BSF જવાને કરેલા ગોળીબારમાં 4 જવાનો થયા હતા શહિદ, 5 અધિકારીઓ સામે તપાસના આદેશ
બોર્ડર સિક્યોરિટી ફોર્સ, (BSF) ની કોર્ટ ઓફ ઈન્ક્વાયરીએ પાંચ સૈન્ય અધિકારીઓ અને એક વ્યક્તિ વિરુદ્ધ ખાતાકીય કાર્યવાહીની ભલામણ કરી છે. તપાસની ભલામણ કરાયેલામાં એક ચીફ મેડિકલ ઓફિસર અને ડેપ્યુટી કમાન્ડન્ટનો પણ સમાવેશ થાય છે.
પંજાબના અમૃતસરમાં ગત 6 માર્ચે, BSFની 144 બટાલિયનના મુખ્યાલયમાં BSF જવાન દ્વારા કરવામાં આવેલા આડેઘડ ગોળીબારમાં 4 સૈનિકો શહિદ થયા હતા. આ ઘટનામાં એક જવાન પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો. પોતાના સાથીઓને ગોળી માર્યા બાદ BSF જવાન સટ્ટપ્પા સિદ્દપ્પાએ પોતાને પણ ગોળી મારી દીધી હતી. આ પછી હવે બીએસએફની કોર્ટ ઓફ ઈન્ક્વાયરીએ (Court of Inquiry) પાંચ અધિકારીઓ અને એક વ્યક્તિ સામે ખાતાકીય કાર્યવાહીની ભલામણ કરી છે. જેમાં એક ચીફ મેડિકલ ઓફિસર (CMO) અને ડેપ્યુટી કમાન્ડન્ટનો સમાવેશ થાય છે. તેમના પર સતપ્પાની માનસિક સ્થિતિને નજરઅંદાજ કરવાનો આરોપ છે.
ગોળીબારની ઘટનાની તપાસ કરતા જાણવા મળ્યું હતુ કે આરોપી બીએસએફ કોન્સ્ટેબલ સતપ્પાને ફાયરિંગના 15 મિનિટ પહેલા એટલે કે સવારે 9.30 વાગ્યાની આસપાસ યુનિટ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ પછી જ તેણે તેના સાથીઓ પર ફાયરિંગ કર્યું હતું. તેણે જેમને ગોળી મારીને હત્યા કરી તેમાં તેનો મિત્ર પણ સામેલ હતો, જે સતપ્પાની સંભાળ રાખતો હતો. રતન લાલ નામના આ જવાને ઘટનાના એક કલાક પહેલા સતપ્પાને નાસ્તો પણ પીરસ્યો હતો.
સતપ્પાને ઘણી માનસિક બીમારીઓ હતી
સતપ્પાને ઘણી માનસિક બીમારીઓ હતી. ફાયરિંગની આ ઘટનામાં કોર્ટ ઓફ ઈન્કવાયરીમાં એ વાત પણ સામે આવી છે કે આરોપી સતપ્પા વિવિધ માનસિક બિમારીઓથી પીડિત હતો. તેમને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર તેમજ મનોવિકૃતિ, બાયપોલર ડિસઓર્ડર, ચિંતા સહિતની ઘણી બીમારીઓ હતી. આ હોવા છતાં, તેમના તબીબી તપાસ દરમિયાન તેમને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. આ પ્રમાણપત્ર સૈન્યમાં સૌથી મોટું સ્વાસ્થ્ય પ્રમાણપત્ર ગણાય છે.