ભારે વરસાદને પગલે પૂર્વોતર રાજ્યોમાં તબાહી, પૂર અને ભૂસ્ખલનના કારણે 131 લોકોના મોત
ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યા અનુસાર, મેઘાલયમાં છેલ્લા એક સપ્તાહમાં સામાન્ય કરતાં 172 ટકા વધુ વરસાદ થયો છે.
દેશના પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદના (Heavy Rains) કારણે પૂર અને ભૂસ્ખલનથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 131 લોકોના મોત થયા છે. આસામ, (Assam) મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં પૂરના કારણે તબાહી સર્જાઈ રહી છે. કેન્દ્ર સરકારે(Central Govt) તમામ રાજ્યોને સંપૂર્ણ મદદની ખાતરી આપી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું છે કે, નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે કેન્દ્રીય ટીમને આસામ અને મેઘાલયના પૂર પ્રભાવિત વિસ્તારોમાં મોકલવામાં આવશે. મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમા (CM Himanta Biswa Sarma)અને કોનરાડ સંગમા સાથે વાત કર્યા પછી, તેમણે કહ્યું કે કેન્દ્ર પ્રદેશના લોકોની સાથે મજબૂતીથી ઊભું છે.
શાહે જણાવ્યું કે નરેન્દ્ર મોદી સરકાર જરૂરિયાતની આ ઘડીમાં બંને રાજ્યોની જનતાની સાથે મજબૂતીથી ઊભી છે. ભારે વરસાદ અને પૂરને પગલે પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા આસામના સીએમ હિમંતા બિસ્વા સરમા મેઘાલયના CM કોનરાડ સંગમા (CM Conrad Sangma)સાથે વાત કરી.મોદી સરકાર જરૂરિયાતની આ ઘડીમાં આસામ અને મેઘાલયના લોકો સાથે મજબૂતીથી ઉભી છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA) એ જણાવ્યું હતું કે સોમવારે રાજ્યમાં 11 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે અન્ય પાંચ જિલ્લાઓમાં બે બાળકો સહિત ઘણા લોકો ગુમ હોવાના અહેવાલ મળી રહ્યા છે.
સરેરાશ કરતાં વધુ વરસાદ
ASDMAએ કહ્યું કે આ વર્ષે મે અને જૂનમાં વરસાદ છેલ્લાં કેટલાંક વર્ષોની સરખામણીએ સરેરાશ કરતાં વધુ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ 16 જૂને કહ્યું હતું કે, મેઘાલયમાં છેલ્લા એક સપ્તાહમાં સામાન્ય કરતાં 172 ટકા વધુ વરસાદ થયો છે. આસામમાં 100 ટકા અને અરુણાચલ પ્રદેશમાં સામાન્ય કરતાં 28 ટકા વધુ વરસાદ થયો છે.જ્યારે આસામના 36માંથી 32 જિલ્લાઓમાં 47,72,140 લોકો પૂરથી પ્રભાવિત થયા છે. ASDMAના બુલેટિન અનુસાર, વધુ 11 લોકોના મોત બાદ મૃત્યુઆંક વધીને 82 થઈ ગયો છે. દરરંગમાં ત્રણ, નાગાંવમાં બે, કચર, ડિબ્રુગઢ, હૈલાકાંડી, હોજાઈ, કામરૂપ અને લખીમપુરમાં એક-એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે.
મદદ માટે કેન્દ્રનો આભાર માન્યો
સરમાએ ટ્વીટ કર્યું કે, ‘ગૃહમંત્રી અમિત શાહએ આસામમાં પૂરની સ્થિતિ વિશે જાણવા માટે સવારથી બે વાર ફોન કર્યો. તેમણે કહ્યું કે ગૃહ મંત્રાલય ટૂંક સમયમાં જ કુદરતી આફતથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા અધિકારીઓની એક ટીમ મોકલશે. તેમની મદદ માટે તેમનો આભાર.’ મુખ્યમંત્રી કાર્યાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે શાહનો પ્રથમ કોલ પૂરની સ્થિતિ વિશે જાણવાનો હતો અને બીજો કોલ એ માહિતી આપવાનો હતો કે નુકસાનની આકારણી માટે ટૂંક સમયમાં કેન્દ્રીય ટીમ મોકલવામાં આવશે.