Maharashtra: શિંદે કેબિનેટે પહેલી બેઠકમાં લીધો મોટો નિર્ણય, મેટ્રો કાર શેડને ફરી આરેમાં શિફ્ટ કરાશે
મુંબઈ મેટ્રો 3 પ્રોજેક્ટમાં કોલાબા-બાંદ્રા-SEEPZ રૂટ પર ચાલતા 33.5-કિમીના અંડરગ્રાઉન્ડ કોરિડોરનો સમાવેશ થાય છે.
ગુરુવારે ઉદ્ધવ ઠાકરેને મોટો ફટકો આપતા મહારાષ્ટ્રમાં મુખ્યપ્રધાન એકનાથ શિંદેની (Chief Minister Eknath Shinde) આગેવાનીવાળી સરકારે મુંબઈ મેટ્રો 3 કાર શેડને (Metro Car Shed) આરેમાં પાછું શિફ્ટ કરવાનો નિર્ણય લીધો હતો. 11 ઓક્ટોબર, 2020 ના રોજ, ઠાકરેએ જાહેરાત કરી કે કાર શેડને આરેથી કાંજુરમાર્ગમાં ખસેડવામાં આવશે અને આ હેતુ માટે કોઈ ખર્ચ કરવામાં આવશે નહીં. આ નિર્ણયથી ભાજપ (BJP) અને શિવસેના (Shiv Sena) વચ્ચેના વિવાદનો મુખ્ય મુદ્દો બની ગયો હતો. જો કે, બોમ્બે હાઈકોર્ટે 16 ડિસેમ્બર, 2020 ના રોજ કાંજુરમાર્ગ ખાતે 102 એકર જમીન મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) ને કાર શેડના નિર્માણ માટે ટ્રાન્સફર કરવા પર સ્ટે આપ્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર એડવોકેટ જનરલ આશુતોષ કુંભકોણીને બોમ્બે હાઈકોર્ટ સમક્ષ મેટ્રો કાર શેડના સ્થાન અંગે નવી સરકારનું સ્ટેન્ડ રજૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ વર્ષે એપ્રિલમાં, બોમ્બે હાઈકોર્ટ, જે કાંજુરમાર્ગની જમીન કેન્દ્રની છે તેવા દાવા સામેની અરજીની સુનાવણી કરી રહી છે, તેણે કાર શેડ મુદ્દે તત્કાલીન ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની સરકાર અને કેન્દ્રને તેમના મતભેદો ઉકેલવા વિનંતી કરી હતી. દરમિયાન, સૂત્રોએ જણાવ્યું કે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે (Deputy CM Devendra Fadnavis) અધિકારીઓને જળયુક્ત શિવાર યોજનાને ફરીથી શરૂ કરવા માટે વહેલી તકે દરખાસ્ત લાવવાનો નિર્દેશ આપ્યો છે.
મુંબઈ મેટ્રો 3 કાર શેડને લઈને વિવાદ
મુંબઈ મેટ્રો (Mumbai Metro) 3 પ્રોજેક્ટમાં કોલાબા-બાંદ્રા-SEEPZ રૂટ પર ચાલતા 33.5-કિમીના અંડરગ્રાઉન્ડ કોરિડોરનો સમાવેશ થાય છે. કુલ 27 સ્ટેશન હશે. જેમાંથી 26 અંડરગ્રાઉન્ડ હશે. હાલમાં 90 થી વધુ ટનલના કામો પૂર્ણ થયા છે. મેટ્રો કાર શેડની જગ્યાને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. પર્યાવરણીય કાર્યકરોના મતે, આરે એક જંગલ વિસ્તાર છે અને કોઈપણ નિર્માણ કાર્ય પર્યાવરણીય સંતુલનને ખલેલ પહોંચાડશે. બીજી તરફ, તત્કાલીન દેવેન્દ્ર ફડણવીસના શાસને હાઇલાઇટ કર્યું હતું કે પ્રોજેક્ટના લાંબા ગાળાના લાભો વૃક્ષો કાપવાથી થતા કામચલાઉ નુકસાન કરતાં વધુ હશે.
મુંબઈ મેટ્રો 3 માટે કાર શેડના નિર્માણ માટે આરેની જમીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનો વ્યાપક વિરોધ થયો હતો. ઑક્ટોબર 2019માં બૃહન્મુંબઈ મુંબઈ કોર્પોરેશન (BMC) ટ્રી ઑથોરિટી દ્વારા આપવામાં આવેલી પરવાનગીને બૉમ્બે હાઈકોર્ટે યથાવત રાખી હોવાથી, રાતોરાત 2,185 થી વધુ વૃક્ષોનુ છેદન કરવામાં આવ્યુ હતુ. જેના કારણે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં આગામી નવા આદેશ સુધી કોઈપણ વૃક્ષો કાપવા પર રોક લગાવવામાં આવી હતી. નવેમ્બર 2019 માં સીએમ પદ સંભાળ્યા પછી, ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે કાર શેડના નિર્માણ માટે આરેનું એક પણ પાંદડું કાપવામાં નહી આવે.