પુણેમાંથી પકડાયેલ આતંકી જુનૈદનો મોટો ખુલાસો, દિલ્લી-યુપીની 3 હસ્તીઓ હતા નિશાને
પૂણેથી ધરપકડ કરાયેલા શંકાસ્પદ આતંકવાદી જુનૈદ અને તેના સાથીદારો દિલ્લી અને ઉત્તર પ્રદેશમાં રહેતા ત્રણ લોકો પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યા હતા. જેમાં નરસિમ્હાનંદ સ્વામી, ગાયક સંદીપ આચાર્ય અને જિતેન્દ્ર નારાયણના નામ સામેલ છે.
પૂણેથી ધરપકડ કરાયેલા શંકાસ્પદ આતંકવાદી (Suspected terrorist) જુનૈદ અને તેના સાથીદારો દિલ્લી અને ઉત્તર પ્રદેશમાં રહેતા ત્રણ લોકો પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યા હતા. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, જુનૈદ અને તેના સાથી નરસિમ્હાનંદ સ્વામી (Narasimhananda Swami), ગાયક સંદીપ આચાર્ય અને જિતેન્દ્ર નારાયણ ઉર્ફે વસીમ રિઝવી હુમલો કરવાની તૈયારી કરી રહ્યા હતા. આ સાથે તેમણે આગામી સમયમાં ઉત્તર પ્રદેશમાં ભાજપની રેલીઓને નિશાન બનાવવાનું પણ આયોજન કર્યું હતું. આતંકવાદી ષડયંત્ર માટે કાશ્મીરના આતંકવાદી સંગઠન દ્વારા જુનૈદને પૈસા મોકલવામાં આવ્યા હતા, જેની માહિતી એટીએસ દ્વારા પહેલાથી જ આપવામાં આવી છે.
જુનૈદની ATS દ્વારા 24 મેના રોજ પુણેના દાપોડી વિસ્તારમાંથી અટકાયત કરવામાં આવી હતી. દાપોડીમાં તેની ધરપકડ પહેલા દિલ્લી અને ઉત્તર પ્રદેશમાં ધાર્મિક સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની તેની યોજનાને પાર પાડવા તે સ્વ-તાલીમના ભાગરૂપે અકોલામાં પરસેવો પાડી રહ્યો હતો. મહારાષ્ટ્ર એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)ના અધિકારીએ જણાવ્યું કે જુનૈદ જમ્મુ અને કાશ્મીરમાં ટ્રેનિંગ લેવા માટે ઉત્સુક હતો, પરંતુ કોરોના મહામારીએ તેને મુસાફરી કરતા અટકાવ્યો.
જાણો કયા કેસમાં જુનૈદની ધરપકડ કરવામાં આવી હતી
મહિનાઓ સુધી શંકાસ્પદ નાગરિકોની હિલચાલ પર ચાંપતી નજર રાખ્યા બાદ મુંબઈ એટીએસે જુનૈદ વિશે ટિપ ઓફ આપી હતી. માહિતીના આધારે, જુનૈદનું નિગડીનું લોકેશન ટ્રેસ કર્યું અને અંતે તેને દાપોડીમાં પકડી લીધો. ટીમે લશ્કર-એ-તૈયબા પાસેથી પૈસા મેળવવા બદલ તેની ધરપકડ કરી હતી. જુનૈદ પર કલમ 121 (એ) (ગુનાનું ષડયંત્ર), 153 (એ) (ધર્મ, જાતિ, જન્મ સ્થળ પર હુમલો કરનાર વ્યક્તિઓની સજા) અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની સંબંધિત કલમો હેઠળ પણ આરોપ મૂકવામાં આવ્યો હતો. હાલમાં તે યરવડા જેલમાં બંધ છે.
જુનૈદ જમ્મુ-કાશ્મીરમાં ટ્રેનિંગ લેવા માટે ઉત્સુક હતો
એટીએસ અધિકારીએ કહ્યું, “આ મામલે સંપૂર્ણ તપાસ કરવામાં આવી છે. જાણવા મળ્યું છે કે જુનૈદ જમ્મુ-કાશ્મીરમાં ટ્રેનિંગ લેવા માટે ઉત્સુક હતો. જો કે, કોવિડ -19 રોગચાળાએ તેની યોજનાઓને પાટા પરથી ઉતારી દીધી. તે પાકિસ્તાનમાં રહેતા ઉમરના સતત સંપર્કમાં હતો. આ કેસમાં ઉમરને પણ આરોપી બનાવવામાં આવ્યો છે પરંતુ તે હાલ ફરાર છે.