મુંબઈ પોલીસે સલમાનને આપ્યું ગન લાઇસન્સ, જાનથી મારી નાખવાની મળી હતી ધમકી
સલમાન ખાને (Salman Khan) થોડા દિવસો પહેલા બંદૂકના લાયસન્સ માટે અરજી કરી હતી અને આ સંબંધમાં 22 જુલાઈએ મુંબઈ પોલીસ કમિશનર વિવેક ફણસાલકર સાથે મુલાકાત પણ કરી હતી.
તાજેતરમાં જ લોરેન્સ બિશ્નોઈ ગેંગ (Lawrence Bishnoi gang) દ્વારા સલમાન ખાનને (Salman Khan) જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. સલમાન ખાનના પિતા સલીમ ખાનને સવારે વોક કરતી વખતે બેન્ચ પર પડેલો એક પત્ર મળ્યો હતો જેમાં તે અને તેના પુત્ર અને અભિનેતા સલમાન ખાનને જીવથી મારી નાખવા વિશે લખ્યું હતું. આ ઘટના સામે આવ્યા બાદ સલમાન ખાને પોતાના સ્વબચાવ માટે બંદૂકના લાયસન્સ માટે અરજી કરી હતી, જેની હવે મુંબઈ પોલીસે પરવાનગી આપી દીધી છે.
સલમાનને બંદૂકનું લાઇસન્સ આપવામાં આવ્યું
એક વરિષ્ઠ અધિકારીએ રવિવારે આ વાતની પુષ્ટિ કરી છે. સલમાન ખાને થોડા દિવસો પહેલા બંદૂકના લાયસન્સ માટે અરજી કરી હતી અને આ સંબંધમાં 22 જુલાઈએ મુંબઈ પોલીસ કમિશનર વિવેક ફણસાલકરને પણ મળ્યા હતા. નામ જાહેર ન કરવાની શરતે આઈપીએસ અધિકારીએ જણાવ્યું કે સલમાન ખાનના પ્રતિનિધિએ પોલીસ હેડક્વાર્ટર સાથે સંબંધિત શાખામાંથી લાઇસન્સ મેળવ્યું હતું. તે વ્યક્તિની પાવતી લીધા બાદ તેને લાઇસન્સ સોંપવામાં આવ્યું હતું.
ગુનાહિત રેકોર્ડ જોયા પછી આપવામાં આવે છે લાઇસન્સ
અધિકારીએ કહ્યું હતું કે, ‘અમે તમામ ઔપચારિકતાઓ પૂરી કર્યા પછી જ અભિનેતાને શસ્ત્ર લાઇસન્સ જાહેર કર્યું છે.’ આ ઉપરાંત અભિનેતાનો ગુનાહિત રેકોર્ડ જો કોઈ હોય તો તે પણ જોવા માટે અને આગળની પ્રક્રિયા મુજબ , ફાઇલ ચકાસણી માટે પોલીસ કમિશનર (ઝોન 9) ની ઓફિસમાં મોકલવામાં આવી હતી. તેમ અધિકારીએ જણાવ્યુ હતું.
સલમાનની સુરક્ષા 6 જૂન સુધી વધારી દેવામાં આવી હતી
સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ તેની સુરક્ષા 6 જૂન સુધી વધારી દેવામાં આવી હતી. તેના પિતા સલીમ ખાનને સવારે બેન્ચ પર મોર્નિંગ વોક કરતી વખતે જાનથી મારી નાખવાની ધમકી આપતો પત્ર મળ્યો હતો. આ પત્ર મળ્યા બાદ સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી હતી અને તેના ઘરની બહાર પોલીસ વાન પણ તૈનાત કરવામાં આવી હતી.
મૂસેવાલાના મોત બાદ સલમાનને ધમકી આપવામાં આવી હતી
પંજાબી ગાયક અને રેપર સિદ્ધુ મૂસેવાલાની 29 મેના રોજ પંજાબના માનસામાં દિવસે દિવસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, ત્યારબાદ તેમનું ત્યાં જ મૃત્યુ થયું હતું. તેમના મૃત્યુના થોડા દિવસો બાદ બોલિવૂડ સેલિબ્રિટી સલમાન ખાનને આ ધમકીભર્યો પત્ર મળ્યો હતો. તે પત્રમાં લખ્યું હતું કે, ‘હું તારુ પણ મુસેવાલા કરી નાખીશ.’