Jammu and Kashmir: સેનાની આતંક સામે કડક કાર્યવાહી, શ્રીનગરના રામબાગમાં સેનાએ 3 આતંકવાદીઓને કર્યા ઠાર
જમ્મુ અને કાશ્મીર પોલીસ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર શ્રીનગરના લાલ ચોક-એરપોર્ટ રોડ પર રામબાગ પુલ પાસે થોડીક ગોળીબારમાં ત્રણેય આતંકવાદીઓ માર્યા ગયા હતા.
કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir)માં આતંકનો ઓછાયો ઓછો જ નથી થતો. વારંવાર આતંકવાદીઓ (Terrorist) જમ્મુ-કાશ્મીરને પોતાનો નિશાનો બનાવે છે. ફરી એક વાર આવા આતંકવાદી (Terrorist)ઓની પ્રવૃત્તિ સામે સેનાએ કાર્યવાહી કરી છે. સેનાએ જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગર (Srinagar)ના રામબાગ વિસ્તારમાં બુધવારે સેના સાથેની અથડામણમાં ત્રણ અજાણ્યા આતંકવાદીઓ માર્યા ગયા હતા. આઈજીપી કાશ્મીર વિજય કુમારે કહ્યું કે આજે સાંજે પોલીસ સાથેની અથડામણમાં આતંકવાદીઓ માર્યા ગયા છે.
આતંકવાદીઓની ઓળખ નહીં
અધિકારીઓએ આપેલી માહિતી અનુસાર શ્રીનગરના લાલ ચોક-એરપોર્ટ રોડ પર રામબાગ પુલ પાસે ગોળીબારમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. તેમણે કહ્યું કે આતંકવાદીઓની ઓળખ અને જૂથ સાથેના તેમના જોડાણની ખાતરી કરવામાં આવી રહી છે. જોકે શરૂઆતમાં એવું કહેવામાં આવ્યું હતું કે પોલીસ દ્વારા 2 આતંકવાદીઓ માર્યા ગયા હતા, પરંતુ પછી આ સંખ્યા વધીને 3 થઈ ગઈ.
અગાઉ પણ આવી આતંકવાદી ઘૂષણખોરીની અનેક ઘટના સામે આવી છે. આવા આતંકવાદીઓને સેના વારંવાર ઝડપી પણ લે છે. જો કે જમ્મુ-કાશ્મીરમાં ઘૂષણખોરી કરતા આ આતંકવાદીઓને કોણ ફંડિંગ કરી રહ્યુ છે તે સવાલ વારંવાર ઊભા થઈ રહ્યા છે. આ અંગે કાર્યવાહી પણ થઈ રહી છે.
NIA ટેરર ફંડિંગ કેસમાં દરોડા
આના બે દિવસ પહેલા નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ સોમવારે જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં ટેરર ફંડિંગ કેસના સંબંધમાં માનવાધિકાર કાર્યકર્તાઓની ઓફિસ સહિત અનેક સ્થળો પર દરોડા પાડ્યા હતા. NIAએ તેના નિવેદનોમાં વારંવાર દાવો કર્યો છે કે અલગ-અલગ સંસ્થાઓને અજાણ્યા દાતાઓ પાસેથી ફંડ મળતું હતું, જેનો ઉપયોગ તે સમયે આતંકવાદીઓ દ્વારા આતંકવાદી ગતિવિધિઓ કરવા માટે કરવામાં આવતો હતો.
પુલવામામાં લશ્કરના નેટવર્કનો પર્દાફાશ
ગયા અઠવાડિયે રવિવારે સુરક્ષા દળોને મોટી સફળતા મળી હતી. પુલવામા પોલીસે દક્ષિણ કાશ્મીર જિલ્લામાં કેટલાક ગ્રેનેડ હુમલાઓ સંબંધિત કેસોની તપાસ કરતી વખતે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના સક્રિય સહયોગીઓના નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે તપાસ દરમિયાન 5 આતંકીઓની ધરપકડ કરી હતી. ધરપકડ અંગે જમ્મુ અને કાશ્મીર પોલીસે કહ્યું કે તેમની ઓળખ શૌકત ઈસ્લામ ડાર, એજાઝ અહેમદ લોન, એજાઝ ગુલઝાર લોન, મંજૂર અહેમદ ભટ અને નાસિર અહેમદ શાહ તરીકે થઈ છે.
પ્રાથમિક પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મોડ્યુલ સ્લીપર સેલ તરીકે કામ કરતું હતું અને તે શસ્ત્રો અને દારૂગોળાની ખરીદી તેમજ પરિવહનમાં સામેલ હતું. તેઓ તેમના પાકિસ્તાની આકાઓના ઈશારે સુરક્ષા દળો પર અનેક ગ્રેનેડ હુમલાઓમાં પણ સામેલ હતા. ધરપકડ કરાયેલા આતંકવાદીઓ પાસેથી હથિયારો અને દારૂગોળો સહિતની ગુનાહિત સામગ્રી મળી આવી છે.
આ પણ વાંચો : GANDHINAGAR : વાયબ્રન્ટ સમિટ-2022 અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીમાં ઉદ્યોગપતિઓ સાથે બેઠક યોજશે