ભારત જોડો યાત્રા: રાહુલ ગાંધીએ કહ્યું- પગમાં ભલે છાલા પડી જાય, પરંતુ અમે રોકાશું નહી
રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કરતા આરોપ લગાવ્યો કે ભાજપે સાબિત કર્યું છે કે નફરતનો ઉપયોગ રાજકીય રીતે અને ચૂંટણી જીતવા માટે કરી શકાય છે, પરંતુ તે નોકરીઓનું સર્જન કરી શકતી નથી.
મંગળવારે, કેરળમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રાના (Bharat Jodo Yatra) ત્રીજા દિવસે યાત્રા માટે લોકો ઉત્સાહિત થયા અને કોંગ્રેસના અનેક નેતાઓ અને સમર્થકો વરસાદ વચ્ચે છત્રી વિના રસ્તાઓ પર ચાલતા જોવા મળ્યા હતા. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ (Rahul Gandhi) કન્યાકુમારીથી કાશ્મીર સુધીની 3500 કિલોમીટરની પદયાત્રા શરૂ કરી છે. તેમણે કહ્યું કે યાત્રામાં સામેલ લોકોને પગમાં છાલા પડી ગયા છે, પરંતુ અભિયાન ચાલુ રહેશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પદયાત્રીઓનું સ્વાગત કરવા માટે મોટી સંખ્યામાં લોકો રસ્તાઓ પર ઉભા જોવા મળ્યા હતા.
વરસાદ દરમિયાન રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસી નેતાઓ છત્રી વગર રસ્તા પર ચાલી રહ્યા હતા. ફેસબુક પોસ્ટમાં ગાંધીએ લખ્યું કે, અમારા પગમાં ફોલ્લા હોવા છતાં પણ અમે દેશને એક કરવા માટે બહાર આવ્યા છીએ. અમે રોકવાના નથી. કેરળમાં કોંગ્રેસની ‘ભારત જોડો’ યાત્રાનો ત્રીજો દિવસ છે. આ યાત્રા સવારે લગભગ 7.15 વાગ્યે અહીં કાઝકુટમની નજીક કન્યાપુરમથી શરૂ થઈ હતી. આ દરમિયાન કેરળ તબક્કાના છેલ્લા બે દિવસની જેમ લોકોની ઉત્સાહી ભીડ જોવા મળી હતી. ‘ભારત જોડો’ યાત્રા અંતર્ગત 150 દિવસમાં કન્યાકુમારીથી કાશ્મીર સુધીનું 3570 કિલોમીટરનું અંતર કાપવામાં આવશે.
સોમવાર સુધી 100 કિમીની યાત્રા પૂર્ણ કરી
યાત્રા દિવસના પ્રથમ હોલ્ટ પોઈન્ટ પર અટ્ટિંગલ ખાતે પહોંચી ત્યારે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) ના જનરલ સેક્રેટરી કોમ્યુનિકેશન ઈન્ચાર્જ જયરામ રમેશે ટ્વીટ કર્યું, પદયાત્રા હમણાં જ અટ્ટિંગલ નજીક મામોમ ખાતે તેના વહેલી સવારના પડાવ પર પહોંચી છે, જ્યાં વિવિધ સમૂહના લોકો છે. સોમવારે સાંજે યાત્રા પૂરી થઈ ત્યાં સુધીમાં 100 કિમીનું અંતર કાપ્યું હતું. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કાઝકુટમમાં એક સભાને સંબોધતા કહ્યું કે નફરત, હિંસા અને ગુસ્સાથી ચૂંટણી જીતી શકાય છે, પરંતુ તે દેશની સામાજિક-આર્થિક સમસ્યાઓને હલ કરી શકતી નથી.
પદયાત્રા જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ લોકોની ભીડ પણ વધી રહી છે. તેનાથી ઉત્સાહિત થઈને રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કરતા આરોપ લગાવ્યો કે ભાજપે સાબિત કર્યું છે કે નફરતનો ઉપયોગ રાજકીય રીતે અને ચૂંટણી જીતવા માટે કરી શકાય છે, પરંતુ તે નોકરીઓનું સર્જન કરી શકતી નથી. તેમણે આરોપ લગાવ્યો હતો કે ભારતમાં લોકોનો સંવાદ અને અવાજ બંધ કરી દેવામાં આવ્યો છે કારણ કે મીડિયા પણ દેશની સરકાર જે કહેવા માંગે છે તે કહી રહ્યું છે અને આ મીડિયા સંસ્થાઓના માલિકો પર શાસક સરકાર દ્વારા લાદવામાં આવેલા દબાણને કારણે છે.