Maharashtra Political Crisis: શિવસેના કે શિંદેસેના, કોનુ હશે તીર કમાન ? જાણો પ્રતીક મેળવવા માટે એકનાથ શિંદે સામેનો મોટો અવરોધ
એકનાથ શિંદેએ (Eknath Shinde) ડેપ્યુટી સ્પીકર અને રાજ્યપાલને પત્ર મોકલ્યો છે. જેમાં શિવસેનાના 37 ધારાસભ્યોના સમર્થન સાથે તેમણે પોતાને વિધાયક દળના નેતા ગણાવ્યા છે.
મહારાષ્ટ્રમાં રાજકીય સંકટનો આજે પાંચમો દિવસ છે. સતત ચાર દિવસથી રાજકારણમાં ગરમાવો ચાલી રહ્યો છે. જ્યાં એક તરફ શિવસેનાના બળવાખોર મંત્રી એકનાથ શિંદેનું (Minister Eknath Shinde) વલણ વધી રહ્યું છે તો બીજી તરફ મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે (Cm Udhav Thackeray) પોતાની સરકાર બચાવવા માટે સતત લડતા જોવા મળી રહ્યા છે. શુક્રવારે એકનાથ શિંદેએ ડેપ્યુટી સ્પીકર અને રાજ્યપાલને પત્ર મોકલ્યો હતો. જેમાં શિવસેનાના 37 ધારાસભ્યોના સમર્થન સાથે તેમણે પોતાને વિધાયક દળના નેતા ગણાવ્યા છે. આ સાથે જ એવા સમાચાર છે કે શિવસેનાના અન્ય ત્રણ ધારાસભ્ય શિંદે તરફે સામેલ થવા માટે ગુવાહાટી પહોંચી રહ્યા છે.
અત્યારે જે રીતે મહારાષ્ટ્રમાં રાજકીય સ્થિતિ છે, તેનાથી એક વાત સ્પષ્ટ છે કે એકનાથ શિંદેની નજર હવે શિવસેનાના પાર્ટીના ચિન્હ ‘તીર અને કમાન’ પર છે, પરંતુ ‘તીર અને કમાન’ હાંસલ કરવું એટલું સરળ નથી. એક પરિપ્રેક્ષ્યમાં, શિંદેનું માત્ર 25 ટકા કામ પૂર્ણ થયું છે.
ચૂંટણી પંચ નક્કી કરશે કે પાર્ટીનું ચૂંટણી ચિન્હ કોને મળશે
રાજકીય પક્ષોમાં વિભાજનની બે જ સ્થિતિ છે. એક જ્યારે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું હોય, ત્યારે પક્ષમાં થતા વિભાજનની સ્થિતિમાં નિર્ણય લેવાની સત્તા વિધાનસભાના અધ્યક્ષ પાસે રહે છે. આ કિસ્સામાં પક્ષપલટા વિરોધી કાયદો પણ લાગુ પડે છે. બીજું- જ્યારે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું ના હોય ત્યારે જો માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય અથવા રાજ્ય સ્તરની પાર્ટીમાં વિભાજન થાય છે, તો ચૂંટણી પંચ નક્કી કરે છે કે તે કોનો પક્ષ છે. ચૂંટણી પંચને આ સત્તા ચૂંટણી સિમ્બોલ્સ ઓર્ડર, 1968ના ફકરા નંબર 15માંથી મળે છે.
એકનાથ શિંદે માટે પાર્ટીનું સિમ્બોલ મેળવવું એટલું સરળ નથી
હાલમાં એકનાથ શિંદેને 40 ધારાસભ્યોનું સમર્થન છે. આ સિવાય કેટલાક સાંસદોએ પણ શિંદેને સમર્થન આપ્યું હોવાના અહેવાલ છે. થાણે જિલ્લાના લગભગ 40 કોર્પોરેટરો પણ શિંદેની સાથે હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, પરંતુ આટલું બધું હોવા છતાં શિંદેનું માત્ર ચોથા ભાગનું જ કામ પૂર્ણ થયું છે.
પાર્ટીનું ચૂંટણી ચિન્હ મેળવવા માટે શિંદેએ આમ કરવું પડશે
પાર્ટીનું ચૂંટણી ચિન્હ મેળવવું પણ એટલું સરળ નથી. પાર્ટી ચિન્હ મેળવવા માટે, શિંદેએ હવે પાર્ટીના ધારાસભ્યો સિવાય પાર્ટીના નેતાઓ, ડેપ્યુટી લીડર, સેક્રેટરી, પ્રવક્તા, લોકસભા સાંસદ, રાજ્યસભા સાંસદ, MLC, મેયર અને ડેપ્યુટી મેયરનો ટેકો લેવો પડશે. આ ઉપરાંત સંગઠનને યુવા સેના, મહિલા અઘાડી, ભારતીય કામદાર સેના જેવા પક્ષના અન્ય મોરચાના સમર્થનની પણ જરૂર રહેશે. પાર્ટી સિમ્બોલ મેળવવા માટે શિંદેને શિવસેનાના અડધાથી વધુ લોકોનું આ સમર્થન હોવું જોઈએ.