Asani Cyclone: ‘અસાની’ વાવાઝોડું નબળું પડી રહ્યું છે, તાપમાનમાં થશે ઘટાડો, આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
ભારતીય હવામાન વિભાગ (IMD) ના અધિકારીઓના જણાવ્યા અનુસાર, અસાની આજે રાત્રે ઉત્તર આંધ્ર પ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠે પહોંચશે ત્યારે ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તીત થવાની ધારણા છે.
‘અસાની ચક્રવાત’ (Asani Cyclone) એ પોતાનું ભયાનક સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે અને લોકોને તેની અસર થવા લાગી છે. હવામાન વિભાગે (IMD) સોમવારે આગાહી કરતા જણાવ્યુ છે કે વાવાઝોડુ દરિયાકાંઠાની નજીક પહોંચવા પર, તે ઉત્તર-ઉત્તર-પૂર્વ દિશામાં તરફ વળે અને ચક્રવાતી તોફાનમાં નબળું પડી જાય તેવી શક્યતા છે. હાલ પૂર્વ કિનારા તરફ આગળ વધી રહેલી અસાનીને કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં 120 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન સાથે વ્યાપક વરસાદ (Heavy Rain) પણ થઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, અસાની આજે રાત્રે ઉત્તર આંધ્ર પ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠે પહોંચશે ત્યારે તે ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તીત થવાની ધારણા છે.
IMDના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ રવિવારે ભુવનેશ્વરમાં જણાવ્યું હતું કે ચક્રવાત ના તો ઓડિશામાં કે ના આંધ્ર પ્રદેશમાં લેન્ડફોલ કરશે, જો કે તે પૂર્વ કિનારે સમાંતર આગળ વધશે અને વરસાદનું કારણ બનશે. ઓડિશાના ઓછામાં ઓછા 11 માછીમાર, જેઓ ચક્રવાત અસાનીના કારણે લગભગ આઠ કલાક સુધી દરિયામાં ફસાયેલા હતા, તેમને સોમવારે ભારતીય કોસ્ટ ગાર્ડની મદદથી બચાવી લેવામાં આવ્યા હતા, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે માછીમારો 7 મેના રોજ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં ફિશિંગ બોટ ખરીદવા ગયા હતા અને પરત ફરતી વખતે બોટમાં ટેકનિકલ ખામી સર્જાતા તેઓ સોનાપુટ નજીક દરિયાકાંઠેથી લગભગ 4-5 કિમી અંદર દરિયામાં ફસાઈ ગયા હતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સોમવારે બપોરે 2.30 વાગ્યે, ચક્રવાતી તોફાન વિશાખાપટ્ટનમથી લગભગ 410 કિમી દક્ષિણ-પૂર્વમાં અને પુરીથી 590 કિમી દક્ષિણમાં હતું અને તે 100 થી 110 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધશે.
આ રાજ્યોમાં વરસાદ પડશે
ચક્રવાતને કારણે સોમવારે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ થયો હતો. ચક્રવાતના પ્રભાવ હેઠળ, આજે સાંજથી દરિયાકાંઠાના ઓડિશા અને ઉત્તર આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના આસપાસના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગની કચેરીએ જણાવ્યું હતું કે પશ્ચિમ-મધ્ય અને દક્ષિણ બંગાળની ખાડી પર ખૂબ જ પવન ફુંકાવવાની શક્યતાને લઈને માછીમારોને મંગળવારથી ઓછામાં ઓછા આગામી બે દિવસ સુધી આ વિસ્તારમાં દરિયામાં ના જવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારોમાં પર્યટન પ્રવૃત્તિઓ આગામી 13 મે સુધી સ્થગિત કરવાનું પણ સૂચન કર્યું છે.
ઓડિશાના તમામ બંદરો ઉપર ભયસુચક સિગ્નલ
ઓડિશામાં ખુર્દા, ગંજમ, પુરી, કટક અને ભદ્રક જેવા જિલ્લાઓમાં બેથી ત્રણ ઈચ વરસાદ થયો છે. ઓડિશા સરકારે સોમવારે ચાર દરિયાકાંઠાના જિલ્લાઓમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની યોજના બનાવી છે. ઝડપથી નજીક આવી રહેલા ચક્રવાતને ધ્યાનમાં રાખીને, ઓડિશાના તમામ બંદરો પર વોર્નિંગ સાઇન 2 (જહાજોને દરિયાકાંઠે ન આવવાની સૂચના) લગાવવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાતને કારણે પશ્ચિમ બંગાળના દક્ષિણ ભાગમાં કોલકાતા, હાવડા, પૂર્વી મેદિનીપુર, ઉત્તર અને દક્ષિણ 24 પરગણા અને નાદિયા જિલ્લા સહિત સોમવારથી લઈને ગુરુવાર વચ્ચે ભારે વરસાદની સંભાવના છે.
માછીમારોને દરિયામાં ના જવાની સલાહ
કોલકાતાના અલીપોરમાં પ્રાદેશિક હવામાન વિભાગે સોમવારે સાંજે 5.30 વાગ્યા સુધી 58 મીમી વરસાદ નોંધ્યો હતો, જ્યારે સોલ્ટ લેકમાં 61 મીમી વરસાદ નોંધાયો હતો. રાંચી સ્થિત હવામાન વિભાગના કાર્યાલયે જણાવ્યું કે 11 થી 13 મે દરમિયાન ઝારખંડના દક્ષિણ, મધ્ય અને ઉત્તરપૂર્વીય ભાગોમાં વીજળીના કડાકા સાથે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યના કેટલાક ભાગોમાં 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. બીજી તરફ, સોમવારે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ચક્રવાતથી સામાન્ય જનજીવન પ્રભાવિત થયું ના હતું, કારણ કે ત્યાં વરસાદ નોંધાયો ન હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે એક બીજા ટાપુ વચ્ચે ચાલતી ફેરી સેવાઓ ચાલુ છે, પરંતુ માછીમારોને ઊંડા સમુદ્રમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.