Amarnath Yatra : આજથી ફરી શરૂ થશે અમરનાથ યાત્રા, પંચતરણી માર્ગેથી ભક્તો કરી શકશે બર્ફાની બાબાના દર્શન
અમરનાથ યાત્રા (Amarnath Yatra 2022) દરમિયાન વાદળ ફાટવાના કારણે આવેલા પૂરમાં 16 લોકોના મોત થયા છે. જ્યારે 40થી વધુ લોકો હજુ પણ ગુમ છે. સાથે જ ત્યાં રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. આ દરમિયાન, હવામાન સાફ થયા બાદ વહીવટીતંત્રે ફરી એકવાર યાત્રા શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
હવામાન સાફ થયા બાદ ફરી એકવાર અમરનાથ યાત્રા (Amarnath Yatra 2022) શરૂ થવા જઈ રહી છે. પ્રશાસને આજથી (11 જુલાઈ, સોમવાર) અમરનાથ યાત્રા શરૂ કરવાનો નિર્ણય લીધો છે. મળતી માહિતી મુજબ સોમવારે સવારે 5 વાગ્યાથી યાત્રા શરૂ થશે. જે અંતર્ગત આ વખતે શ્રદ્ધાળુઓ પંચતરણી રૂટ પરથી અમરનાથની પવિત્ર યાત્રાના દર્શન કરી શકશે. આ પહેલા શુક્રવારે પવિત્ર ગુફા પાસે વાદળ ફાટવાને કારણે આવેલા પૂરને લીધે યાત્રાને રદ કરવામાં આવી હતી. જોકે રાહત અને બચાવ કામગીરી વચ્ચે યાત્રા ફરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ પ્રતિકૂળ હવામાનને પગલે યાત્રા ફરી સ્થગિત કરવામાં આવી હતી. આ દરમિયાન, વાદળ ફાટવાના કારણે પૂરની સ્થિતિ સર્જાવાને લીધે ગુમ થયેલા 40 લોકો વિશે કોઈ માહિતી મળી નથી.
રવિવારે ભારતીય વાયુસેનાના Mi-17 V5 અને ચિતલ હેલિકોપ્ટરે ઘાયલ થયેલા 34 શ્રદ્ધાળુઓને બહાર કાઢ્યા હતા. જ્યારે કાટમાળમાં ફસાયેલા ગુમ થયેલા લોકોને શોધવા માટે એનડીઆરએફના 20 જવાનોને એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કરવામાં આવ્યા હતા.
અમરનાથ યાત્રા બે રૂટથી શરૂ થઈ
અમરનાથ યાત્રા 30 જૂને શરૂ થઈ હતી. જે અંતર્ગત આ 43 દિવસીય વાર્ષિક તીર્થયાત્રા માટે બે રૂટ પરથી લોકોની મુસાફરી શરૂ કરવામાં આવી હતી. જેમાં એક દક્ષિણ કાશ્મીરના અનંતનાગના પહલગામના નુનવાનથી 48 કિમીનો પરંપરાગત માર્ગ અને બીજો મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં 14 કિમી નાનો બાલટાલ માર્ગ છે.અત્યાર સુધીમાં એક લાખથી વધુ શ્રદ્ધાળુઓ ગુફા મંદિરમાં પૂજા કરી ચૂક્યા છે. આ યાત્રા 11 ઓગસ્ટના રોજ રક્ષાબંધનના અવસર પર સમાપ્ત થવાની છે.
આંધ્રપ્રદેશના સૌથી વધુ 37 યાત્રાળુઓ ગુમ થયા છે
જમ્મુ અને કાશ્મીરમાં પવિત્ર અમરનાથ ગુફા પાસે રવિવારે સાંજે વાદળ ફાટવાની દુર્ઘટનામાં આંધ્રપ્રદેશના ગુમ થયેલા શ્રદ્ધાળુઓની સંખ્યા વધીને 37 થઈ ગઈ છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 84 શ્રદ્ધાળુઓને સુરક્ષિત જાહેર કરવામાં આવ્યા છે. રવિવારે બપોરે રાજ્ય સરકારે કહ્યું હતું કે અમરનાથ દુર્ઘટનામાં રાજામહેન્દ્રવરમની માત્ર બે મહિલાઓનો પત્તો લાગ્યો નથી.
બચાવ કામગીરી સાથે સંકળાયેલા એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે પાછળથી અમને ઘણા લોકોના ફોન આવ્યા કે પવિત્ર ગુફા મંદિરની નજીક વાદળ ફાટવા અને અચાનક પૂર આવ્યા બાદ તેઓ તેમના સંબંધીઓ સાથે કોઈ સંપર્ક કરી શક્યા નથી. માહિતી અનુસાર, રાજામહેન્દ્રવરમની બે મહિલાઓ ઉપરાંત નેલ્લોરના બે જૂથોમાં લગભગ 29 સભ્યો, એલુરુના બે વ્યક્તિ, રાજામહેન્દ્રવરમના એક પરિવારના ત્રણ અને તનુકુ નજીકના અંદ્રાજાવરમના એક પરિવારના લોકો ગુમ થયાના અહેવાલ છે.