જમ્મુ -કાશ્મીરને ફરીથી રાજ્યનો દરજ્જો મળશે, જે લોકો શાંતિ ભંગ કરવા માગે છે તેની સામે કડક કાર્યવાહી થશે: અમિત શાહ
અમિત શાહે કહ્યું કે કાશ્મીરની 70 ટકા વસ્તી 35 વર્ષથી ઓછી વયની છે. જો આ વસ્તીના મનમાં આશા જગાડવામાં આવે અને તેને વિકાસના કાર્યો સાથે જોડવામાં આવે તો કાશ્મીરની શાંતિમાં ક્યારેય કોઈ વિક્ષેપ નહીં આવે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (Amit Shah) શનિવારે કહ્યું કે 5 ઓગસ્ટ 2019નો દિવસ સુવર્ણ અક્ષરોમાં લખવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે રાજ્યમાં ચૂંટણી થવાની છે. શાહે કહ્યું કે એક સારું સીમાંકન થશે જેથી યુવાનોને કાશ્મીરમાં તક મળે, સીમાંકન બાદ ચૂંટણીઓ પણ યોજાશે અને જમ્મુ -કાશ્મીરને ફરીથી રાજ્યનો દરજ્જો મળશે. તેમણે કહ્યું કે જે કોઈ જમ્મુ-કાશ્મીરની શાંતિને ખલેલ પહોંચાડવા માંગે છે, અમે તેની સાથે કડકાઈથી વ્યવહાર કરીશું.
શ્રીનગરમાં જમ્મુ અને કાશ્મીર યુથ ક્લબના સભ્યોને સંબોધતા શાહે કહ્યું કે, આ આતંકવાદ, ભત્રીજાવાદ, ભ્રષ્ટાચારનો અંત છે. તેમણે કહ્યું કે આજે જમ્મુ -કાશ્મીરમાં યુવાનો વિકાસ, રોજગાર અને શિક્ષણની વાત કરી રહ્યા છે. આ એક મોટો ફેરફાર છે. હવે ભલે ગમે તેટલું દબાણ કરવામાં આવે, પરિવર્તનને કોઈ રોકી શકતું નથી.
અમિત શાહ જમ્મુ-કાશ્મીરની ત્રણ દિવસની મુલાકાતે શનિવારે શ્રીનગર પહોંચ્યા. જમ્મુ-કાશ્મીરમાંથી 370 નાબૂદ થયા બાદ કેન્દ્રશાસિત પ્રદેશની આ તેમની પ્રથમ મુલાકાત છે. ગૃહમંત્રીએ કહ્યું કે, સુરક્ષા સમીક્ષા બેઠક બાદ મારો પહેલો કાર્યક્રમ યુવા ક્લબના યુવાનો સાથે યોજાઈ રહ્યો છે. જમ્મુ અને કાશ્મીરના યુવાનોને મળીને હું ખૂબ જ ખુશ છું.
અઢી વર્ષ પહેલા કાશ્મીરથી પથ્થરમારો અને હિંસાના સમાચાર આવતા હતાઃ શાહ તેમણે કહ્યું કે યુવાનોની ભાગીદારી વગર કોઈ પણ ક્ષેત્રમાં પરિવર્તન થઈ શકતું નથી. અઢી વર્ષ પહેલા જ્યાંથી આતંકવાદ, પથ્થરમારો અને હિંસાના સમાચારો આવતા હતા તે કાશ્મીરના યુવાનો આજે વિકાસની વાત કરે છે. શાહે કહ્યું, કાશ્મીરને ભારત સરકાર તરફથી મદદ મળે છે, તે મળવી જોઈએ, કાશ્મીરે ઘણું સહન કર્યું છે. પરંતુ એક દિવસ ચોક્કસ આવશે જ્યારે કાશ્મીર ભારતના વિકાસમાં યોગદાન આપશે.
શાહે કહ્યું કે કાશ્મીરની 70 ટકા વસ્તી 35 વર્ષથી ઓછી વયની છે. જો આ વસ્તીના મનમાં આશા જગાડવામાં આવે અને તેને વિકાસના કાર્યો સાથે જોડવામાં આવે તો કાશ્મીરની શાંતિમાં ક્યારેય કોઈ વિક્ષેપ નહીં આવે. તેમણે કહ્યું, હું ખાતરી આપું છું કે જે પણ જમ્મુ -કાશ્મીરની શાંતિને ખલેલ પહોંચાડવા માંગે છે, અમે તેની સામે કડક કાર્યવાહી કરીશું. વિકાસની જે યાત્રા અહીંથી શરૂ થઈ છે, તેને કોઈ રોકી શકશે નહીં.
લોકોને રોજગારીની તકો મળી રહી છે – ગૃહમંત્રી અગાઉની સરકારો પર કટાક્ષ કરતા ગૃહમંત્રીએ કહ્યું કે, અગાઉની સરકારોએ 70 વર્ષમાં જમ્મુ-કાશ્મીરને શું આપ્યું ? 87 ધારાસભ્યો, 6 સાંસદો અને 3 પરિવારો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પંચાયતની ચૂંટણીમાં 30,000 જેટલા ચૂંટાયેલા પ્રતિનિધિઓને આપવાનું કામ કર્યું છે. જે આજે લોકોની સેવા કરી રહ્યા છે. આઝાદી પછી, ભારત સરકારે જમ્મુ અને કાશ્મીરને સૌથી વધુ મદદ કરી છે, પરંતુ ગરીબી, બેરોજગારી દૂર થઈ નથી, ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થયો નથી. હવે અહીંથી ગરીબી જતી રહી છે, લોકોને રોજગારીની તકો મળી રહી છે.
આ પણ વાંચો : Delhi : સીએમ અરવિંદ કેજરીવાલ દિવાળી પહેલા અયોધ્યા જશે, 26 ઓક્ટોબરે કરશે રામલલાના દર્શન
આ પણ વાંચો : અમિત શાહની જમ્મુ-કાશ્મીર મુલાકાત પર શિવસેનાના સાંસદ સંજય રાઉતનું નિવેદન, ‘થોડા દિવસ ત્યાં રહેવાનું કહો!’