આર્થિક રીતે નબળા વર્ગને શિક્ષણ- નોકરીઓમાં 10% અનામત બંધારણ વિરુદ્ધ, સુપ્રીમકોર્ટમાં વકીલોએ કરી દલીલ
એક વકીલે કહ્યું કે કેન્દ્રનો આ નિર્ણય ઘણી રીતે બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન છે અને અનામતના સંદર્ભમાં 50% મર્યાદાનું પણ ઉલ્લંઘન કરે છે.
આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માટે શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ અને નોકરીઓમાં 10% અનામત આપવાના કેન્દ્ર સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) પડકારવામાં આવ્યો છે. મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. એક વકીલે કહ્યું કે કેન્દ્રનો આ નિર્ણય ઘણી રીતે બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન છે અને અનામતના સંદર્ભમાં 50% મર્યાદાનું પણ ઉલ્લંઘન કરે છે.
એક વકીલે દલીલ કરી હતી કે EWS માટેનો ક્વોટા “છેતરપિંડી અને આરક્ષણની ભાવનાને નષ્ટ કરવાનો પ્રયાસ” છે. વકીલે એમ પણ કહ્યું કે તેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો (ઓબીસી) કેટેગરીના ગરીબોનો સમાવેશ થતો નથી, જેનો હેતુ ક્રીમી લેયરને નિષ્ફળ બનાવવાનો છે. EWS શ્રેણી માટે 10% અનામત એ SC, ST અને OBC માટે 50% અનામત ઉપરાંત છે.
સુપ્રીમ કોર્ટે વકીલોની દલીલો સાંભળી
મુખ્ય ન્યાયાધીશ ઉદય ઉમેશ લલિતની આગેવાની હેઠળની પાંચ જજોની બેન્ચે EWS અનામત અંગે 103મા બંધારણીય સુધારાની માન્યતાને પડકારતી વિવિધ અરજીઓની સુનાવણી શરૂ કરી છે. ગઈકાલ મંગળવારે દિવસભર ચાલેલી સુનાવણી દરમિયાન, બેન્ચે EWS આરક્ષણનો વિરોધ કરતી પીઆઈએલના અરજદારો માટે હાજર ત્રણ વકીલોની દલીલો સાંભળી.
પાંચ જજોની બેન્ચ સુનાવણી કરી રહી છે
દલીલો શરૂ કરતા, શિક્ષણવિદ મોહન ગોપાલે બેંચને કહ્યું, EWS ક્વોટા એ ઉચ્ચ વર્ગના, બિન અનામત વર્ગને અનામત આપીને અનામતની ભાવનાને નષ્ટ કરવાનો પ્રયાસ છે, આ બેંચમાં જસ્ટિસ દિનેશ મહેશ્વરી, જસ્ટિસ એસ. રવિન્દ્ર ભટ, જસ્ટિસ બેલા એમ. ત્રિવેદી અને જસ્ટિસ જે. બી. પારડીવાલાનો પણ સમાવેશ થાય છે.
કોર્ટમાં વકીલોની દલીલો
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જે નાગરિકો શૈક્ષણિક અને સામાજિક રીતે પછાત તેમજ એસસી અને એસટી છે, તેઓ આર્થિક રીતે નબળા વર્ગમાંથી આવતા હોવા છતાં આ અનામતનો લાભ લઈ શકતા નથી. આ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે, કારણ કે તે દર્શાવે છે કે માત્ર ઉચ્ચ વર્ગના આર્થિક રીતે નબળા વર્ગોની તરફેણમાં વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે.
અરજદારો તરફથી વરિષ્ઠ વકીલ મીનાક્ષી અરોરા હાજર થયા હતા. તેમણે બંધારણીય યોજનાઓનો ઉલ્લેખ કર્યો અને કહ્યું, “આરક્ષણ એ વર્ગ-આધારિત ઉપચારાત્મક માપદંડ છે જે લોકોના એક વર્ગ સાથે કરવામાં આવેલા ઐતિહાસિક અન્યાય અને ભૂલોને સુધારે છે અને માત્ર આર્થિક માપદંડોના આધારે આ કરી શકાતું નથી.
વરિષ્ઠ વકીલ સંજય પરીખે રજૂઆત કરી હતી કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ઓબીસીના ગરીબોને બાકાત રાખીને, આ જોગવાઈ માત્ર ઉચ્ચ વર્ગ માટે કરવામાં આવી છે અને તેથી તે સમાનતાના સિદ્ધાંત અને અન્ય મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે. આ કેસની સુનાવણી બુધવારે પણ ચાલુ રહેશે.