નપુંસકતાનો આરોપ માનસિક ત્રાસ જેવો છે, કર્ણાટક હાઈકોર્ટનો આદેશ, પતિ આ આધારે પત્નીને છૂટાછેડા આપી શકે છે
હાઈકોર્ટે (Karnataka High Court) પોતાના ચુકાદામાં કહ્યું, "પત્નીએ આરોપ લગાવ્યો છે કે તેનો પતિ લગ્નની જવાબદારીઓ નિભાવી રહ્યો નથી અને તે જાતીય પ્રવૃત્તિ માટે પણ અસમર્થ છે.
કર્ણાટક હાઈકોર્ટે (Karnataka High Court) પોતાના ચુકાદામાં કહ્યું કે પત્ની દ્વારા કોઈ પુરાવા વિના પતિ પર નપુંસકતાનો આરોપ પણ માનસિક ઉત્પીડન(Mental Harassment)ની શ્રેણીમાં આવે છે. આ સાથે કોર્ટે એમ પણ કહ્યું કે પતિ આ પૃષ્ઠભૂમિમાં અલગ થવાની અરજી પણ દાખલ કરી શકે છે. ન્યાયાધીશ સુનીલ દત્ત યાદવ(Justice Sunil Dutt Yadav)ની આગેવાની હેઠળની ડિવિઝન બેન્ચે આ આદેશ ધારવાડના એક વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના સંબંધમાં આપ્યો હતો, જેમાં તેની છૂટાછેડા માટેની અરજીને ફગાવી દેતા ધારવાડ ફેમિલી કોર્ટના આદેશને રદ કરવાની માંગ કરવામાં આવી હતી.
હાઈકોર્ટની બેન્ચે અરજદારને મહિલા પુનઃલગ્ન ન કરે ત્યાં સુધી માસિક 8,000 રૂપિયા ભરણપોષણ ચૂકવવાનો પણ નિર્દેશ આપ્યો છે. હાઈકોર્ટે તેના ચુકાદામાં કહ્યું, “પત્નીએ આરોપ લગાવ્યો છે કે તેનો પતિ લગ્નની જવાબદારીઓ નિભાવી રહ્યો નથી અને તે જાતીય પ્રવૃત્તિ માટે પણ અસમર્થ છે. પરંતુ, તેણે પોતાના આરોપોને સમર્થન આપવા માટે કોઈ નક્કર પુરાવા આપ્યા નથી.
પાયાવિહોણા આરોપોથી પતિની ગરિમાને ઠેસ પહોંચશેઃ હાઈકોર્ટ
ખંડપીઠે અવલોકન કર્યું કે આ પાયાવિહોણા આરોપોથી પતિની ગરિમાને ઠેસ પહોંચશે. સમજદાર સ્ત્રી તેના પતિ પર અન્યની સામે નપુંસકતાનો આરોપ મૂકશે નહીં. ખંડપીઠે કહ્યું કે પતિની સંતાન પેદા કરવામાં અસમર્થતાનો આરોપ માનસિક ત્રાસ સમાન છે. પતિએ સુનાવણી દરમિયાન કહ્યું છે કે તે મેડિકલ ટેસ્ટ માટે તૈયાર છે. આમ છતાં પત્ની મેડિકલ ટેસ્ટ દ્વારા પોતાના આરોપોને સાબિત કરવામાં નિષ્ફળ રહી છે. હિંદુ મેરેજ એક્ટ 1955ની કલમ 13 મુજબ નપુંસકતા પતિ-પત્નીના અલગ થવાનું કારણ બની શકે નહીં. કોર્ટે એમ પણ કહ્યું કે આ સંબંધમાં ખોટા આરોપો માનસિક ત્રાસ સમાન છે અને આ પૃષ્ઠભૂમિમાં પતિ છૂટાછેડા માંગી શકે છે.
અરજીને ફેમિલી કોર્ટે 2015માં ફગાવી દીધી હતી.
અરજદારે 2013માં મહિલા સાથે લગ્ન કર્યા હતા. લગ્નના થોડા મહિનાઓ બાદ તેણે ધારવાડ ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. જોકે પતિએ દાવો કર્યો હતો કે શરૂઆતમાં તેની પત્નીએ લગ્નને ટેકો આપ્યો હતો, પરંતુ પછીથી તેનું વર્તન બદલાઈ ગયું. તેણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે તેની પત્નીએ તેના સંબંધીઓને વારંવાર કહ્યું હતું કે તે શારીરિક સંબંધો બાંધવા માટે અસમર્થ છે જેના કારણે તે અપમાનિત થાય છે. આ પૃષ્ઠભૂમિમાં, તેણે તેની પત્ની પાસેથી છૂટાછેડાની માંગ કરી છે. જોકે, 17 જૂન 2015ના રોજ ધારવાડ ફેમિલી કોર્ટ દ્વારા છૂટાછેડા માટેની તેમની અરજી ફગાવી દેવામાં આવી હતી. આ નિર્ણય સામે પતિએ કર્ણાટક હાઈકોર્ટમાં અરજી કરી હતી.