણી કરવામાં આવી રહી છે. યાત્રાળુઓને ઓનલાઈન નોંધણીની સુવિધા UTDBની સત્તાવાર વેબસાઈટ પર ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
ઉત્તરાખંડ (Uttarakhand) સરકારે ચારધામ યાત્રા માટે શ્રદ્ધાળુઓની ભીડને જોતા આગામી સાત દિવસ માટે યાત્રાનું ઓફલાઈન રજીસ્ટ્રેશન (offline registration) બંધ કરી દીધું છે. રાજ્યના પ્રવાસન વિભાગે ચારધામ યાત્રાનું રજીસ્ટ્રેશન એક સપ્તાહ માટે સંપૂર્ણપણે બંધ કરી દીધું છે અને જે મુસાફરો ઓફલાઈન રજીસ્ટ્રેશન કરશે તેઓનું એક સપ્તાહ દરમિયાન બુકિંગ કરવામાં આવશે નહીં. માહિતી અનુસાર, અત્યાર સુધી મુસાફરો આખી સીઝનના કોઈપણ દિવસ માટે ઓફલાઈન રજીસ્ટ્રેશન કરાવતા હતા અને તે જ દિવસે મુસાફરી કરતા હતા. ઓફલાઈન રજીસ્ટ્રેશન કરીને ચારધામ યાત્રા (Chardham Yatra) સુધી પહોંચતા મુસાફરોની ફરિયાદ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યના પ્રવાસન સચિવ દિલીપ જવલકરે જણાવ્યું હતું કે કેટલાક લોકો ઑફલાઇન પધ્ધતિ દ્વારા આગામી મહિનાઓ માટે સ્લોટ બુક કરી રહ્યા છે, પરંતુ તે જ દિવસે તેઓ યાત્રા પર નીકળે છે. રજીસ્ટ્રેશન ચેકીંગ દરમિયાન પોલીસ આવા વાહનોને રસ્તામાં રોકી રહી છે અને તેના કારણે ભક્તોને બિનજરૂરી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને યાત્રા ધામોમાં ભીડ પણ વધી રહી છે. તેથી, આવી સ્થિતિને ટાળવા માટે, નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે માત્ર ઓફલાઇન નોંધણી સાત દિવસ માટે બંધ રહેશે અને તે પછીથી શરૂ કરવામાં આવશે.
ટ્રાવેલ એજન્ટો કરી રહ્યા છે તોડ
મળતી માહિતી મુજબ હરિદ્વાર, ઋષિકેશના રજીસ્ટ્રેશન સેન્ટરો પર ટ્રાવેલ એજન્ટ્સ જૂન, જુલાઈ, ઓગસ્ટ મહિના માટે બુકિંગ કરાવી રહ્યા છે અને લોકો આ સ્લિપ લઈને પ્રવાસ પર જઈ રહ્યા છે. જેના કારણે ચાર ધામમાં મુસાફરી કરનારા લોકોની સંખ્યા જણાવવામાં આવી રહી નથી અને તેના કારણે અરાજકતા સર્જાઈ રહી છે.
20 કેન્દ્રો પર ઓફલાઈન રજીસ્ટ્રેશન
ઉત્તરાખંડ પ્રવાસન વિકાસ પરિષદ દ્વારા ભક્તોની નોંધણી ઓનલાઈન અને ઓફલાઈન કરવામાં આવી રહી છે. યાત્રાળુઓને ઓનલાઈન નોંધણીની સુવિધા UTDBની સત્તાવાર વેબસાઈટ પર ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. જ્યારે ઋષિકેશ, હરિદ્વાર, ઉત્તરાખંડ બોર્ડર સહિતના ટ્રાવેલ રૂટ પરના કુલ 18 થી 20 સેન્ટરોમાં ઓફલાઈન રજીસ્ટ્રેશન થઈ રહ્યું છે.