Rajya Sabha Election: રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા નામ, મહારાષ્ટ્રમાંથી પીયૂષ ગોયલ સહિત ત્રણ લોકોને મળી તક, શિવસેના સાથે નિર્ણાયક ટક્કર
સંજય રાઉત (Sanjay Raut) ઉપરાંત શિવસેનાએ સંજય પવારને પણ પોતાના ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા છે. ભાજપે પણ થોડો સમય રાહ જોઈને પોતાના ત્રીજા ઉમેદવારનું નામ જાહેર કર્યું છે. હવે ભાજપના ધનંજય મહાડિકની ટક્કર શિવસેનાના સંજય પવાર સાથે થશે.
આવતા મહિને યોજાનારી રાજ્યસભા ચૂંટણી (Rajya Sabha Election 2022) માટે ભાજપે તેના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. મહારાષ્ટ્રમાંથી ભાજપના ઉમેદવારો (BJP Candidates) કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ (Piyush Goyal), ડૉ. અનિલ બોંડે અને ધનંજય મહાડિક હશે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ ગત વખતે પણ મહારાષ્ટ્રમાંથી રાજ્યસભામાં ચૂંટાયા હતા. આ વખતે પણ તેમની ઉમેદવારી યથાવત રાખવામાં આવી છે. રાજ્યસભાના બીજા ઉમેદવાર તરીકે ડૉ.અનિલ બોંડેને તક આપવામાં આવી છે. અનિલ બોંડે ફડણવીસ સરકારમાં મંત્રી હતા. છેલ્લા કેટલાક સમયથી તેઓ મહા વિકાસ આઘાડી સરકાર પર સતત આક્રમક વલણ અપનાવી રહ્યા હતા. ભાજપે કોલ્હાપુરથી ત્રીજા ઉમેદવારને મેદાનમાં ઉતારીને રાજ્યસભાની ચૂંટણીને રસપ્રદ બનાવી દીધી છે.
ચૂંટણીના ગણિતને જોતા, ભાજપના બે ઉમેદવારો અને મહાવિકાસ અઘાડી સરકારના ત્રણેય પક્ષો (કોંગ્રેસ, શિવસેના, એનસીપી)માંથી એક-એક ઉમેદવાર સરળતાથી જીતી શકે છે. છઠ્ઠી બેઠક માટે કોઈપણ પક્ષ પોતાના દમ પર ઉમેદવારને જીતાડી નહી શકે. સંજય રાઉત ઉપરાંત શિવસેનાએ સંજય પવારને પણ પોતાના ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા છે. ભાજપે પણ થોડો સમય રાહ જોઈને પોતાના ત્રીજા ઉમેદવારનું નામ જાહેર કર્યું છે. હવે ભાજપના ધનંજય મહાડિકની ટક્કર શિવસેનાના સંજય પવાર સાથે થશે.
શિવસેના સામે ભાજપ ત્રણ ઉમેદવારો સાથે મેદાનમાં ઉતર્યું
Bharatiya Janata Party (BJP) releases its list of candidates for elections to the Rajya Sabha. Nirmala Sitharaman to contest from Karnataka, Piyush Goyal from Maharashtra. pic.twitter.com/3wy950APhT
— ANI (@ANI) May 29, 2022
છઠ્ઠી સીટ માટે જોરદાર ટક્કર
ધનંજય મહાડિકના પિતા મહાદેવ મહાડિક કોંગ્રેસના મજબૂત નેતા હતા. ધનંજય મહાડિકે પોતાની રાજકીય કારકિર્દી શિવસેનાથી શરૂ કરી હતી. ત્યારબાદ તેઓ NCPમાં ગયા. 2014માં તેઓ લોકસભામાં ચૂંટાયા હતા. 2019ની ચૂંટણીમાં હારી ગયા. જે બાદ તેમણે ભાજપમાં પ્રવેશ કર્યો હતો. છઠ્ઠી સીટ પર ટક્કર માત્ર ભાજપ અને શિવસેના વચ્ચે જ નથી. તેના બદલે તે કોલ્હાપુર અને કોલ્હાપુરની વચ્ચે પણ છે. શિવસેનાના ઉમેદવાર સંજય પવાર અને ભાજપ ઉમેદવાર ધનંજય મહાડિક બંનેની કર્મભુમિ કોલ્હાપુર છે. બંનેનું અહીં મજબૂત વર્ચસ્વ છે. એટલે કે હાલના શિવસૈનિક અને પૂર્વ શિવસૈનિકની વચ્ચે જોરદાર ટક્કર થવાની છે.
ભાજપે મહારાષ્ટ્ર સહિત 9 રાજ્યોમાંથી 18 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે
ભાજપ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં મધ્યપ્રદેશથી કવિતા પાટીદાર, કર્ણાટકથી નિર્મલા સીતારામન અને જગદીશ, રાજસ્થાનથી ઘનશ્યામ તિવારી, ઉત્તર પ્રદેશથી લક્ષ્મીકાંત બાજપાઈ, રાધા મોહન અગ્રવાલ, સુરેન્દ્ર સિંહ નાગર, બાબુરામ નિષાદ, દર્શના સિંહ, સંગીતા યાદવનો સમાવેશ થાય છે. ઉત્તરાખંડમાંથી કલ્પના સૈની, બિહારમાંથી સતીશ ચંદ્ર દુબે, શંભુ શરણ પટેલ, હરિયાણામાંથી કૃષ્ણલાલ પવારને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.