NIAનો મોટો દાવો, આંતકી સંગઠન ISIS માટે ભરતી કરવામાં આવી રહ્યા છે યુવાનો
NIAએ દાવો કર્યો છે કે PFI મુસ્લિમ યુવકોને ટાર્ગેટ કર્યા હતા. ISISમાં ભરતી થવા માટે આ મુસ્લિમ યુવકોનું બ્રેન વોશિંગ કરાઈ રહ્યુ હતુ. ત્યારબાદ તેમને આતંકી તાલીમ આપવામાં આવતી હતી.
દેશભરમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) પર રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ની એક્શન બાદ PFI સાથે સંબંધિથ કેટલીક જાણકારીઓ સામે આવી છે, જેમા NIAએ ખૂલાસો કર્યો છે કે PFI ભારતમાં ISIS જેવા પ્રતિબંધિત આતંકી સંગઠન માટે યુવાનોની ભર્તી કરી રહ્યુ હતુ. PFIએ તેના માટે મુસ્લિમ યુવકોને ટાર્ગેટ કર્યા હતા. ISISમાં ભરતી થવા માટે પહેલા તેમનુ બ્રેન વોશ કરવામાં આવતુ હતુ. ત્યારબાદ તેમને આતંકી ટ્રેનિંગ આપવામાં આવતી હતી. રાષ્ટ્રીય તપાસ એજન્સીએ આ અંગેનો ખૂલાસો ગુરુવારે દેશભરમાં અલગ અલગ ઠેકાણાઓ પર કરેલા દરોડા બાદ ધરપકડ કરાયેલા PFIના કાર્યકર્તાઓની રિમાન્ડ મેળવવા માટે કોર્ટમાં કરેલી દલીલો દરમિયાન કર્યો છે. આપને જણાવી દઈએ કે NIAએ PFIની આતંકી ગતિવિધિઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા દેશભરમાં 100થી વધુ પદાધિકારીઓ અને નેતાઓની ધરપકડ કરી છે.
આ સાથે જ PFI મામલે NIAની રિમાન્ડ કોપીમાં મોટા ષડયંત્રનો ખૂલાસો થયો છે. એવી પણ જાણકારી મળી છે કે PFIના નિશાને અનેક મોટા નેતાઓ પણ હતા. PFIએ તેના માટે ભારતની અંદર જ ભરતી શરૂ કરી દીધી હતી. PFIનો આશય યુવાનોને લલચાવી આતંકવાદી સંગઠન લશકર -એ -તૈયબા અને ISISનો સમાવેશ કરવાનો હતો.
PFI ના 35-40 કાર્યકર્તાઓની કરાઈ ધરપકડ
રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા ગુરુવારે દેશભરમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના અલગ અલગ ઠેકાણાઓ પર દરોડા કરવામાં આવ્યા હતા. તેના એક દિવસ બાદ શુક્રવારે પૂણે જિલ્લામાં પ્રદર્શન કરી રહેલા PFIના 35થી વધુ સભ્યની ધરપકડ કરવામાં આવી. બૂંદગાર્ડન પોલીસ સ્ટેશનના વરિષ્ઠ નિરીક્ષકે જણાવ્યુ કે PFIના 35-40 કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી હતી કારણ કે તેમને પ્રદર્શન કરવાની પરવાનગી નહોતી છતા તેઓ પ્રદર્શન કરી રહ્યા હતા. NIAની આગેવાનીમાં ગુરુવારે PFI પર કાર્યવાહી કરવામાં આવી અને તેને કટ્ટરપંથી ઈસ્લામી સંગઠનના 106 નેતાઓ તથા કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ દેશમાં કથિત રીતે આતંકી ગતિવિધિઓનું સમર્થન કરવા માટે PFI વિરુદ્ધ 15 રાજ્યોમાં 93 સ્થાનો પર એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા.
ઉડુપીમાં માર્ગ બ્લોક કરવા માટે 11 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
PFIના કાર્યાલયો પર NIAના દરોડાના વિરોધમાં પ્રદર્શન દરમિયાન માર્ગ રોકવાના આરોપમાં ઉડુપી શહેર પોલીસે PFIના 11 કાર્યકર્તાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ PFI એ પ્રદર્શન માટે મંજૂરી લીધી ન હતી અને તેમના વિરુદ્ધ રોડ બ્લોક કરવાના આરોપમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.