Agnipath Scheme: અગ્નિપથ યોજનાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, યોજના વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી આવતા સપ્તાહે થશે
કેન્દ્ર સરકારની નવી અગ્નિપથ યોજનાનો મામલો હવે સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં પહોંચ્યો છે. દેશની સર્વોચ્ચ અદાલત આવતા અઠવાડિયે અરજીની સુનાવણી કરવા સંમત થઈ છે.
Agnipath Scheme: કેન્દ્ર સરકારની નવી અગ્નિપથ યોજના(Agnipath Scheme)નો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. દેશની સર્વોચ્ચ અદાલત આવતા અઠવાડિયે અરજીની સુનાવણી કરવા સંમત થઈ છે. આ અરજી આજે સુપ્રીમ કોર્ટ(Supreme Court) સમક્ષ મુકવામાં આવી હતી. પિટિશન દાખલ કરનારા અરજદારોએ કહ્યું છે કે આ સ્કીમને કારણે ઘણી વિદ્યાર્થીનીઓનું ભવિષ્ય દાવ પર છે. વકીલે કહ્યું કે 2017થી એરફોર્સ(Air Force)ની તૈયારી કરી રહેલા 70 હજારથી વધુ વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપવામાં આવી છે. તેમને ખાતરી આપવામાં આવી હતી કે તેઓને નિમણૂક પત્ર આપવામાં આવશે, જો કે એના પછી હવે આ યોજના આવી ગઈ છે.
જસ્ટિસ ઈન્દિરા બેનર્જી અને જસ્ટિસ જે.કે. મહેશ્વરીએ જણાવ્યું હતું કે ઉનાળાના વેકેશન પછી જ્યારે સર્વોચ્ચ અદાલત ફરી ખુલશે ત્યારે આવતા અઠવાડિયે યોગ્ય બેંચ સમક્ષ અરજીઓની સૂચિબદ્ધ કરવામાં આવશે. સરકારે ગયા મહિને અગ્નિપથ યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ, સાડા 17 વર્ષથી 21 વર્ષની વય જૂથના યુવાનોને ચાર વર્ષના કાર્યકાળ માટે સશસ્ત્ર દળોમાં સામેલ કરવામાં આવશે. તેમાંથી 25 ટકાને પછીથી નિયમિત સેવામાં સામેલ કરવામાં આવશે. 16 જૂનના રોજ, સરકારે આ વર્ષ માટે આ યોજના હેઠળ ભરતી માટેની વય મર્યાદા 21 વર્ષથી વધારીને 23 વર્ષ કરી હતી.
દિલ્હી સરકાર વિધાનસભામાં અગ્નિપથ યોજના વિરુદ્ધ પ્રસ્તાવ રજૂ કરી શકે છે
દિલ્હી સરકાર આગામી વિધાનસભા સત્ર દરમિયાન કેન્દ્રની અગ્નિપથ સંરક્ષણ ભરતી યોજના સામે ઠરાવ લાવી શકે છે. પાર્ટીના સૂત્રો દ્વારા આ માહિતી આપવામાં આવી છે. પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે ગુરુવારે વિવાદાસ્પદ સ્કીમ વિરુદ્ધ ઠરાવ પસાર કર્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા 14 જૂને જાહેર કરાયેલી આ યોજનાને લઈને દેશના ઘણા ભાગોમાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા હતા.
ભાજપની રાષ્ટ્રીય કાર્ય સમિતિએ અગ્નિપથ યોજનાની જોરદાર પ્રશંસા કરી હતી
“દિલ્હી એસેમ્બલીમાં આવો ઠરાવ લાવવામાં આવે અને તેના પર ચર્ચા કરવામાં આવે તેવી શક્યતા છે,” સૂત્રોએ જણાવ્યું હતું. દિલ્હી વિધાનસભાનું બે દિવસનું સત્ર 4 જુલાઈથી શરૂ થશે. ભારતીય જનતા પાર્ટી (BJP) ની રાષ્ટ્રીય કાર્ય સમિતિએ શનિવારે અગ્નિપથ લશ્કરી ભરતી યોજના અને આગામી 18 મહિનામાં 10 લાખ નોકરીઓ પ્રદાન કરવાની સરકારની જાહેરાતની પ્રશંસા કરી. પાર્ટીએ અર્થતંત્ર અને ગરીબ કલ્યાણ ઠરાવ પસાર કર્યા બાદ પત્રકારો સાથે વાત કરતા કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને દાવો કર્યો હતો કે આ સંદર્ભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કાર્ય વૈશ્વિક મોડલ બની ગયું છે.