ભજન સમ્રાટ નરેન્દ્ર ચંચલનું 80 વર્ષની વયે અવસાન, લાંબા સમયથી હતા બીમાર
ભજન સમ્રાટ Narendra Chanchalનું દિલ્હીની એપોલો હોસ્પિટલમાં નિધન થયું છે. નરેન્દ્ર ચંચલ 80 વર્ષના હતા.
જાણીતા ભજન સમ્રાટ નરેન્દ્ર ચંચલનું દિલ્હીની એપોલો હોસ્પિટલમાં નિધન થયું છે. નરેન્દ્ર ચંચલ 80 વર્ષના હતા. તેઓની તબિયત છેલ્લા ત્રણ મહિનાથી ખરાબ હતી અને એમની સારવાર ચાલી રહી હતી.
તેમણે ઘણા પ્રખ્યાત ભજનોની સાથે સાથે હિન્દી ફિલ્મોમાં ગીતો પણ ગાયા છે. માત્ર શાસ્ત્રીય સંગીતમાં જ નથી પરંતુ તેમને લોકસંગીતમાં પણ ખુબ મોટી નામના મેળવી હતી. રાજેશ ખન્નાની ફિલ્મ અવતારનું ગીત ‘ચાલો બુલાવા આયા હૈ’ કોને નહીં ખબર હોય. આ ગીતમાં પણ નરેન્દ્ર ચંચલે અવાજ આપ્યો હતો.
નાનપણથી જ નરેન્દ્ર ચંચલે તેમની માતા કૈલાશવતીને માતારાનીના ભજન ગાતા સાંભળ્યા હતા. આ જ કારણોસર તેમને ગાયકીમાં રસ વધ્યો. તેમના તોફાની સ્વભાવ અને ચંચળતાને કારણે શિક્ષકો તેમને ‘ચંચલ’ કહીને બોલાવતા હતા. આ કારણે નરેન્દ્રએ તેમના નામમાં કાયમ માટે ચંચલ નામ ઉમેર્યું હતું.
બોલીવૂડમાં પણ ગાયા હતા ગીતો
નરેન્દ્ર ચંચલે રાજ કપૂરની ફિલ્મ બોબીમાં ‘બેશક મંદિર મસ્જીદ તોડો’ ગીત ગાયું હતું. આ ગીત હજી પણ લોકોની જીભે રમે છે. તેમજ નરેન્દ્રને ઓળખાણ મળી ગીત ‘ચલો બુલાવા આયા હૈ’થી. ત્યાર બાદ તેઓ ખુબ પ્રખ્યાત થયા હતા. તેમના ફેન્સ સોશિયલ મીડિયામાં તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.