Agnipath Scheme: ‘અગ્નિપથ યોજના’ પર હોબાળા વચ્ચે સરકારની મોટી જાહેરાત, અગ્નિવીરોને સંરક્ષણ મંત્રાલયમાં મળશે 10 ટકા અનામત
મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે આ જોગવાઈઓને લાગુ કરવા માટે ભરતી નિયમોમાં જરૂરી સુધારા કરવામાં આવશે. સંરક્ષણ જાહેર ક્ષેત્રના ઉપક્રમોને તેમના સંબંધિત ભરતી નિયમોમાં સમાન સુધારા કરવાની સલાહ આપવામાં આવશે, જરૂરી ઉંમરમાં છૂટછાટની જોગવાઈ પણ હશે.
અગ્નિપથ યોજનાના (Agnipath Scheme) દેશવ્યાપી વિરોધ વચ્ચે કેન્દ્ર સરકારે એક મોટી જાહેરાત કરી છે. સરકારે લાયકાતના માપદંડોને પૂર્ણ કરતા ‘અગ્નિવીર’ (Agniveers) માટે સંરક્ષણ મંત્રાલયમાં 10 ટકા અનામતની જાહેરાત કરી છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના (Rajnath Singh) કાર્યાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે આ ફેરફારો લાગુ કરવા માટે ભરતી નિયમોમાં જરૂરી સુધારા કરવામાં આવશે.
10% of the job vacancies in the Ministry of Defence to be reserved for ‘Agniveers’ meeting requisite eligibility criteria: RMO India pic.twitter.com/NTtTJ5KftJ
— Tv9 Gujarati (@tv9gujarati) June 18, 2022
મંત્રાલયે માહિતી આપી હતી કે 10 ટકા આરક્ષણની જોગવાઈ ભારતીય કોસ્ટ ગાર્ડ (Indian Coast Guard) અને સંરક્ષણ નાગરિક પોસ્ટ્સ અને તમામ 16 સંરક્ષણ જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં લાગુ કરવામાં આવશે. આ આરક્ષણ (Reservation) ભૂતપૂર્વ સૈનિકો માટેના હાલના અનામત ઉપરાંત હશે. મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે આ જોગવાઈઓને લાગુ કરવા માટે ભરતી નિયમોમાં જરૂરી સુધારા કરવામાં આવશે. સંરક્ષણ જાહેર ક્ષેત્રના ઉપક્રમોને તેમના સંબંધિત ભરતી નિયમોમાં સમાન સુધારા કરવાની સલાહ આપવામાં આવશે, જરૂરી ઉંમરમાં છૂટછાટની જોગવાઈ પણ હશે.
સેનાની ભરતી પ્રક્રિયામાં ક્રાંતિકારી ફેરફારો આવશે: રાજનાથ સિંહ
ત્યારે ‘અગ્નિપથ’ યોજના પર તીવ્ર વિરોધ વચ્ચે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે શનિવારે કહ્યું કે આ યોજના ભૂતપૂર્વ સૈનિકો સાથે ચર્ચા કર્યા પછી લાગુ કરવામાં આવી છે. સિંહે કહ્યું કે રાજકીય કારણોસર આ યોજના વિશે “ભ્રમણા” ફેલાવવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે આ યોજના સૈનિકોની ભરતી પ્રક્રિયામાં ક્રાંતિકારી પરિવર્તન લાવશે. સિંહે કહ્યું કે આ યોજના હેઠળ ભરતી કરાયેલા કર્મચારીઓને આપવામાં આવતી તાલીમની ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં.
રાજનાથ સિંહે સેના પ્રમુખો સાથે કરી બેઠક
નોંધનીય છે કે રક્ષા મંત્રી રાજનાથ સિંહે શનિવારે અગ્નિપથ યોજનાને લઈને દેશમાં ઉભી થયેલી સ્થિતિ પર આર્મી, નેવી અને એરફોર્સના ટોચના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં એર ચીફ માર્શલ વીઆર ચૌધરી, નેવી ચીફ એડમિરલ આર હરિ કુમાર અને વાઈસ ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ બીએસ રાજુએ હાજરી આપી હતી. આ બેઠકમાં એવું માનવામાં આવે છે કે અગ્નિપથ યોજનાના વહેલા અમલીકરણ અને વિરોધીઓને શાંત કરવાના માર્ગો શોધવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.