પિતાના મૃત્યુ બાદ કુદરતી વાલી હોવાને કારણે, બાળકની અટક નક્કી કરવાનો અધિકાર ફક્ત માતાને જ છે- સુપ્રીમ કોર્ટ
જો કોઈ કારણોસર જો પિતાનું મૃત્યુ થાય છે અને બાળક જો સગીર હોય તો તેની અટક(Surname) નક્કી કરવાનો અધિકાર માતાનો જ હોય છે. પિતા બાદ માતા જ બાળકની કુદરતી વાલી હોવાના કારણે બાળકની સરનેમ નક્કી કરવાનો અધિકાર માતાનો રહે છે.
પિતાના મૃત્યુ પછી બાળકના કુદરતી વાલી(Guardian) હોવાને કારણે, માતાને અટક નક્કી કરવાનો અધિકાર છે. સુપ્રીમ કોર્ટ (Supreme Court) એ આંધ્રપ્રદેશ હાઈકોર્ટના નિર્ણયને બાજુ પર રાખતા આ ટિપ્પણી કરી હતી. હાઈકોર્ટ (High Court) એ તેના ચુકાદામાં મહિલાને નિર્દેશ આપ્યો હતો કે તે ડોક્યુમેન્ટ્સમાં તેમના બીજા પતિનું નામ સાવકા પિતા તરીકે નોંધાવે. આ આદેશ પર જસ્ટિસ દિનેશ માહેશ્વરી અને જસ્ટિસ કૃષ્ણ મુરારીની બેન્ચે તેમના અવલોકનમાં જણાવ્યુ કે દસ્તાવેજોમાં સાવકા પિતા તરીકે મહિલાના બીજા પતિનું નામ સામેલ કરવાનો હાઈકોર્ટનો નિર્દેશ લગભગ ક્રૂર છે અને તે હકીકતની અવગણના દર્શાવે છે કે તેનાથી બાળકના માનસિક સ્વાસ્થ્ય અને આત્મસન્માનને અસર થાય છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોઈ કેસમાં પિતાના મૃત્યુ બાદ માતા બાળકની એકમાત્ર કુદરતી વાલી હોવાને કારણે માતાને જ બાળકની અટક નક્કી કરવાનો અધિકાર છે અને બાળકને દત્તક લેવા માટે પિતાની અટક છોડવાનો પણ અધિકાર ધરાવે છે. સુપ્રીમ કોર્ટે પતિના મૃત્યુ બાદ બીજા લગ્ન કરનારી માતા અને બાળકના મૃત પિતાના માતા-પિતા વચ્ચે બાળકને દત્તક લેવા અંગે અટક સંબંધિત ચાલતા એક કેસની સુનાવણી દરમિયાન આ ચુકાદો આપ્યો હતો.
ખંડપીઠે જણાવ્યુ કે પ્રથમ પતિના મૃત્યુ પછી બાળકની એકમાત્ર કુદરતી વાલી હોવાને નાતે માતાને પોતાના નવા પરિવારમાં બાળકને સામેલ કરવા અને તેની અટક નક્કી કરવાથી કાયદાકીય રીતે કેવી રીતે રોકી શકાય. સુપ્રીમ કોર્ટે કહ્યું કે નામ મહત્વનું છે, કારણ કે એક બાળક તેના પરથી જ તેની ઓળખ મેળવે છે અને તેના નામ અને કુટુંબના નામમાં તફાવત બાળકને તેને દત્તક લીધો હોવાની હકીકતની સતત યાદ અપાવે છે. આવી સ્થિતિમાં, બાળકને બિનજરૂરી પ્રશ્નોનો પણ સામનો કરવો પડશે, જે તેના માતાપિતા વચ્ચેના સહજ અને વ્યવહારિક સંબંધોમાં પણ બાધા બનશે.
2008માં દાદા-દાદીએ અરજી કરી હતી
9 એપ્રિલ 2008ના રોજ બાળકના દાદા-દાદી (મૃત પિતાના માતાપિતા) દ્વારા સગીર બાળકના વાલી બનવા માટે ગાર્ડિયન્સ એન્ડ વોર્ડ એક્ટ, 1890ની કલમ 10 હેઠળ અરજી કરવામાં આવી હતી, જે સમયે આ અરજી દાખલ કરવામાં આવી હતી. તે સમયે બાળકની ઉંમર લગભગ 2 વર્ષની હતી. જેમા નીચલી અદાલતે 20 સપ્ટેમ્બર 2011ના આદેશ હેઠળ અરજીને ફગાવી દીધી હતી. આ પછી દાદા-દાદીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી.