સંજય રાઉતની ધરપકડ થતા એકનાથ શિંદેએ કહ્યુ, રોજ સવારે 8 વાગે વાગતી પિપૂડી બંધ થઈ ગઈ !
સંજય રાઉતની ધરપકડના મુદ્દે સંસદમાં હંગામો થયો છે. રાજ્યસભાથી લઈને લોકસભા સુધી આજે સોમવારે સવારથી જ ભારે હોબાળો થયો હતો. જેના કારણે બંને ગૃહની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી, ત્યારબાદ શિવસેનાના સાંસદો ગૃહની બહાર આવ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ (Eknath Shinde) શિવસેના સાંસદ સંજય રાઉતને (Sanjay Raut) લઈને મોટું નિવેદન આપ્યું છે. એકનાથ શિંદેએ ટોણો માર્યો છે કે દરરોજ સવારે પિપૂડી વાગવાનું બંધ થઈ ગયું છે. આપને જણાવી દઈએ કે EDએ પત્રા ચાલ જમીન કૌભાંડ કેસમાં સંજય રાઉતની ધરપકડ કરી છે. બીજી તરફ, આજે (સોમવારે) સંજય રાઉતને મુંબઈની વિશેષ PMLA કોર્ટમાં (PMLA Court) રજૂ કરવામાં આવશે, જ્યાં ED તેમની કસ્ટડી માંગશે. મળતી માહિતી મુજબ, પત્રા ચાલ જમીન કૌભાંડ કેસમાં સંજય રાઉતને બે વખત બોલાવ્યા બાદ પણ તેઓ ED સમક્ષ હાજર થયા ન હતા, ત્યારબાદ EDની ટીમ પૂછપરછ માટે રવિવારે વહેલી સવારે તેમના ઘરે પહોંચી હતી. સાંજે, EDએ સંજય રાઉતને કસ્ટડીમાં લીધા અને ઓફિસ ગયા. આ પછી મોડી રાત્રે પૂછપરછ બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.
એકનાથ શિંદેએ સંજય રાઉતની ધરપકડ પર ઝાટકણી કાઢી છે. આ પહેલા રવિવારે પણ એકનાથ શિંદેએ સંજય રાઉત વિશે કહ્યું હતું કે જો તેમણે કંઈ ખોટું નથી કર્યું તો તેમણે ડરવાની કોઈ જરૂર નથી. એટલું જ નહીં, તેમણે કહ્યું કે જેવુ કરશે તેવુ ભરશે. દરમિયાન, ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીનું કહેવું છે કે સંજય રાઉત વિરુદ્ધ લાંબા સમયથી તપાસ ચાલી રહી હતી અને હવે EDને કેટલાક પુરાવા મળ્યા બાદ જ તેમની ધરપકડ કરી હશે.
અજય મિશ્રા ટેનીએ કહ્યું, ‘સંજય રાઉતને ઘણી વખત પૂછપરછ કરવામાં આવી હતી. આ મામલો આજનો નથી, ઘણા સમયથી ચાલી રહ્યો હતો અને કેટલાક પુરાવા મળ્યા પછી જ EDએ તેની ધરપકડ કરી હશે. એજન્સીઓ પુરાવા વગર આવી કાર્યવાહી કરતી નથી. આ દરમિયાન સંજય રાઉતની ધરપકડના મુદ્દે સંસદમાં હંગામો થયો છે. રાજ્યસભાથી લઈને લોકસભા સુધી આજે સવારથી જ ભારે હોબાળો થયો હતો. જેના કારણે બંને ગૃહની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી, ત્યારબાદ શિવસેનાના સાંસદો ગૃહની બહાર આવ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો.
સંજય રાઉત સામે કેસ દાખલ
મુંબઈ પોલીસે શિવસેનાના નેતા સંજય રાઉત વિરુદ્ધ વાકોલા પોલીસ સ્ટેશનમાં પત્રા ચાલ જમીન કેસની સાક્ષી સપના પાટકરને ધમકી આપવાનો કેસ પણ નોંધ્યો છે. પાટકરે તાજેતરમાં પોલીસને ફરિયાદ કરી હતી કે તેને ટાઇપ કરેલા પત્રમાં બળાત્કાર અને હત્યાની ધમકી આપવામાં આવી હતી. આ પત્ર તેમને 15 જુલાઈના રોજ આપવામાં આવેલા અખબારમાં રાખવામાં આવ્યો હતો.