Assam : પૂરને કારણે તબાહી, અત્યાર સુધીમાં 36ના મોત, મુખ્યપ્રધાને રાહત પેકેજની કરી જાહેરાત
આસામમાં (Assam) અત્યાર સુધીમાં 8 જિલ્લાના 653 ગામડાઓમાં રહેતા કુલ 4.49 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પૂરના કારણે 29,160 હેક્ટરના પાકને નુકસાન થયું છે.
Assam Floods: આસામમાં (Assam) ભારે વરસાદ બાદ હવે પૂરના પાણીએ ઠેર-ઠેર તબાહી મચાવી છે. આસામની મોટી નદીઓમાં પૂર (Assam River) અને તેના કારણે સર્જાયેલી ઘટનાઓમાં સોમવારે અન્ય 4 લોકોના મોત થયા હતા.જે બાદ રાજ્યમાં પૂરના કારણે મૃત્યુઆંક વધીને 36 થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે, રાજ્યના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ (Himanta Biswa Sarma)પૂરથી પ્રભાવિત દિમા હસાઓ જિલ્લા માટે 50 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું છે.
રાહત પેકેજ જાહેર કરવાનો નિર્ણય સોમવારે ગુવાહાટીમાં જનતા ભવનમાં મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવામાં આવ્યો હતો. દિમા હાસાઓ જિલ્લા માટે જાહેર કરાયેલા 50 કરોડ રૂપિયાના રાહત પેકેજમાંથી 30 કરોડ રૂપિયા તૂટેલા રસ્તાઓના નિર્માણ માટે ફાળવવામાં આવ્યા છે. આ સાથે જ એવા 590 પરિવારોને બે લાખ રૂપિયા આપવામાં આવશે જેમના ઘર પૂરમાં બરબાદ થયા છે. આ પૈસા તેમને ઘર બનાવવા માટે આપવામાં આવશે.
8 જિલ્લા પૂરથી પ્રભાવિત
આસામમાં અત્યાર સુધીમાં 8 જિલ્લાના 653 ગામડાઓમાં રહેતા કુલ 4.49 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પૂરના કારણે 29,160 હેક્ટરના પાકને નુકસાન થયું છે. આ સાથે રાજ્યમાં લોકોને પૂરથી બચાવવા માટે 143 રાહત શિબિરો બનાવવામાં આવી છે. આ સાથે પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રીનું વિતરણ કરવા માટે 5 કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે,જેમાં 44 હજારથી વધુ લોકો રહે છે.
સોમવારે 4 લોકોના મોત થયા હતા
આસામની સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અહેવાલ મુજબ, સોમવારે નાગાંવ અને કચરમાં બે-બે લોકોના મોત થયા હતા. આ સાથે હવે આસામમાં પૂર અને ભૂસ્ખલનના કારણે કુલ મૃત્યુઆંક વધીને 36 થઈ ગયો છે. મળતી માહિતી મુજબ કચર, દિમા હસાઓ, ગોલપારા, કામરૂપ (મેટ્રો), મોરીગાંવ અને નાગાંવમાં 2,90,749 લોકો પૂરથી પ્રભાવિત થયા છે. જો કે રાહતની વાત એ છે કે આ જિલ્લાઓની તમામ નદીઓમાં પુરનો પ્રવાહ ઘટી રહ્યો છે.
નાગાંવ સૌથી વધુ અસરગ્રસ્ત
નાગાંવ આસામમાં પૂરથી સૌથી વધુ પ્રભાવિત વિસ્તાર છે. જ્યાં 3.07 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. બીજા સ્થાને કચર છે, જ્યાં 99,060 લોકો પૂરથી પ્રભાવિત છે. મોરીગાંવમાં 40,843 લોકો પૂરથી પ્રભાવિત થયા છે. સમગ્ર આસામમાં પૂરના કારણે 1.55 લાખથી વધુ પશુઓ પૂરથી પ્રભાવિત થયા છે. આ સાથે અન્ય ઘણા વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે.