રાજ ઠાકરેની મહાઆરતીને VHP અને બજરંગ દળનું સમર્થન, પુણેમાં એક બેઠક દરમિયાન થઈ વાત
માત્ર પુણેમાં જ નહીં પરંતુ રાજ ઠાકરેની (Raj Thackeray) આગામી અયોધ્યા મુલાકાતમાં પણ મહા આરતીનું (Maha Aarti) આયોજન કરવામાં આવશે. ત્યાં વીએચપી અને બજરંગ દળના સભ્યો પણ એમએનએસ કાર્યકરો સાથે જોડાશે.
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેના (Raj Thackeray MNS) આહ્વાન બાદ પુણેના તમામ મંદિરોમાં 3જી મેના રોજ મહા આરતીનું આયોજન કરવામાં આવશે. મનસેના કાર્યકરો ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળ સહિત સાતથી આઠ સંગઠનોના મોટી સંખ્યામાં કાર્યકરો તેમાં સામેલ થશે. માત્ર પુણેમાં જ નહીં પરંતુ રાજ ઠાકરેની (Raj Thackeray) આગામી અયોધ્યા મુલાકાતમાં પણ મહા આરતીનું (Maha Aarti) આયોજન કરવામાં આવશે. ત્યાં વીએચપી અને બજરંગ દળના સભ્યો પણ એમએનએસ કાર્યકરો સાથે જોડાશે. આ માહિતી મનસેના નેતા અજય શિંદેએ આપી હતી. વીએચપી અને બજરંગ દળના નેતાઓએ શુક્રવારે પુણેમાં મનસેના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક યોજી હતી. હનુમાન ચાલીસા, લાઉડસ્પીકર, અયોધ્યા પ્રવાસ, મહા આરતી જેવા મુદ્દાઓ પર આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
માત્ર વીએચપી અને બજરંગ દળ જ નહીં પરંતુ અનેક હિન્દુત્વવાદી સંગઠનો રાજ ઠાકરેના હિન્દુત્વના એજન્ડાને સમર્થન આપવા આગળ આવી રહ્યા છે. આ તમામ સંસ્થાઓએ રાજ્યભરમાં 3 મેના રોજ યોજાનારી મહા આરતીમાં ટેકો આપવા અને તેમાં ભાગ લેવા માટે મંજૂરી આપી દીધી છે. આ માહિતી મનસે નેતા અજય શિંદેએ આપી છે. મહારાષ્ટ્રની મુખ્ય વિપક્ષી પાર્ટી બીજેપીએ પહેલાથી જ રાજ ઠાકરેના હિંદુત્વના એજન્ડાને સમર્થન જાહેર કર્યું છે.
સૌની નજર 1 મેના રોજ ઔરંગાબાદની ‘રાજ’ સભા પર છે
આ પહેલા સૌની નજર 1 મેના રોજ ઔરંગાબાદમાં યોજાનારી રાજ ઠાકરેની સભા પર છે. રાજ ઠાકરેએ તેમની થાણેની બેઠકમાં 3 મે સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. જો રમઝાન અને ઈદ પછી પણ મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવામાં નહીં આવે તો મનસેના કાર્યકર્તાઓ મસ્જિદોની સામે જગ્યાએ જગ્યાએ હનુમાન ચાલીસાના પાઠ કરશે.
ત્રીજી તારીખે પુણેના તમામ મંદિરોમાં મહા આરતીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેના માટે મનસે દ્વારા જોરદાર તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે. શહેરના તમામ મંદિરોમાં સવારે 11.30 થી 12.30 દરમિયાન મહા આરતીનું આયોજન કરવામાં આવશે. તેના સમર્થનમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સહિત સાતથી આઠ સંગઠનો ઉત્સાહપૂર્વક ભાગ લેશે.
રાજ ઠાકરે 3 મેના રોજ અયોધ્યા જવા રવાના થશે
રાજ ઠાકરે 1 મેના રોજ ઔરંગાબાદ બેઠક અને 3 મેના રોજ પુણેની મહા આરતી બાદ અયોધ્યા જવા રવાના થશે. આવતીકાલે (30 એપ્રિલ, શનિવાર) રાજ ઠાકરે સવારે 8 વાગ્યે પુણેથી ઔરંગાબાદ જવા રવાના થશે. રાજ ઠાકરે સાથે પુણેથી 150 વાહનોનો કાફલો દોડશે. ઔરંગાબાદની બેઠક માટે પુણેથી 12 થી 15 હજાર એમએનએસના કાર્યકર્તાઓ જવાના છે. પ્રાપ્ત માહિતી અનુસાર તેમના હજારો કાર્યકર્તાઓ પણ અયોધ્યા જઈ રહ્યા છે.