‘ગુજરાતીઓ-રાજસ્થાનીઓને હટાવવામાં આવે તો મુંબઈ આર્થિક રાજધાની ન રહે’ – મહારાષ્ટ્રના રાજ્યપાલનો વિડીયો થયો વાયરલ
મહાત્મા ફુલે અને સાવિત્રીબાઈ ફુલે વિશેના તેમના નિવેદનને કારણે રાજ ઠાકરે (Raj Thackeray) સહિત દરેકે રાજ્યપાલની ટીકા કરી હતી. પરંતુ હવે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી ફરી એકવાર તેમના એક નિવેદનથી ચર્ચામાં આવ્યા છે.
Mumbai: રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી (Governor Bhagat Singh Koshyari) અને ઉદ્ધવ ઠાકરેની (Uddhav Thackeray) સરકાર વચ્ચે છેલ્લા અઢી વર્ષમાં થયેલો સંઘર્ષ સમગ્ર મહારાષ્ટ્રે જોયો છે. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીની વિવિધ મુદ્દાઓ પર ઘણી વખત ટીકા કરવામાં આવી છે. શિવસેનાના મુખપત્ર સામનામાં ઘણીવાર રાજ્યપાલની ટીકા કરવામાં છે. મહા વિકાસ આઘાડી સરકાર દ્વારા મોકલવામાં આવેલ 12 ધારાસભ્યોની યાદી હોય કે પછી વિધાનસભા અધ્યક્ષની અટકેલી ચૂંટણી હોય, આ તમામ મુદ્દાઓ અગાઉની સરકાર દરમિયાન જાણીતા રહ્યા છે. મહાત્મા ફુલે અને સાવિત્રીબાઈ ફુલે વિશેના તેમના નિવેદનને કારણે રાજ ઠાકરે (Raj Thackeray) સહિત દરેકે રાજ્યપાલની ટીકા કરી હતી. પરંતુ હવે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી ફરી એકવાર તેમના એક નિવેદનથી ચર્ચામાં આવ્યા છે.
શું કહ્યુ રાજ્યપાલે ?
પોતાના અલગ-અલગ નિવેદનોને કારણે ચર્ચામાં રહેનારા રાજ્યપાલે આ વખતે સીધું મુંબઈને લઈને મોટું નિવેદન આપ્યું છે. બહારગામથી મોટી સંખ્યામાં લોકો મુંબઈ આવે છે. મુંબઈમાં ઘણા લોકો કામ કરવા, બિઝનેસ કરવા અને પોતાનું નામ કમાવવા અને તેમના સપના પૂરા કરવા માટે મુંબઈ આવે છે, તેથી જ મુંબઈને સપનાનું શહેર કહેવામાં આવે છે. પરંતુ રાજ્યપાલે આ સમયે સીધું નિવેદન આપ્યું છે કે મુંબઈમાંથી ગુજરાતી અને રાજસ્થાનીઓને હટાવવામાં આવો તો મુંબઈ, થાણે અને આસપાસના વિસ્તારોમાં પૈસા બચશે નહીં. મુંબઈ દેશની આર્થિક રાજધાની તરીકે ઓળખાય છે. જો આવું થાય તો આર્થિક રાજધાનીની ઓળખ નહી રહે તેમ પણ કહ્યું.
મહાવિકાસ આઘાડી તરફથી ઉગ્ર પ્રત્યાઘાત પડે તેવી શક્યતા
આ નિવેદનની અસર રાજ્યભરમાં જોવા મળે તેવી શક્યતા છે. તેમજ મહાવિકાસ અઘાડીના નેતાઓની તીખી પ્રતિક્રિયા આવે તેવી પુરી શક્યતાઓ છે. દેશના રાજકારણમાં મુંબઈનું ખૂબ મહત્વનું સ્થાન છે. આ મુંબઈને મહારાષ્ટ્ર સુધી પહોંચાડવા માટે અનેક યોદ્ધાઓએ પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે. આ પછી ભારે સંઘર્ષ કરીને મુંબઈ મહારાષ્ટ્રને આપવામાં આવ્યું છે. તાજેતરના રાજકીય સંઘર્ષને ધ્યાનમાં રાખીને, મહા વિકાસ અઘાડી સતત ભાજપ પર આરોપ લગાવે છે કે તે મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવા માંગે છે. આવી સ્થિતીમાં હવે રાજ્યપાલના આ નિવેદનથી રાજનીતિમાં વધુ ભડકો થવાની સંભાવના છે.