Twitter ને બાદ કરતાં તમામ સોશિયલ મીડિયા કંપનીઓએ માન્યા IT નિયમો, સરકારને આપી જાણકારી
Twitter સિવાય અન્ય મોટી સોશિયલ મીડિયા(Social Media) કંપનીઓએ ભારતના આઇટી નિયમો સ્વીકાર્યા છે અને સરકાર દ્વારા માંગેલી માહિતી પણ પૂરી પાડી છે. શુક્રવારે સાંજે સૂત્રોએ આ માહિતી આપી હતી.
કેન્દ્ર સરકાર અને માઇક્રો બ્લોગિંગ વેબસાઇટ Twitter વચ્ચે આઇટી નિયમ અંગે છેલ્લા અઠવાડિયે શરૂ થયેલ વિવાદ હજુ સમાપ્ત થયો નથી. જેમાં Twitter સિવાય અન્ય મોટી સોશિયલ મીડિયા(Social Media) કંપનીઓએ ભારતના આઇટી નિયમો સ્વીકાર્યા છે અને સરકાર દ્વારા માંગેલી માહિતી પણ પૂરી પાડી છે. શુક્રવારે સાંજે સૂત્રોએ આ માહિતી આપી હતી.
તાજેતરમાં ટૂલકિટના મામલે દિલ્હી પોલીસના વિશેષ સેલે ટ્વિટરના ગુરુગ્રામ કાર્યાલયોમાં દરોડા પાડ્યા બાદ માઇક્રો બ્લોગિંગ સાઇટએ તીવ્ર પ્રતિક્રિયા આપી. આઇટી નિયમોને લઈને Twitter એ દિલ્હી હાઈકોર્ટમાં અરજી પણ કરી છે.
મોટાભાગની સોશિયલ મીડિયા કંપનીઓએ માહિતી આપી
સૂત્રોએ જણાવ્યું છે કે મોટાભાગની સોશિયલ મીડિયા(Social Media) કંપનીઓએ તેમના ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર, નોડલ ઓફિસર અને ફરિયાદ અધિકારીની માહિતી ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયને માહિતી ટેક્નોલજી નિયમો, 2021 મુજબ શેર કરી છે. આ કંપનીઓમાં કુ, શેરચેટ, ટેલિગ્રામ, લિંક્ડિન, ગુગલ, ફેસબુક, વોટ્સએપ જેવી મોટી સોશિયલ મીડિયા કંપનીઓનો સમાવેશ છે.
આ બધાએ નવા નિયમો હેઠળ મંત્રાલયએ તેમની પાસે માંગેલી માહિતી પૂરી પાડી છે. જો કે, ટ્વિટરે સરકાર દ્વારા માંગવામાં આવેલી માહિતી હજી સુધી સરકારને આપી નથી.
ટ્વિટરે ચીફ કમ્પ્લાયન્સ ઓફિસરની માહિતી મંત્રાલયને મોકલી નથી
ગત દિવસોમાં કેન્દ્ર સરકારની આકરી પ્રતિક્રિયા બાદ ટ્વિટર દ્વારા ગત મોડી રાત્રે એક સંદેશ મોકલ્યો હતો. જેમાં ભારતમાં કાયદાની ફર્મ માં કામ કરતા વકીલને નોડલ ઓફિસર અને ફરિયાદ અધિકારી તરીકે જણાવાયા હતા. જો કે, નિયમો અનુસાર, સરકારને મોકલવામાં આવેલી માહિતીમાં તે વ્યક્તિનું નામ હોવું જોઈએ જે સોશિયલ મીડિયા કંપનીનો કર્મચારી છે અને ભારતનો નાગરિક છે.
આવી સ્થિતિમાં ટ્વિટર દ્વારા હજુ સુધી ચીફ કમ્પ્લાયન્સ ઓફિસરની માહિતી મંત્રાલયને મોકલવામાં આવી નથી.
કેન્દ્ર સરકારે આક્ષેપોની નિંદા કરી
અગાઉ ટ્વિટરએ ગુરુવારે એક નિવેદનમાં કહ્યું હતું કે દિલ્હી પોલીસની તેની ઓફિસોની મુલાકાત ધાકધમકીનો એક પ્રકાર છે. સોશયલ મીડિયા કંપનીએ એમ પણ કહ્યું હતું કે, તે ભારતમાં કર્મચારીઓની સલામતી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા માટેના સંભવિત ખતરા અંગે ચિંતિત છે. ત્યારબાદ સરકારે આક્ષેપોની નિંદા કરી અને તેને સંપૂર્ણ પાયાવિહોણા અને ખોટા ગણાવ્યા હતા.
સોશિયલ મીડિયા કંપનીઓના પ્રતિનિધિઓ ભારતમાં હંમેશાં સલામત
ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે કહ્યું હતું કે ટ્વિટર સહિત સોશિયલ મીડિયા કંપનીઓના પ્રતિનિધિઓ ભારતમાં હંમેશાં સલામત છે અને તેમની વ્યકિતગત સલામતીને કોઈ ખતરો નથી. આઇટી મંત્રાલયે કહ્યું હતું કે ટ્વિટર ઇરાદાપૂર્વક ભારતના કાયદા અને વ્યવસ્થાનું પાલન નહિ કરીને તેને નબળા પાડવાના પ્રયાસ કરી રહ્યું છે.