Pakistan Terrorist Module: જાન મોહમ્મદનું દાઉદ ઈબ્રાહિમ કનેક્શન 20 વર્ષ જૂનું, શું મુંબઈમાં ફરી સક્રિય થઈ રહી છે D કંપની? ATSનો મહત્વનો ખુલાસો
એટીએસના એડિશનલ ડીજીપી વિનીત અગ્રવાલે જણાવ્યું કે જાન મોહમ્મદ શેખની ગુનાહિત પૃષ્ઠભૂમિ 20 વર્ષ જૂની છે. પાકિસ્તાનમાં બેઠેલા દાઉદ ઈબ્રાહિમ સાથે તેના સંબંધો ઘણા જૂના છે. તેની પર મુંબઈના પાયધુની સ્ટેશન પર મારામારી અને ગોળીબારનો કેસ નોંધાયેલો છે.
દિલ્હી પોલીસ (Delhi Police) દ્વારા મુંબઈના ધારાવીમાં રહેતા જાન મોહમ્મદ શેખ (Jaan Mohammad Shaikh)ની ધરપકડ બાદ મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાં હડકંપ મચી ગયો છે.
જાન મોહમ્મદ શેખ ઉર્ફે સમીર કાલિયાના અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ (Dawood Ibrahim) સાથેના સંબંધો સામે આવ્યા છે. આ મામલે દિલ્હી પોલીસે ધરપકડ કર્યા બાદ જાણકારી સામે આવી કે તે દાઉદ ઈબ્રાહિમના ભાઈ અનીસ ઈબ્રાહિમના સંપર્કમાં હતો.
વ્યવસાયે ડ્રાઈવર જાન મોહમ્મદ શેખનું કામ ભારતમાં આતંકવાદી કાવતરાં કરવા માટે આવતા વિસ્ફોટકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું હતું. આ સિવાય તેને મુંબઈમાં ગીચ વિસ્તારોની રેકી કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલે એટીએસ (Anti Terrorism Squad-ATS)ના એડિશનલ ડીજીપી વિનીત અગ્રવાલે પત્રકાર પરિષદ યોજીને આ માહિતી આપી છે.
D કંપની સાથે 20 વર્ષ જૂનું કનેક્શન, અનીસ ઈબ્રાહિમના સંપર્કમાં હતો
એટીએસના એડિશનલ ડીજીપી વિનીત અગ્રવાલે જણાવ્યું હતું કે દિલ્હી પોલીસે પકડેલા 6 આતંકીઓમાંથી એક જાન મોહમ્મદ શેખ છે, જે મુંબઈના ધારાવીનો રહેવાસી છે. તેની ગુનાહિત પૃષ્ઠભૂમિ 20 વર્ષ જૂની છે. પાકિસ્તાનમાં બેઠેલા દાઉદ ઈબ્રાહિમ સાથે તેના સંબંધો ઘણા જૂના છે. તેના વિરુદ્ધ મુંબઈના પાયધુની સ્ટેશનમાં મારામારી અને ગોળીબારનો કેસ નોંધાયેલો છે. પરંતુ આમા તેની કોઈ ભુમિકા છે કે કેમ તેની કોઈ માહિતી હાલ અમારી પાસે નથી. કેન્દ્રીય એજન્સીએ આ અંગેની માહિતી દિલ્હી પોલીસને આપી છે.
મુંબઈ લોકલ અને મુંબઈના ભીડ-ભાડ વાળા વિસ્તારોની રેકી અને પાકિસ્તાનમાં ટ્રેનિંગ?
એટીએસના વિનિત અગ્રવાલે કહ્યું કે ‘રેકી મુંબઈમાં કરવામાં આવી ન હતી. રેકી થવાની હતી, એવું કહેવાય છે. પાકિસ્તાનથી ટ્રેનિંગ લીધા બાદ એક આતંકવાદી આવ્યો અને તેણે અહીં રેકી કરી, આ બાબત સંપૂર્ણપણે ખોટી છે. જાન મોહમ્મદ શેખ ટ્રેનમાં મુંબઈ સેન્ટ્રલથી નિઝામુદ્દીન જઈ રહ્યો હતો, ત્યારે તેની કોટાથી ધરપકડ કરવામાં આવી હતી. તેની ધરપકડ સમયે તેની પાસેથી કોઈ વિસ્ફોટકો કે હથિયારો મળ્યા નથી.
આગળ વિનીત અગ્રવાલે કહ્યું ‘જાન મોહમ્મદ પર દેવું હતું. અગાઉ તે ડ્રાઈવર તરીકે કામ કરતો હતો. તેણે તે નોકરી ગુમાવી હતી. આ પછી તેણે લોન લઈને ટેક્સી ખરીદી. તેના EMI ન ભરવાના કારણે બેંકના લોકોએ તેની ટેક્સી લઈ લીધી. આ પછી તેણે ફરીથી લોન લીધી અને ટુ વ્હીલર ખરીદ્યું. તેને પૈસાની જરૂર હતી. કદાચ તેથી જ તેનો આ કામ માટે સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ આ તમામ માહિતી દિલ્હી પોલીસ તરફથી આવી છે. અમને તેના વિશે કોઈ માહિતી નથી.
ATSની ટીમ દિલ્હી જશે, દિલ્હી પોલીસ પાસેથી માહિતી મેળવશે
એટીએસ વતી પત્રકાર પરિષદમાં વિનિત અગ્રવાલે કહ્યું કે જાન મોહમ્મદ વિશે વધુ માહિતી એકત્ર કરવા માટે એટીએસની ટીમ દિલ્હી જશે અને માહિતી દિલ્હી પોલીસ પાસેથી માહિતી મેળવશે. જાન મોહમ્મદની ધરપકડ અંગે તેમણે કહ્યું કે ‘જાન મોહમ્મદે 9 તારીખે દિલ્હી જવાની યોજના બનાવી હતી.
10 તારીખે તેણે કેટલાક પૈસા ટ્રાન્સફર પણ કર્યા. પરંતુ તે ટિકિટ કન્ફર્મ થઈ રહી ન હતી. આ પછી તેણે 13 તારીખે ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસ ટ્રેનની વેઈટિંગ ટિકિટ લીધી. સાંજ સુધીમાં તેની તત્કાલ ટિકિટ કન્ફર્મ થઈ ગઈ. તે એકલો દિલ્હી નિઝામુદ્દીન માટે મુંબઈ સેન્ટ્રલથી નિકળ્યો. ટ્રેન કોટા પહોંચી ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી. ‘