લુધિયાણાની જેલમાં સિદ્ધુ મુસેવાલાની હત્યા કેસના આરોપીને કેદીઓએ માર મારી માથુ ફોડી નાખ્યું
લુધિયાણા સેન્ટ્રલ જેલમાં (Ludhiana Central Jail) એક આરોપીને કેદીઓ દ્વારા માર મારવામાં આવ્યો છે. જેના માથામાં ટાંકા આવ્યા છે. આ કેદીની સિદ્ધુ મુસેવાલાની હત્યાના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી.
Sidhu Moosewala Case પંજાબની લુધિયાણા સેન્ટ્રલ જેલમાં (Ludhiana Central Jail), સિદ્ધુ મુસેવાલા હત્યા કેસના આરોપી ઉપર કેદીઓના જૂથ દ્વારા નિર્દયતાથી હુમલો કરવામાં આવ્યો હતો. પંજાબી ગાયક સિદ્ધુની હત્યા કેસમાં (Sidhu Moosewala) ધરપકડ કરાયેલા આરોપી વિશે ઈન્સ્પેક્ટર ગુરપ્રીત સિંહે કહ્યું, કે ‘આરોપી સતબીરને અહીં સારવાર માટે લાવવામાં આવ્યો છે. તેના માથામાં ટાંકા આવ્યા છે.’ ઈન્ટરપોલે અગાઉ મુસેવાલાની હત્યાની જવાબદારી સ્વીકારનાર સતીન્દરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રાર વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, સચિન બિશ્નોઈ કાવતરાખોરોમાંથી એક છે. તેણે કહ્યું કે સચિન અને બ્રારે પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાને મારવાની પૂરી યોજના બનાવી હતી. અધિકારીએ કહ્યું કે સચિન એપ્રિલમાં જ દેશ છોડી ગયો હતો. પંજાબના માનસા જિલ્લામાં 29 મેના રોજ મુસેવાલાની હત્યા કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે મુસેવાલાની હત્યાના સંબંધમાં વધુ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી એકે મુસેવાલાને નજીકથી ગોળી મારી હતી. આ સાથે દિલ્હી પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં કુલ પાંચ લોકોની ધરપકડ કરી છે.
પહેલા ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી
લોરેન્સ-ગોલ્ડી બ્રાર ગેંગના બે વોન્ટેડ ગુનેગારો અંકિત સિરસા (19) અને સચિન ભિવાની (23)ની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી, એમ તેમણે જણાવ્યું હતું. દિલ્હી પોલીસની સ્પેશિયલ બ્રાન્ચે ગયા મહિને આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે, પંજાબના માનસા જિલ્લામાં 29 મેના રોજ લોકપ્રિય પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની અજાણ્યા વ્યક્તિઓએ ગોળી મારીને હત્યા કરી હતી.
આ કેસમાં જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના પિતાએ તેમના પુત્રના ટ્રાન્ઝિટ રિમાન્ડ સહિતના વિવિધ આદેશોને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી અને ફરિયાદ કરી હતી કે પંજાબમાં વકીલો તેમના પુત્રનો બહિષ્કાર કરી રહ્યા છે અને તેમનો કેસ લડવા તૈયાર નથી. બિશ્વોઈના પિતા તરફથી હાજર રહેલા એડવોકેટ સંગ્રામ સિંહ સરોને જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ જે. બી. પારડીવાલાને કહ્યું કે તેમણે દિલ્હીની કોર્ટના ટ્રાન્ઝિટ રિમાન્ડના આદેશને પડકાર્યો છે, પરંતુ કોઈ વકીલ પંજાબની માનસા કોર્ટમાં બિશ્નોઈનો કેસ લડવા માંગતો નથી.
તેમણે કહ્યું કે બિશ્નોઈએ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના આદેશને પણ પડકાર્યો છે પરંતુ તેમના વતી કોઈ વકીલ હાજર થવા માંગતો નથી, તેથી તેમણે સર્વોચ્ચ અદાલતનો સંપર્ક કર્યો છે. આના પર, બેન્ચે કહ્યું કે આ સંપૂર્ણપણે ગેરવાજબી છે અને અરજદારો કાનૂની સહાય માટે બિશ્નોઈને વકીલ પ્રદાન કરવા માટે હાઈકોર્ટનો સંપર્ક કરી શકે છે.