Andhra Pradesh: ભારે વરસાદે મચાવી તબાહી, ચિત્રાવતી નદીમાં ફસાયેલા 10 લોકોનું હેલિકોપ્ટરથી કરાયુ રેસ્ક્યૂ
ચિત્રાવતી નદીમાં આવેલા ભયંકર પૂરમાં 10 લોકો ફસાયા હતા અને મદદની વિનંતી કરી રહ્યા હતા. અનંતપુર જિલ્લાના કલેક્ટરના આદેશ પર તે 10 લોકોને હેલિકોપ્ટર દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.
છેલ્લા થોડા દિવસથી આંધ્રપ્રદેશ (Andhra Pradesh) સહિત દેશના કેટલાક રાજ્યોમાં કમોસમી વરસાદ (Unseasonal rains) વરસી રહ્યો છે. આંધ્રપ્રદેશના અનેક જિલ્લાઓમાં તો ભારે વરસાદે તબાહી મચાવી છે. અનંતપુર જિલ્લામાં પણ ભારે વરસાદને કારણે નદીઓ (Rivers), નહેરોમાં પાણીનો પ્રવાહ વધ્યો છે. ચિત્રાવતી નદીમાં આવેલા ભયંકર પૂર (Flood)માં 10 લોકો ફસાયા હતા, જેમને હેલિકોપ્ટરની મદદથી બચાવી લેવામાં આવ્યા છે.
આંધ્રપ્રદેશમાં ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ યથાવત છે. ચિત્રાવતી નદીમાં આવેલા ભયંકર પૂરમાં દસ લોકો ફસાયા હતા, મદદની વિનંતી કરી રહ્યા હતા. અનંતપુર જિલ્લાના કલેક્ટરના આદેશ પર તે 10 લોકોને હેલિકોપ્ટર દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.
શું હતી સમગ્ર ઘટના
ચિત્રાવતી નદીમાં ભયાનક પૂરના કારણે પુલ પર પાણી વહેવા લાગ્યુ હતુ. તે સમયે એક કારમાં ચાર લોકો પુલ ક્રોસ કરી રહ્યા હતા. અચાનક તે પૂરના પાણીમાં ફસાઈ ગયા. તે બહાર નીકળી શક્યા નહીં, કાર પાણીના પ્રવાહમાં તણાવા લાગી. છ લોકો તેને બચાવવા JCB સાથે ગયા હતા પરંતુ પૂરનું પાણી વધુ હોવાથી જેસીબી પણ પાણીમાં ફસાઈ ગયું હતું. તમામ 10 લોકો તેના પર ચઢીને મદદ માટે આજીજી કરવા લાગ્યા હતા.
તમામને બચાવી લેવાયા
જે સ્થળે 10 લોકો ફસાયા હતા ત્યાંના સ્થાનિક લોકોએ દોરડાની મદદથી તેમને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ નિષ્ફળ ગયા હતા. જે બાદ સ્થાનિક ધારાસભ્ય પ્રકાશ રેડ્ડીએ મુખ્યમંત્રી પાસેથી હેલિકોપ્ટરની મદદ માગી હતી, તેમના આદેશ પર તમામ 10 લોકોને હેલિકોપ્ટર દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
વરસાદ થવાનું કારણ
બંગાળની ખાડીમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે આંધ્રપ્રદેશના અનેક તટીય જિલ્લાઓમાં વરસાદ તબાહી મચાવી રહ્યો છે. નેલ્લોર, ચિત્તૂર, કડપા જિલ્લામાં ગુરુવાર સવારથી ભારે વરસાદ થઈ રહ્યો છે, જેમાં ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. અન્ય જિલ્લાઓમાં પણ વરસાદ પડી રહ્યો છે.
વરસાદથી તબાહી
સૌથી વધુ અસર ચિત્તૂર, કડપા અને નેલ્લોર જિલ્લામાં જોવા મળી હતી. આ જિલ્લાઓના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, નદીની નહેરો તૂટેલી છે. રસ્તાઓ પર પણ પાણી ભરાઈ ગયા છે, ઘણા વિસ્તારોમાં પાણીના જોરદાર પ્રવાહને કારણે રસ્તાઓ કપાઈ ગયા છે, જેના કારણે લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.