Assam Flood: આસામમાં વરસાદ બાદ પૂરની તબાહી, 4 લાખ લોકો પ્રભાવિત, અત્યાર સુધીમાં 8 લોકોના મોત
આસામના ઘણા વિસ્તારોમાં પૂરના (Assam Flood) કારણે રાજ્યમાં અસરગ્રસ્ત લોકોની સંખ્યા વધીને ચાર લાખ થઈ ગઈ છે અને વરસાદ સંબંધિત અકસ્માતોમાં વધુ ત્રણ લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને આઠ થઈ ગયો છે.
આસામના ઘણા વિસ્તારોમાં પૂરના (Assam Flood) કારણે રાજ્યમાં અસરગ્રસ્ત લોકોની સંખ્યા વધીને ચાર લાખ થઈ ગઈ છે અને વરસાદ સંબંધિત અકસ્માતોમાં વધુ ત્રણ લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને આઠ થઈ ગયો છે. સરકારી બુલેટિનમાં આ માહિતી આપવામાં આવી છે. ભારે વરસાદ (Heavy Rain) અને ભૂસ્ખલનને કારણે મંગળવારે પડોશી ત્રિપુરા, મિઝોરમ અને મણિપુરના ભાગો સાથે રોડ અને રેલ વ્યવહાર ખોરવાઈ ગયો હતો, જેમાં આસામની બરાક વેલી અને દિમા હાસાઓ જિલ્લાનો સમાવેશ થાય છે, આસામ અને મેઘાલયમાં (Meghalaya) ઘણી જગ્યાએ રોડ અને રેલવે ટ્રેક ધોવાઈ ગયા છે.
આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA) બુલેટિનમાં જણાવાયું છે કે સોમવાર સુધીમાં 20 જિલ્લાઓમાં 1,97,248 લોકો પૂરથી પ્રભાવિત થયા હતા અને હવે આ સંખ્યામાં વધારો થયો છે. 26 જિલ્લાઓમાં 4,03,352 લોકો પૂરથી પ્રભાવિત થયા છે. આ ઉપરાંત મૃત્યુઆંક પણ વધીને આઠ થઈ ગયો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (Amit Shah) આસામને કેન્દ્ર સરકાર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી છે.
ઘણી જગ્યાએ રેલ વ્યવહાર ખોરવાઈ ગયો
આસામના દિમા હસાઓ જિલ્લામાં ભૂસ્ખલનને કારણે અનેક સ્થળોએ રોડ અને રેલ સંપર્ક ખોરવાયો છે. મેઘાલયના પૂર્વ જયંતિયા હિલ્સ જિલ્લામાં ભૂસ્ખલનથી દક્ષિણ આસામની બરાક ખીણ અને ત્રણ ઉત્તરપૂર્વીય રાજ્યોના મહત્વના ભાગો સાથેનો માર્ગ સંપર્ક ખોરવાઈ ગયો હતો. પૂર્વ જયંતિયા હિલ્સ પોલીસે તેના અધિકારક્ષેત્રમાં વધુ ભૂસ્ખલન થવા અંગે ચેતવણી આપી છે. આસામ પોલીસના વિશેષ મહાનિર્દેશક જીપી સિંહે લોકોને જ્યાં સુધી રસ્તા સાફ થઈને વાહનવ્યવહારને અનુકુળ ના થાય ત્યાં સુધી રસ્તાનો ઉપયોગ કરવાનું ટાળવા જણાવ્યું છે.
રેલ્વે લાઇનનુ કામ યુદ્ધના ધોરણે ચાલુ
સિંહે ટ્વિટ કર્યું, ‘કૃપા કરીને જ્યાં સુધી રોડ વાહનવ્યવહાર માટે યોગ્ય ના થાય ત્યાં સુધી સિલચરથી ગુવાહાટી જવાનું ટાળો.’ એક સત્તાવાર બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે ભારે વરસાદને કારણે રવિવારથી દિમા હાસાઓમાં સંચાર ચેનલ બંધ કરી દેવામાં આવી છે. નોર્થઇસ્ટ ફ્રન્ટીયર રેલ્વેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે લુમડિંગ-બદરપુર સેક્શનમાં ભૂસ્ખલન અને ટ્રેક પર પાણી ભરાવાને કારણે બરાક વેલી, મણિપુર, ત્રિપુરા અને મિઝોરમ સાથેનો રેલ સંપર્ક તૂટી ગયો છે. તેમણે કહ્યું કે રેલ્વે લાઇનને પુનઃસ્થાપિત કરવાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.
પૂરના કારણે હવાઈ ભાડું વધ્યું
રોડ અને રેલવે વ્યવહાર ખોરવાઈ જવાને કારણે હવાઈ ભાડામાં વધારો થયો છે. તેમના મતવિસ્તારમાં પહોંચેલા સિલ્ચરના સાંસદ રાજદીપ રોયે ટ્વીટ કર્યું કે, “ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે રેલ અને માર્ગ વ્યવહાર ખોરવાઈ જવાને કારણે 31000 રૂપિયાનું સિલ્ચર-ગુવાહાટી હવાઈ ભાડું જોઈને હું ચોંકી ગયો છું, જે 300 કિલોમીટરના અંતરની 25 મિનિટની ફ્લાઈટ છે.’